Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જળસંકટ સામે સાવધ થઇએ.. નાની વાતો સમજીએ અને જવાબદાર બનીએ !

09:22 AM Apr 28, 2023 | Vipul Pandya

આજે સમગ્ર વિશ્વ અને તેમાંય ખાસ કરીને એશિયન દેશો ખૂબ ગંભીરતાથી જળસંકટની દિશામાં આગળ વધી રહ્યાં છે. એના ભૌગોલિક કારણે  કરતા માનવસર્જીત ભૂલો વધારે કારણભૂત લાગે છે. ભૂગર્ભના જળને મનફાવે તેમ ખેંચીને તેનો વેડફાટ છેલ્લા પચાસ વર્ષમાં સતત વધી રહ્યો છે. એક જમાનામાં ગામડાઓમાં લોકો તળાવ નદી કે કૂવેથી પાણી ભરી લાવતા એટલે સ્વાભાવિક રીતે જરૂરિયાત મુજબનો જળસંગ્રહ થતો અને કરકસરયુક્ત વપરાશ પણ થતો. આજે ભૂગર્ભના જળ બોર વાટે ખેંચીને નળ વાટે ઘેર ઘેર પહોંચતા થયા એટલે વગર મહેનતે ઘરે પહોંચતા જળની કિંમત લોકો ભૂલતા થયાને વેડફતા થયા. શહેરોમાં તો સૌથી વધારે પાણીનો વેડફાટ થાય છે અને વપરાયેલા પાણીને ફરીથી વાપરી શકાય એવી કોઇ જોગવાઇઓના અભાવે શહેરીજનોના હાથે આ જમાનાનું બહુ મોટુ જળપાપ થઇ રહ્યું છે. 
આપણા દેશની વાત કરીએે તો ખેતી પ્રધાન દેશ હોવાથી સૌથી વધારે લોકો ખેતી ઉપર નભતા હોવાથી અને આકાશી ખેતીને કારણે છેલ્લા થોડાક વર્ષોથી સર્જાયેલા ગ્લોબલ વોર્મીંગના પર્યાવરણના પલટાતા પ્રવાહોના સંકટે આગામી વર્ષોમાં ખેતી માટેના પાણીની અછત પહેલા સર્જાશે અને એની પાછળ પાછળ પીવાના પાણીનું સંકટ વધુ ગહેરું બનશે તેવું જળ પ્રબંધકોનું સ્પષ્ટ રીતે માનવું છે. 
આમના વિષે ઘણું કહેવાતું રહે છે પણ એક નાગરિક તરીકે એક વ્યક્તિ તરીકે આપણે એ દિશામાં કેટલું ઉત્તરદાયિત્વ નિભાવીએ છીએ તે કદાચ આજનો પ્રાણપ્રશ્ન અને આવતીકાલનો મહા પ્રાણપ્રશ્ન બનશે. તમારા ઘરમા, તમારા બાથરૂમમાં, તમારા વોશ બેસીનમાં કારણ વગર ચાલુ નળમાંથી વહી જતા પાણી સાથે તમારા પછીનું પેઢીનું જીવન પણ વહી રહ્યું છે. એટલું સમજીએ ને જળસંકટ સામે થોડાક વધુ સાવધ બનીએ.