+

VADODARA : ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની બેઠક બાદ તંત્ર એક્શનમાં, ટીમો બનાવી કામ કરવા સુચન

VADODARA : પૂરગ્રસ્ત વડોદરા (VADODARA) માં પાણી ઓરસવાનું શરૂ થતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. તેવામાં વડોદરાની મુલાકાતે રાજ્ય સરકારના ગૃહમંત્રી અને શહેરના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા…

VADODARA : પૂરગ્રસ્ત વડોદરા (VADODARA) માં પાણી ઓરસવાનું શરૂ થતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. તેવામાં વડોદરાની મુલાકાતે રાજ્ય સરકારના ગૃહમંત્રી અને શહેરના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા આવી પહોંચ્યા છે. તેઓ વડોદરા આવીને કમાન્ડ એન્ટ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા છે. અને તેમણે વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પાલિકા અને કલેક્ટરાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી છે. જેમાં વડોદરાની પૂરની સ્થિતીની ઝીણવટભરી સમીક્ષા કરી છે. ત્યાર બાદ તેમણે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું.

વડોદરાના સૌ નાગરિકોનો આભાર માનું છું

હર્ષભાઇ સંઘવીએ મીડિયાને જણાવ્યું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી આપણા રાજ્ય પર ચારેય દિશાઓમાંથી એક સાથે ભારે વરસાદના કારણે રાજ્યના ડેમો, ભરાયા અને ઓવરફ્લો થયા. દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો આજે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, આ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયું. આ જ પરિસ્થિતીમાં વડોદરા અને નાગરીકોએ વરસાદનો સામનો કર્યો, ડેમમાં જે પ્રકારે પાણી ભરાવવાના કારણે તેમાંથી પાણી છોડવું પડયું. સાથે સાથે વરસાદ પણ ચાલુ હતો. જેમાં વડોદરાના લોકોએ છેલ્લા બે-ત્રણ દિવસ ખુબ ગંભીરતાપૂર્વક તેમણે સામનો કર્યો. જે પરિસ્થિતીઓ, માહિતી મેળવી તે પ્રકારે આજવા ડેમ, અને કાલા ઘોડાના ફ્લોના કારણે શહેરના વિસ્તારોમાં પાણી ભરાયુ અને તેના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પણ પડ્યો. વડોદરાના સૌ નાગરિકોનો આભાર માનું છું, જે લોકો તકલીફમાં ન્હતા અને તેમણે મદદ પહોંચાડી છે. લોકોએ ઉમદા કાર્ય કર્યું છે.

ડિટેઇલ્ડ બેઠક લેશે

તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં બધી જ જગ્યાએ રેડ એલર્ટ આવ્યું. વડોદરામાં મંત્રી ભીખૂસિંહ પરમારને જવાબદારી આપવામાં આવી હતી. જેમના સુચન અનુસાર વડોદરાને વધારાની ટીમ આપવામાં આવી હતી. કાલે મંત્રી રૂષિકેશભાઇ પટેલ અને જગદીશભાઇ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે હતા. લોકોને કેટલું નુકશાન થયું છે, કામગીરી કેવી રીતે આગળ વધારાય તે માટે તેમના ઇનપુટ, તેમણે મુખ્યમંત્રીને મળીને માહિતી આપી છે. આજે સાંજે 7 – 30 કલાકે મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવનાર છે. તેઓ વહીવટી તંત્રને મળશે, ત્યાર બાદ વિસ્તારોની વાત જાણશે. અને ડિટેઇલ્ડ બેઠક લેશે. હાલ તેઓ સૌરાષ્ટ્રની મુલાકાતે છે.

સફાઇ, સ્વાસ્થ્ય માટે અલગ ટીમો મદદ માટે મંગાવવામાં આવી

તેમણે વધુમાં જણાવ્યું કે, કુલ મળીને એનડીઆરએફ – 3, એસડીઆરએફ – 3, આર્મી – 4, પાલિકાના ફાયર વિભાગની – 9 ટીમો, સફાઇ સેવકો કામે લાગ્યા હતા. અમદાવાદ, સુરત, છોટાઉદેપુર, આણંદ અને બારડોલીની ટીમો વડોદરાના નગરજનો માટે મોકલવામાં આવી છે. તેના સિવાય બીજી ટીમો, સફાઇ, સ્વાસ્થ્ય માટે અલગ ટીમો મદદ માટે મંગાવવામાં આવી છે. મોડી રાત સુધી ટીમો આવી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પંપીંગ સ્ટેશનો પૈકી 13 પૂરના કારણે બંધ હતા. તેમાંથી 10 શરૂ કરવામાં આવ્યા છે. 3 સ્ટેશન બંધ છે, પાણી ઉતરતા તેને ચાલુ કરવામાં આવશે. કપુરાઇ અને છાણી પાણી ભરાવવાના કારણે બંધ છે.

