VADODARA : આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા (LOP) અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી (RAHUL GANDHI – CONGRESS) ગુજરાતની મુલાકાતે છે. તેઓ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં પૂર્વ આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તે પૈકી એક કાર્યક્રમમાં તેઓ વડોદરાના હરણી બોટકાંડ સહિતની દુર્ઘટનાઓમાં મૃતકોના પરિજનો સાથે સંવાદ કરનાર છે. તે માટે વડોદરાથી હરણી બોટકાંડમાં મૃતકોના પરિજનો અમદાવાદ જવા માટે બસમાં રવાના થયા છે. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વીજ જોશી ખાસ જોડાયા છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં તેઓ રાહુલ ગાંધી સાથે સંવાદ કરનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ચૂંટણી બાદ પ્રથમ મુલાકાત
જાન્યુઆરી – 2024 માં વડોદરાના હરણી તળાવમાં શાળાના બાળકો ભરેલી બોટ ઉંધી પડી જતા 12 બાળકો સહિત 14 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ આજે પણ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. ત્યારે આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધીના કાર્યક્રમની રૂપરેખા અનુસાર 1 વાગ્યાથી વિવિધ જગ્યાએ હાજરી આપશે. શરૂઆતમાં તેઓ ધરપકડ કરાયેલા કોંગ્રેસના નેતાઓની મુલાકાત બાદમાં ક્રમશ: કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન, પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા લોકોના પરિજનોની મુલાકાત અને રાજકોટ ગેમઝોન, મોરબી બ્રિજ, હરણી બોટકાંડ, અને તક્ષશિલા અગ્નિકાંડમાં મૃતકોના સ્વજન- પીડિતોની મુલાકાત કરનાર છે.
રૂબરૂ થશે
જેના અનુસંધાને આજે સવાપે વડોદરાથી ખાનગી બસમાં હરણી બોટકાંડમાં મૃતકોના પરિજનો અમાદવાદ જવા રવાના થયા છે. તેઓ બપોરે રાહુલ ગાંધીને મળીને તેમની વેદના વ્યક્ત કરશે. લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત રાજ્યની મુલાકાતે આવનાર છે. આ અગાઉ રાહુલ ગાંધીએ ડિજીટલ માધ્યમથી વીડિયો કોલ કરીને રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં મૃતકોના પરિજનો સાથે સંવાદ સાધ્યો હતો. અને હવે આજે તેઓ સહિત અન્યને રૂબરૂ મળવા જઇ રહ્યા છે.
આ પણ વાંચો — VADODARA : કોંગી અગ્રણી પોલીસ કમિશનરની મુલાકાતે, બે મુદ્દે કાર્યવાહી કરવા રજૂઆત