+

VADODARA : સ્ટેશનની ઘટના બાદ પોલીસ અને લારી-ગલ્લા ધારકો વચ્ચે મીટીંગોનો દોર

VADODARA : વડોદરાના સ્ટેશન વિસ્તારમાં (STATION AREA – VADODARA) મોડી રાત સુધી ચાલતી ઇંડાની લારીના સંચાલક અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. જેમાં લારીધારકને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી…

VADODARA : વડોદરાના સ્ટેશન વિસ્તારમાં (STATION AREA – VADODARA) મોડી રાત સુધી ચાલતી ઇંડાની લારીના સંચાલક અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. જેમાં લારીધારકને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં નાજુક હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મીઓ અને પીસીઆર વાન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન શહેરના વિવિધ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ અને લારી-ગલ્લા ધારકો વચ્ચે મીટીંગોનો દોર શરૂ થઇ ગયો છે. અને પોલીસ અધિકારીઓ દ્વારા રાત્રે 11 વાગ્યે લારી ગલ્લા બંધ કરી દેવા માટે જણાવવામાં આવ્યું છે.

રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં ધકેલી દેવામાં આવ્યા

તાજેતરમાં શહેરના સ્ટેશન વિસ્તારમાં મોડી રાત સુધી ઇંડાની લારી ચલાવતા સંચાલક અને પોલીસ જવાનો વચ્ચે માથાકુટ થઇ હતી. જે બાદ પોલીસ જવાનો દ્વારા લારી સંચાલકને માર મારવામાં આવ્યો હોવાથી તેમની સામે ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે બે પોલીસ જવાનો અને પીસીઆર વાન ચાલકના રિમાન્ડ પૂર્ણ થતા હાલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના બાદથી શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં લારી-ગલ્લા ધારકો સાથે મીટીંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

શાંતિનો ભંગ ન થાય તેવી તકેદારી રાખો

અત્યાર સુધી શહેરના ફતેગંજ, નવાપુરા, કપુરાઇ અને સીટી પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને લારી-ગલ્લા ધારકો તથા ખાણી-પીણીની લારીના સંચાલકો વચ્ચે મીટીંગ યોજાઇ છે. જેમાં તમામને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને સાથે જ રાત્રે 11 વાગ્યે લારી-ગલ્લાઓ બંધ કરવા માટેનું સુચન આપવામાં આવ્યું છે. સાથે જ વિસ્તારમાં કોઇ પણ પ્રકારે શાંતિનો ભંગ ન થાય તેવી તકેદારી રાખવા માટે જણાવ્યું છે.

તબિયત સુધારા પર

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ઇંડાની લારીધારક પોલીસની ગાડી સાથે ઘસડાયા બાદ પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ તેને પ્રથમ એસએસજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. દરમિયાન તેની સ્થિતી નાજુક હોવાથી તેને શહેરની ગેંડા સર્કલ સ્થિત ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં હાલ તબક્કે તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ અન્ય પોલીસ મથક વિસ્તારમાં લારી-ગલ્લા ધારકો સાથે મીટીંગ કરી સુચનના પ્રયાસો સ્ટેશન વિસ્તાર જેવી ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે.

આ પણ વાંચો — Weather Forecast : વાતાવરણમાં પલટો, કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતોમાં ચિંતા!

Whatsapp share
facebook twitter