VADODARA : વડોદરા (VADODARA) માં ઇમાનદારીનું અનોખું ઉદાહરણ નિવૃત્ત પોલીસ જવાન દ્વારા પુરૂ પાડવામાં આવ્યું છે. ગતરોજ શહેરમાં રથયાત્રા દરમિયાન એક મહિલાનું પર્સ ખોવાઇ ગયું હતું. તેમાં પૈસા સહિત અનેક મહત્વની ચીજો હતી. આ પર્સ રિટાયર્ડ ASI ના હાથ લાગતા તેમણે મહિલાનો શોધીને સહીસલામત પરત કર્યું છે. આમ, નિવૃત્તિ બાદ પણ તેમણે એક નાગરિક તરીકેની ફરજ બજાવી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
મહિલા કોર્પોરેટરનું કાર્ડ મળી આવ્યું
ગતરોગ અષાઢી બીજ નિમિત્તે વડોદરા સહિત દેશભરમાં રંગેચંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં હાજર મહિલા સેવીકાનું પર્સ સ્ટેશન વિસ્તારમાં પડી ગયું હતું. સદ્નસીબે આ પર્સ નિવૃત્ત ASI રસિકભાઇ પરમારને મળી આવ્યું હતું. આ પર્સ મળી આવ્યા બાદ તેમાંથી એક મહિલા કોર્પોરેટરનું કાર્ડ મળી આવ્યું હતું. જેમાં લખેલા નંબર પર તેમણે સંપર્ક કર્યો હતો. બાદમાં રસિકભાઇએ મહિલાની શોધખોળ શરૂ કરી હતી. અને મહિલા મળી જતા તેમને સહીસલામત પર્સ સોંપવામાં આવ્યું હતું.
ગુમ થયેલી વસ્તુ પરત કરવી જોઇએ
નિવૃત્ત પોલીસ જવાનની કામગીરી બિરદાવતા મહિલા કલ્પનાબેન પટેલ જણાવે છે કે, હું મેયર સાથે પહિંદવિધી સમયે હાજર હતી, તે દરમિયાન મારૂ પર્સ ગુમ થઇ ગયું હતું. મારૂ પર્સ ભાઇને (નિવૃત્ત ASI રસિકભાઇ પરમાર) મળ્યું, તેઓ મને શોધતા શોધતા આવીને મને પરત કર્યું છે. તેઓ નિવૃત્ત પોલીસ જવાન છે. તેમણે કોર્પોરેટરનું કાર્ડ મળતા તેમનો સંપર્ક કર્યો હતો. આ ખુબ જ સરાહનીય કામગીરી છે. દરેક નાગરીકે આ ભાઇની જેમ કોઇની ગુમ થયેલી વસ્તુ પરત કરવી જોઇએ. અને સમાજને મદદરૂપ થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. દરેકે આવું સારૂ કાર્ય કરવું જોઇએ. અને સમાજને પ્રેરણા કરવી જોઇએ. બધા એવા લોકો હોતા નથી કે જેઓ ચોરી જાય છે, કેટલાક લોકો પાછુ પણ આપી જાય છે.
આ પણ વાંચો — VADODARA : રૂ. 2 હજારના નુકશાનની ભરપાઇ કરવા પરચુરણ ઉઘરાવી વિરોધ