+

Pankaj Udhas : ‘ સોનલધામ મઢડાથી શિલ્ડ આવ્યો પણ પંકજભાઈને આપી ન શકાયો…’

પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું (Pankaj Udhas) 72 વર્ષની ઉંમરે મુંબઇ ખાતે નિધન થયું છે, જેના સમાચાર તેમના વતન ગુજરાતના ગોંડલ (Gondal) તાલુકના વીરપુર (જલારામ) નજીક આવેલ ચરખડી ગામે પહોંચતા…

પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું (Pankaj Udhas) 72 વર્ષની ઉંમરે મુંબઇ ખાતે નિધન થયું છે, જેના સમાચાર તેમના વતન ગુજરાતના ગોંડલ (Gondal) તાલુકના વીરપુર (જલારામ) નજીક આવેલ ચરખડી ગામે પહોંચતા ગામલોકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, આજે પણ ચરખડી ગામે પંકજ ઉધાસનું ઘર છે અને ત્યાં તેમના માતાજી પુનબાઈ અને લાલબાઈના મઢ છે.

રાજાશાહી વખતનું ઘર હજું પણ હયાત

ચરખડી ગામનાં અગ્રણી શત્રુઘ્ન રોકડ એ જણાવ્યું કે, પંકજભાઈના નિધનના સમાચાર સાંભળી ગામલોકોના આંખમાં ઝળઝળીયા આવી ગયા છે. ચરખડીમાં પંકજ ઉધાસના વડવાઓનું રાજાશાહી વખતનું મકાન આજે પણ હયાત છે. પુનબાઈ અને લાલબાઈ માતાજીનો અહીં મઢ છે, જ્યાં દર વર્ષે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે. આ ઘરમાં આજે ભાડુઆત રહે છે.

સોનલધામ મઢનાં શિલ્ડ હવે રાહ જુએ છે…

ઉલ્લેખનીય છે કે, સોનલધામ મઢડા (Sonaldham Maddha) ખાતે ગત જાન્યુઆરી મહિનામાં 11, 12 અને 13 તારીખના રોજ જન્મ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. જ્યાંથી પંકજ ઉધાસના (Pankaj Udhas) સન્માનમાં તેમના માટે એક શિલ્ડ આપવામાં આવ્યો હતો. આ શિલ્ડ ચરખડી ખાતે તેમના પૈતૃક ઘરે મોકલવામાં આવ્યો હતો. પંકજભાઈ તેમના પરિવાર સાથે અહીં વર્ષમાં એક-બે વખત આવતા હોય છે, જેથી તેઓ જ્યારે અહીં આવે ત્યારે તેમને આ શિલ્ડ (સન્માન) આપવાનો હતો. સોનલધામ મઢડાથી ચરખડી ખાતે શિલ્ડ આવ્યો પણ પંકજભાઇ અહીં આવે તે પહેલાં જ તેમનું નિધન થયું.

વતનમાં વર્ષમાં એક-બે વખત આવતા

ગોંડલ તાલુકા પંચાયતના સભ્ય દિવ્યેશભાઈ લીલાએ જણાવ્યું હતું કે, પંકજભાઈ જ્યારે ગઝલ લખતા ત્યારે તેની કેસેટ માતાજીનાં ચરણોમાં અર્પણ કરવા માટે અહીં આવતા. આજે તેમના નિધનના સમાચાર મળતા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પિતા જમીનદાર અને દીવાન હતા

પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. ત્રણ ભાઈમાં પંકજ ઉધાસ (Pankaj Udhas) સૌથી નાના હતા. તેમનો પરિવાર રાજકોટ નજીક ચરખડી ગામનો હતો. તેમના દાદા એક જમીનદાર અને ભાવનગર રાજ્યના દીવાન પણ હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા, તો માતા જિતુબેન ઉધાસને ગીતોનો ખૂબ શોખ હતો. આ જ કારણ હતું કે પંકજ ઉધાસ અને તેમના બંને ભાઈઓનો હંમેશાં સંગીત તરફ ઝુકાવ રહ્યો હતો.

અહેવાલ : વિશ્વાસ ભોજણી, ગોંડલ

આ પણ વાંચો – Sabarkantha : સાબરડેરીના વર્તમાન ચેરમેન અને મેઘરજ બેઠક બિનહરીફ, માન્ય ઉમેદવારોને મેન્ડેટનું ટેન્શન શરૂ!

Whatsapp share
facebook twitter