+

Mandvi: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક – ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું, જુઓ આ તસવીરો

માંડવીના મસ્કા ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે બન્યું કૃષ્ણ વર્મા સ્મારક અત્યાધુનિક ટેકનોલોજી અને આકર્ષણો સાથે આધુનીકરણ પામ્યુ છે સ્મારક આ સ્મારક ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને નવી પેઢીઓ સુધી પહોંચાડશે…
  1. માંડવીના મસ્કા ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે બન્યું કૃષ્ણ વર્મા સ્મારક
  2. અત્યાધુનિક ટેકનોલોજી અને આકર્ષણો સાથે આધુનીકરણ પામ્યુ છે સ્મારક
  3. આ સ્મારક ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને નવી પેઢીઓ સુધી પહોંચાડશે

Mandvi: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની 167 મી જન્મજયંતિ નિમિત્તે કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી (Mandvi) તાલુકાના મસ્કા ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનીકરણ પામેલ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક – ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક – ક્રાંતિતીર્થ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માને અર્પણ કરી શ્રધ્ધાંજલિ

મુખ્યમંત્રીએ નવીનીકરણ પામેલા ક્રાંતિતીર્થની તકતીનું અનાવરણ કરીને બ્રિટિશ સામ્રાજ્યના ગઢમાં સ્વતંત્રતાની મશાલ જગાવનાર દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની ઝાંખી કરાવતી મ્યુઝીયમ ગેલેરી તથા ઇન્ડીયા હાઉસની મુલાકાત લઇને ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણવર્માની જીવનગાથા તથા તેના ભવ્ય વારસાને નિહાળીને ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો: Gondal: પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા ગાવાની પરંપરા હજુ પણ જીવંત! જૂઓ આ તસવીરો

2010માં કરવામાં આવી “શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક”ની સ્થાપના

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2010માં “શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક”ની સ્થાપના કરવામાં આવી હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 15 કરોડની ફાળવણી તેમજ જીએમડીસી દ્વારા ફાળવેલા 05 કરોડ સહિત કુલ રૂપિયા 20 કરોડના ખર્ચે મુખ્યત્વે પ્રાચીન ઇતિહાસ અને આધુનિક સુવિધાઓનો સમન્વય કરીને ક્રાંતિતીર્થનું આધુનીકરણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયા હાઉસની મુલાકાત લીધી

મુખ્યમંત્રીએ નવીનકરણ પામેલા ક્રાંતીતીર્થના લોકાર્પણ પ્રસંગે ઇન્ડિયા હાઉસ અને વીરાંજલી ગેલેરીનું પુન:નિમાર્ણ, અદ્યતન આર્કિટેકચરલ લાઇટિંગ અને મુલાકાતીઓ માટે ઉમેરાયેલી લિફટ જેવી સુવિધાઓ નિહાળી હતી. મુખ્યમંત્રીએ વીરાંજલી ગેલેરીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માના જન્મ, શિક્ષણ, દેશભ્રમણ, સ્વદેશગમન, કારકિર્દી અને સ્વામી દયાનંદ સાથે સક્રિયતા સહિતની તેમના વ્યકિતગત જીવન-કવનની સમગ્ર ઝાંખી નિહાળી હતી. ત્યારબાદ બ્રિટિશ સામ્રાજ્યના ગઢ લંડનમાં 65 ક્રોમવેલ એવન્યુ સ્થિત મૂળ ઇન્ડિયા હાઉસની આબેહૂબ પ્રતિકૃતિ તરીકે સંપૂર્ણ પુન:નિર્માણ કરવામાં આવેલા ઇન્ડિયા હાઉસની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: Gujarat: નવલા નોરતામાં આશાપુરા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી

ઐતિહાસીક દ્રષ્ટિકોણ જાળવીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયેલા ઇન્ડિયા હાઉસમાં શ્યામજી કૃષ્ણ વર્માના જીવનપ્રસંગો અને ભારતના સ્વતંત્રતા આંદોલનના વિવિધ પ્રવર્તકો વિશેના દસ્તાવેજો અને પ્રદર્શિત કરાયેલા પેઇન્ટિંગ્સ, આધુનિક પ્રદર્શનો, ઇન્ટરેકિટવ ડિસ્પ્લેબોર્ડસ અને ડિજિટલ ટચસક્રીન ટેકનોલોજીથી સજ્જ સમગ્ર માહિતીને મુખ્યમંત્રીએ રસપૂર્વક નિહાળીને જરૂરી જાણકારી મેળવી હતી તથા શ્યામજી કૃષ્ણ વર્માને અંજલિ અર્પણ કરી હતી

આ પ્રસંગે વનવિભાગ દ્વારા શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે નમો વનવડ મોડેલ અન્વયે કરવામાં આવેલી કામગીરી તથા સામાજીક વનીકરણ હેઠળ વનકવચ યોજના અંતર્ગત વાવેતર કરાયેલા 20 હજાર રોપાની માહિતી મુખ્યમંત્રીએ મેળવી હતી. ક્રાંતિતીર્થની આ સમગ્ર મુલાકાત દરમિયાન જાણીતા ઇતિહાસકાર, લેખક, પત્રકાર પદ્મ વિષ્ણુ પંડ્યાએ માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેમોરીયલના આધુનિકીકરણ અંગે માહિતગાર કર્યા હતા.

અહેવાલઃ કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો: Surat: ‘ગરબા પર રાજનીતિ ન થવી જોઇએ’ ગેનીબેન ઠાકોરના ગરબાના નિવેદન પર ખેલૈયાઓમાં રોષ

Whatsapp share
facebook twitter