દેશમાં કોરોનવા વાયરસના વધી રહેલા કેસ વચ્ચે DGCA દ્વારા તમામ એરલાઇન્સને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો કોઇ પણ મુસાફાર વારંવારની ચેતવણી છતા માસ્ક ના પહેરે તો તેને વિમાનમાંથી ઉતારી દો. આ સિવાય ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એક નિર્દેશમાં એરપોર્ટ સંચાલકોને સ્થાનીય પોલીસ અને સુરક્ષા એજન્સીઓની આ અંગે મદદ લેવાનો અને માસ્ક ના પહેરનારા લોકો પાસેથી દંડ વસુલવાનો નિર્દેશ આપ્યો છે.
માસ્ક ના પહેરનાર સાામે કાર્યવાહી
નવા નિયમો અનુસાર એરપોર્ટ પર અને પ્લેનમાં ચડતી વખતે માસ્ક સંબંધિત પ્રોટોકોલમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં. DGCA એ કહ્યું છે કે નિયમો વિરુદ્ધ કાર્યવાહી હેઠળ આવા મુસાફરોને CISF જવાનોને સોંપવામાં આવશે અને તેમને દંડ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસો ઘટ્યા પછી એરપોર્ટ અને પ્લેનમાં માસ્કને લગતા નિયમોમાં થોડી છૂટ આપવામાં આવી હતી. જો કે હવે ફરીથી એરપોર્ટ અને વિમાનોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.
દિલ્હી હાઇકોર્ટની ફટકાર બાદ નિર્દેશ
આ પરિપત્ર દિલ્હી હાઈકોર્ટના 3 જૂનના આદેશ બાદ આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એરપોર્ટ અને વિમાનમાં માસ્ક પહેરવા અને હાથ ધોવા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરનારા મુસાફરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે કોરોના મહામારી હજી સમાપ્ત નથી થઇ.
કોર્ટે કહ્યું કે કોવિડ-19ના સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધવો જોઈએ. એટલું જ નહીં, તેમને દંડ પણ થવો જોઈએ. કોર્ટે કહ્યું કે આવા લોકોને ‘નો-ફ્લાય’ (પ્રતિબંધિત ઉડાન) યાદીમાં મુકવા જોઈએ. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહી જરૂરી છે.
માસ્ક ન પહેરવું એ કાયદાની વિરુદ્ધ
DGCAએ બુધવારે કહ્યું કે વિમાનો અને એરપોર્ટ પર માસ્ક ન પહેરવાને હવે નિયમોની વિરુદ્ધ ગણવામાં આવશે અને જે મુસાફરો તેનું પાલન નહીં કરે તેમને એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું કે જો મુસાફરો વારંવાર માસ્ક પહેરવાનો ઇનકાર કરે છે અને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરતા નથી, તો તેમને ટેક-ઓફ પહેલા ઉતારી દેવામાં આવશે.