દિવાળીના દિવસે ઉત્તરાકાશીમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન થતા 41 શ્રમિકો ફસાયા છે. તેઓને બહાર કાઢવા માટે છેલ્લા 13 દિવસથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. પીએમ મોદી સહિત સીએમ ધામી પળેપળની માહિતી મેળવી રહ્યા છે. ત્યારે હવે ઓગર મશીન તૂટી જવાની ખબર સામે આવતા સીએમ ધામી તાત્કાલિક અસરથી રેસક્યુ સ્થળ પર પહોંચ્યા હતા. હવે શ્રમિકોને બહાર કાઢતા કેટલો સમય લાગશે તે વિશે માહિતી આપી હતી.
સીએમ પુષ્કર સિંહ ધામીએ આજે ફરી બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે તમામ કામદારો ઠીક છે. કામદારો સાથે વાત કરી છે. તેમને ભોજન અને પાણી પણ મળી રહ્યું છે. હૈદરાબાદથી પ્લાઝમા કટર પણ મંગાવવામાં આવ્યું છે. સીએમએ કહ્યું કે સમગ્ર ધ્યાન શ્રમિકોને બહાર કાઢવા પર છે. આવતીકાલ સુધીમાં મશીનના તૂટેલા પાર્ટસ કાઢી નાખવામાં આવશે. હાલ વર્ટિકલ ડ્રિલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.
પ્લાઝમા કટર મંગાવ્યુ છે- સીએમ ધામી
તેમણે વધુમાં જણાવ્યું કે દરેક વ્યક્તિ જાણે છે કે આ બચાવ કામગીરી મુશ્કેલ અને પડકારજનક સંજોગોમાં કરવામાં આવી રહી છે. આટલી નજીક પહોંચ્યા પછી મશીન ફસાઈ ગયું… અમે આશા રાખીએ છીએ કે આવતીકાલે સવાર સુધીમાં આ મશીન બહાર આવી જશે અને ઑપરેશન ફરીથી શરૂ થશે. અમે તમામ વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ. ઓગર મશીન કાપવા માટે હૈદરાબાદથી પ્લાઝમા કટર મશીન મંગાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો –તેલંગાણામાંથી BRS સરકારની વિદાય ! આ વખતે પવન ભાજપ તરફ : PM MODI