+

surat : ગામની અંદર પ્રવેશતા જ અહીંનું આહલાદ્ક વાતાવરણ આકર્ષે છે

અહેવાલ -ઉદય જાદવ ,સુરત    ગામડાના દેશ તરીકે જાણીતા ભારત દેશમાં સમયની સંગાથે હવે ગામડા પણ આધુનિક બનતા જાય છે. જ્યાં પાકા સીસી રોડ, પાકા મકાનો, સીસીટીવી કેમેરા અને ઈન્ટરનેટ…

અહેવાલ -ઉદય જાદવ ,સુરત 

 

ગામડાના દેશ તરીકે જાણીતા ભારત દેશમાં સમયની સંગાથે હવે ગામડા પણ આધુનિક બનતા જાય છે. જ્યાં પાકા સીસી રોડ, પાકા મકાનો, સીસીટીવી કેમેરા અને ઈન્ટરનેટ સેવા સાથે જોડાયેલી ગ્રામ પંચાયતોથી બનેલા સ્માર્ટ વિલેજ શહેરને પણ ટક્કર મારી રહ્યા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પણ આવું જ એક આધુનિક ગામ એટલે ઉંભેળગામ. ગામની અંદર પ્રવેશ કરતાં જ ગામનું આહલાદક વાતાવરણ સૌ કોઇને આકર્ષી જાય છે.

Image preview

ઉંભેળગામમાં પ્રાથમિક સુવિધાઓ થી સજ્જ

ઉંભેળગામમાં સ્માર્ટ પ્રાથમિક શાળા, લાયબ્રેરી, સ્વચ્છ રોડ-રસ્તા, સીસીટીવી, બાગ-બગીચા, ૨૪ કલાક પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક, ભૂગર્ભ ગટર યોજના જેવી સુવિદ્યાઓ ઉપલબ્ધ છે. ગ્રામ પંચાતની વેબસાઇટ પણ બનાવવામાં આવી છે, જેમાં ગ્રામ પંચાયત અને લોકભાગીદારી દ્વારા કરવામાં કરેલા કાર્યોની વિગતો આપવામાં આવે છે અને સમાજને ઉપયોગી તમામ પ્રકારની સુવિદ્યા ગ્રામજનને મળી રહી છે. સરકારની તામમ યોજનાકીય સહાયના ફોર્મ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

Image preview

એક સમયે પાયાની સુવિધાઓનો પણ અભાવ હતો: ડેપ્યુટી સરપંચ

ગામની સાફલ્યાગાથા વર્ણવતા પૂર્વ સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચ દર્શનભાઇ પટેલ જણાવે છે કે, ઉંભેળ ગામમાં એક સમયે પાયાની સુવિધાઓનો પણ અભાવ હતો. જો કે, સરકારની સાથે મળીને અનેક સુવિધાઓ શરૂ કરવાં આવી છે. ગામડાંઓની સમૃદ્ધિ કેવી હોય તેનું ઉદાહરણ અમારું ઉભેળગામ છે. અહીંયા સંપૂર્ણ પણે શુદ્ધ આર.ઓ.વોટર આપવામાં આવે છે. નજીવા દરે ગ્રામજનો આર.ઓ.પાણી મેળવી શકે છે. ગ્રામ પંચાયતની કચેરીનું લોક ભાગીદારીથી નવિનીકરણ કરવામાં આવ્યું છે, સાથે જ બાળકોને ઘરે જવાનું મન ન થાય તેવાં નંદઘર અને શાળા માટે અત્યાધુનિક ઓરડાઓ સાથે ભવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રગતિશીલ ગામડાંઓની પરિકલ્પનાને અમે ચરિતાર્થ કરી રહ્યા છીએ. ઉંભેળ ગામનો આ વિકાસ પહેલાં આવો નહોતો. ગામમાં અનેક સુવિધાઓ છેલ્લા એક દોઢ દાયકામાં પ્રાપ્ત થઈ છે. આગામી સમયમાં પણ અમે સરકારની મદદથી ઉંભેળગામને વધુ સમૃદ્ધ અને વધુ સુવિધાયુક્ત બનાવવા કટીબદ્ધ છીએ.વધુમાં તેમણે જણાવ્યું કે, ગામના વિકાસમાં લોકોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. ગામ ખેતી, પશુપાલન અને નાના મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલુ છે. ગામની એકતા અને સંપના કારણે અત્યાર સુધી સામુહિક નિર્ણય થકી ગામમાં અનેક પ્રકારની સુવિધાઓ ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Image preview

