Saikhom Mirabai Chanu : વેઈટલિફ્ટિંગની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે સૌ કોઇની જબાન પર મીરાબાઈ ચાનુનું નામ સૌ પહેલા આવે છે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા, વર્લ્ડ ચેમ્પિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ ભારતના શ્રેષ્ઠ વેઈટલિફ્ટરની યાદીમાં સામેલ છે. શક્તિ અને વિશ્વાસનો સમન્વય જેમની રગે રગમાં છે, તેવા મીરાબાઈ મેદાની જંગમાં દરેક લેવલ પર પોતાનું સર્વશ્રેષ્ઠ આપી ચુક્યા છે. ટોક્યો 2020માં મીરાબાઈનો સિલ્વર મેડલ કર્ણમ મલ્લેશ્વરી પછી ભારતીય વેઈટલિફ્ટર દ્વારા જીતવામાં આવેલો બીજો ઓલિમ્પિક મેડલ હતો. તે પીવી સિંધુ પછી ઓલિમ્પિક સિલ્વર મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા બની હતી.
મીરાબાઈ ચાનુની ઓલિમ્પિક સફર
મીરાબાઈ ચાનુ છેલ્લા એક દાયકામાં તેના શાનદાર પ્રદર્શન દ્વારા ભારતીય વેઈટલિફ્ટિંગને એક નવા સ્તરે લઈ ગઈ છે. મીરાબાઈ ચાનુ પેરિસમાં થનારી ત્રીજી ઓલિમ્પિકનો ભાગ બનવા જઇ રહી છે. રિયો 2016માં તેના પ્રથમ ઓલિમ્પિકમાં તે નિરાશ થઈ હતી, જેના કારણે તે એટલી આઘાતમાં હતી કે તેણે રમત છોડવાનો નિર્ણય પણ લઈ લીધો. જોકે તે પછી તેણે હિંમત ન હારી અને ટોક્યો 2020 માં તેના બીજા ઓલિમ્પિક માટે પોતાને તૈયાર કરી. આ માટે તેણે સ્વાદિષ્ટ ખાણી-પીણીથી લઈને તેની બહેનના લગ્ન સુધી ઘણી બધી વસ્તુઓનો ભોગ આપવો પડ્યો. ટોક્યોમાં તેના નિશ્ચયની જીત થઈ. અહીંની સફળતા સાથે, મીરાબાઈ ચાનુ ઓલિમ્પિક મેડલ જીતનારી કર્ણમ મલ્લેશ્વરી પછી ભારતની બીજી વેઈટલિફ્ટર બની. આ સિવાય ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પીવી સિંધુ પછી તે બીજી ભારતીય મહિલા ખેલાડી બની હતી.
મીરાબાઈ ચાનુની સિદ્ધિઓ
- રાષ્ટ્રપતિ દ્વારા મળ્યો ખેલ રત્ન એવોર્ડ
- 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ
- વર્લ્ડ ચેમ્પિયનશિપ 2017 ગોલ્ડ મેડલ
- કોમનવેલ્થ ચેમ્પિયન 2018 ગોલ્ડ મેડલ
- 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ
- ઓલિમ્પિક ટોકિયો 2020 સિલ્વર મેડલ
- એશિયન ચેમ્પિયનશિપ 2020 બ્રોન્ઝ મેડલ
- 2018માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન
- 2018 પદ્મશ્રીથી પણ સન્માનિત
મીરાબાઈ ચાનુની ગ્લાસગોથી ટોક્યો સુધીની સફર
રાષ્ટ્રપતિ દ્વારા ખેલ રત્ન એવોર્ડ મેળવી ચુકેલા મીરાબાઈ ચાનુ તે વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા જ્યારે, તેમણે 2014માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્ષ 2017માં વર્લ્ડ ચેમ્પિયન અને 2018માં કોમનવેલ્થ ચેમ્પિયન બન્યા બાદ ટોક્યો ઓલિમ્પિક માટે તેનું મનોબળ વધ્યું હતું. જાણવું એ પણ જરૂરી છે કે, ટોક્યોમાં ભારતે સિલ્વર જીત્યા બાદ મીરાબાઈ ફરી 2022માં કોમનવેલ્થ ચેમ્પિયન બન્યા હતા. જોકે 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડને બદલે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. કારકિર્દીની આ મોટી સફળતાઓ વચ્ચે, મીરાબાઈ ચાનુ પણ ભારતની રમતના રત્ન બની ગયા. વર્ષ 2018માં તેમને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે જ વર્ષ 2018માં જ પદ્મશ્રીથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા.
આ પણ વાંચો: Paris Olympic 2024 : ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમ વખત, સ્ટેડિયમમાં નહીં યોજાય ઉદ્ઘાટન સમારોહ