વિજ પુરવઠો રાત સુધી દુરસ્ત કરવાની કામગીરી 40 ટીમોને આપવામાં આવી

તેમણે ઉમેર્યું કે, પાણી ભરાય ત્યારે કોમન પ્રોટોકલ પ્રમાણે ઇલેક્ટ્રીસીટી કટ કરવામાં આવે છે. સિક્યોરીટીના કારણોસર કરવામાં આવે છે. કુલ 118 ફીડરો વડોદરામાં બંધ થઇ ગયા હતા. તેમાંથી માત્ર 12 ફીડર પાણીના કારણે બંધ છે. અને 22 ફીડરો એવા છે જે પાણી ઉતરવાના કારણે બંધ છે. જે રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ થઇ જશે. મોટાભાગના ફીડરો ચાલુ છે. 150 ટ્રાન્સફોર્મર્સ ચાલુ થઇ જશે. પાણી ઉતર્યુ ત્યાં વિજ પુરવઠો રાત સુધી દુરસ્ત કરવાની કામગીરી 40 ટીમોને આપવામાં આવી છે. બીજી 10 ટીમો મંગાવવામાં આવી છે. મધરાત સુધી કામગીરી પૂર્ણ થઇ જશે. જેવું પાણી ઉતરશે તેવું વિજ પુરવઠો દુરસ્ત કરાશે. જે માટે પ્રતિ ટ્રાન્સફોર્મર ટીમની નિમણુંક કરવામાં આવી રહી છે. 34 વોટર ડિસ્ટ્રીબ્યુશન પૈકી 33 ચાલુ થઇ ગયા છે. એક બંધ છે.

ડબલ સ્પીડથી કામગીરી ચાલુ થશે

તેમણે વધુમાં જણાવ્યું છે, 411 એમએલડી સુપર ક્લોરીનેશન સાથે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. આવા સમયે આપણે પાણી અને સ્વચ્છતાની ખાસ ચિંતા કરતા હોઇએ છીએ. 10 ટકા અસરગ્રસ્ત વિસ્તારોમાં 35 – 40 ટેન્કરો, પાણીની બોટલ-પાઉચ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે. ગઇકાલે 185 મેટ્રીક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે. શહેરમાં સફાઇ માટે બીજા 48 જેસીબી, 78 – ડમ્પર, 62 – ટ્રેક્ટર મંગાવવામાં આવ્યા છે. ત્યાં સુધી જે બહારની પાલિકાઓની વ્યવસ્થા હતી તે સિવાય કલેક્ટર દ્વારા કંપનીઓમાંથી વ્યવસ્થા મંગાવીને ડબલ સ્પીડથી કામગીરી ચાલુ થશે.

આવનારા બે દિવસ સહયોગ આપશો

તેમણે ઉમેરતા જણાવ્યું કે, આરોગ્યમાં 40 – પીએચસી, 4 – સીએચસી, 72 – યુએચડબલ્યુસી કાર્યરત છે, જેમાં 1350 જેટલા આરોગ્ય સ્ટાફ કાર્યરત છે. હાઉસ ટુ હાઉસ સરવેની ટીમો પણ છે. 78 મોબાઇલ ટીમો પણ બનાવવામાં આવી છે. મેડીકલ ટીમ દ્વારા 10 હજારથી વધુ લોકોની કરવામાં આવી છે. મારી ખાનગી ડોક્ટરોને પણ વિનંતી છે, તેઓ પણ સમય આપીને રોગો અટકાવવા માટે દર્દીઓને શોધવા માટે સહયોગ આપો. આવનારા બે દિવસ સહયોગ આપશો, તોઓછામાં ઓછા લોકોને પાણીના રોગથી બચાવી શકીએ છીએ. અમદાવાદ, સુરત તથા સામાજીક સંસ્થાઓ દ્વારા ફૂટ પેકેટ આવી રહ્યા છે.

વોર્ડની ગલી પ્રમાણે ટીમ બનવી જોઇએ

તેમણે આખરમાં જણાવ્યું કે, આખા ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ હતું. એટલે આપણે આખી ટીમો વડોદરામાં નથી લગાવી શક્યા. જેમ જેમ રેડ એલર્ટની સ્થિતી સુધરતી ગઇ, તે બધી ટીમોને વડોદરા મુકીશું. આજ સુધી આવું ક્યારે નથી થયું, કે રાજ્યના બધા જ જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું. હાલ વડોદરામાં નુકશાનનો સરવે ચાલુ છે. નુકશાનમાં કેવી રીતે વડોદરાના લોકો સાથે ઉભા રહીએ, આ તકલીફમાં કોઇની ઘરવખરી ગઇ હશે, તો કોઇનું વેપારમાં નુકશાન. આપણે માનવધર્મ નિભાવતા એકબીજાની સાથે આવવાનું છે. સંપૂર્ણ કામગીરી કરવા માટે મેં અધિકારીઓને સુચના આપી છે, નાનામાં નાની ટીમો બનાવે, માત્ર થાય છે તેમ નહી, વોર્ડની ગલી પ્રમાણે ટીમ બનવી જોઇએ. સફાઇ, ક્લોરીન નાંખ્યું, કોઇ સમસ્યા છે તે જાણો. ગલીગલીએ કાર્યકર્તા પહોંચે. બધા તમામ સાથે મળીએ તો કાલે વડોદરાને સ્વચ્છ બનાવવામાં સફળતા મળશે. મૃત્યુ આંક 9 છે, જેમાં બે શહેરીજનો મૃત્યુ પામ્યા હોવાનું હાલમાં મેં જાણ્યું છે. 9 ના કુદરતી મૃત્યુ છે.

આ પણ વાંચો — VADODARA : શહેર-જિલ્લામાં પાણીમાં ફસાયેલા 10 હજારથી વધુ લોકો સ્થળાંતરિત કરાયા

Whatsapp share
facebook twitter