ગામનું એક એક ઘર ગટર યોજનાથી જોડાયેલું છે

ગામમાં સફાઈની સપુર્ણપણે કાળજી લેવામાં આવે છે, અને દરેક ઘર ગટર યોજનાથી જોડાયેલા છે. ગ્રામ પંચાયત દ્વારા ઠરાવો કરીને ગામ પ્રદૂષણ મુક્ત રહે તેની કાળજી લેવામાં આવે છે. અહીંની પંચાયત દ્વારા ટ્રેકટર દ્વારા શેરીએ શેરીએ જઇને કચરો એકઠુ કરવાનું કામ કરવામાં આવે છે. એકઠો કરાયેલો કચરો ગામની બહાર બનાવવામાં આવેલ કુંડીમાં નાખીને તેનો નિકાલ કરવામાં આવે છે.

Image preview

 

ગામમાં પેવર બ્લોક, ગાર્ડન, આંગણવાડી, કુવા અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી

ગામમાં પેવર બ્લોક, ગાર્ડન, આંગણવાડી, કુવા અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો યશ સ્થાનિક સંરપચ અને આગેવાનોનો પણ છે. નાનકડું ગામમાં આજે સ્વચ્છતા સાથે પ્રદૂષણ મુક્ત છે. ગામના તમામ લોકો ગામને સ્વચ્છ રાખવા સ્વચ્છતાનું પાલન કરી રહ્યાં છે. ગામના વિકાસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે રસ લીધો છે, જેને કારણે આજે આ નાનકડુ ગામ ભારતના નકશામાં સ્માર્ટ વિલેજ તરીકે સ્થાન પામ્યું છે

Image preview

ગામમાં દરરોજ ડોર ટુ ડોર ઘન કચરાનું કલેક્શન અને સાફ સફાઇ થાય છે

ગામના લોકોની સુખાકારી માટે ગામમાં દરેક ઘરે સુકો કચરો અને ભીને કચરો એમ બે પ્રકારની ડસ્ટબીનો આપવામાં આવે છે.તેમજ જાહેર સ્થળે પણ આ બે પ્રકારની ડસ્ટબીન મુકવામાં આવી છે. તેમજ ડોર ટુ ડોરના કચરાના કલેકશન માટે વાહનોની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ગામમાં નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાહી કચરાના નિકાલ માટે ગામથી બહાર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવ્યું છે. જેમાં પાણી શુદ્ધિકરણ કરી ચોખ્ખું પાણી વહેતું છોડવામાં આવે છે. જેનાથી જળસ્તર વધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે.

Image preview
ગામમાં નિર્માણ કરેલા ગાર્ડના તળાવને અમૃત સરોવરમાં સમાવી બ્યુટીફિકેશન કરાયુ

ગામમાં શ્રી સત્યગૌચર હનુમાનજી મંદિર પાસે સુંદર ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં બાળકોના રમત ગમતના સાધનો પણ મૂકવામાં આવેલા છે. ગાર્ડનમાં આવેલા તળાવને અમૃત સરોવરમાં સમાવી તળાવ બ્યુટીફિકેશનનું કામ હાથ ધરાયું છે. ગાર્ડનમાં સુરત, બારડોલી સહિતના દુરના વિસ્તારના લોકો પણ ફરવા માટે આવે છે.તેમજ ગામની મધ્યમાં કુંડાઓ મુકી ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, જેનાથી ગામની સુંદરતામાં વધારો થયો છે.

Image preview

ગામની ૨૦ એક ગૌચર જમીનમાં વૃક્ષો પ્લાન્ટેશન કરાયુ

ગામમાં પર્યાવરણ સારૂં રહે તે માટે દર વર્ષે મોટા પાયા પર વૃક્ષારોપણ કરવામાં આવે છે. ગામની ૨૦ એકર ગૌચર જમીનમાં ખુબ જ મોટા પાયે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦ એકર વન વિભાગ અને ૧૦ એકર PEPL (Palsana Enviro Protection Ltd) દ્વારા વૃક્ષોનું પ્લાન્ટેશન કરી જાળવણી કરવામાં આવી રહી છે. ગૌચરની જમીનમાં વૃક્ષો વાવી ગામની શોભાવૃદ્ધી વધારવાની સાથે ગામમાં આવકનો એક સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો છે, ગૌચરની જમીનમાં વૃક્ષો વાવાથી ગામના બેરોજગાર લોકોને રોજગારી ઉપલબ્ધ થઇ છે. વન વિભાગના સહયોગથી બિન ઉપજાવ જમીન હરિયાળી બનાવવા તેમજ ગ્રામ પંચાયતને ફાયદો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે

Image preview

ગ્રામજનોની સુખાકારી માટે ગામપંચાયત દ્વારા ત્રણ યોજના અમલી બનાવી

ઉંભેળ ગામપંચાયત દ્વારા ગ્રામજનો માટે ત્રણ યોજનોઓ શરૂ કરવામાં આવી છે,જેમાં પહેલી યોજના છે, “દીકરી મારી લક્ષ્મીનો અવતાર” આ યોજનામાં અંતર્ગત ગામમાં જન્મેલ દરેક દીકરીનાં માતા-પિતાને ચાંદીનો સિક્કો, સન્માનપત્ર અને મીઠાઇનું બોક્ષ એમનાં ઘરે જઇ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ યોજના બેટી બચાવો અભિયાનને પ્રોત્સાહન આપે છે.બીજી યોજના “હરિશ્વચંદ્ર તારામતી અંત્યેષ્ઠી સહાય”કે જેમાં ગામમાં મરણ પામતા કોઇપણ ગ્રામજનની અંતિમક્રિયામાં સ્મશાનનો ખર્ચ અને જરૂરી સામાન આપવામાં આવે છે. જેથી જેના ઘરે અશુભ બનાવ બન્યો હોય તેને થોડો આધાર મળી રહે. ત્રીજી યોજના “નિરાધારનો આધાર” કે જેમાં ગામમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા અને જેમના માતા-પિતા હયાત ન હોય તેવા બાળકોને વાર્ષિક રૂ.૩૦૦૦ ગ્રામ પંચાયત તરફથી અને રૂ.૨૦૦૦ પુર્વ સરપંચ દર્શનભાઇ પટેલ તરફથી એમ કુલ રૂ.૫૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ સહાય બાળકને ભણતરમાં મદદરૂપ અને એમનું ભરણપોષણ કરતાં પાલક વાલીને સહાયરૂપ બની છે.

Image preview
ગામને પ્રાપ્ત થયેલા પુરસ્કાર

ઉંભેળ ગામને અત્યાર સુધી અનેક પ્રકારના એવોર્ડ મળેલા છે.જેમાં વર્ષ ૨૦૦૬માં સમરસ ગામ પંચાયત, વર્ષ ૨૦૧૯માં શ્રેષ્ઠ ગ્રામપંચાયત, કોવિડમાં શ્રેષ્ઠ કામગીરી અને સ્વર્ણિમ પુરસ્કાર સહિતના પુરસ્કારનો સમાવેશ થાય છે.તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉંભેળગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કર્યું હતું. ગ્રામજનોએ મુખ્યમંત્રીશ્રી પ્રત્યેય આભાર ભાવ વ્યક્ત કર્યો હતો.ગુજરાત અને ભારત સરકારની યોજનાઓના સુભગ સમન્વયનો લાભ લઇ ગ્રામજનોએ ઉંભેળ ગામને સ્માર્ટ વિલેજ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું.

આ પણ  વાંચો-પંચમહાલના સાંપા ગામે પોલીસ જવાન જશવંતસિંહ ચૌહાણના અંતિમસંસ્કાર

 

Whatsapp share
facebook twitter