+

CHHOTAUDAIPUR : ખેડૂતે પરિશ્રમથી નસીબ ચમકાવ્યું

CHHOTAUDAIPUR : છોટાઉદેપુર (CHHOTAUDAIPUR) જિલ્લાના મગનભાઈએ પશુપાલન અને ખેતી વ્યવસાય ને નવી દિશા ચીંધી છે. તેમજ પ્રકૃતિ અને જીવ સાથે પ્રવૃત્તિ કરવી છે, ના લીધેલા સંકલ્પને પાર પાડી ખેડુતો અને…

CHHOTAUDAIPUR : છોટાઉદેપુર (CHHOTAUDAIPUR) જિલ્લાના મગનભાઈએ પશુપાલન અને ખેતી વ્યવસાય ને નવી દિશા ચીંધી છે. તેમજ પ્રકૃતિ અને જીવ સાથે પ્રવૃત્તિ કરવી છે, ના લીધેલા સંકલ્પને પાર પાડી ખેડુતો અને પશુપાલકો માટે પ્રેરણા રૂપ સાબિત થયા છે.

વ્યવસાયનો બહોળો ફેલાવો

ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) છોટાઉદેપુર ની ટીમ 65 કીલો મીટરનો પ્રવાસ ખેડી એવા વ્યક્તિ વિશેષની મુલાકાતે પહોંચી હતી કે જેણે, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખોબા જેવા ખંદુપુરા ગામમાં વસેલ મૂળ સૌરાષ્ટ્રના મગનભાઈ આહીર અને તેમના પરિવાર દ્વારા ખેતી અને પશુપાલનના વ્યવસાયને પોતાના પરિશ્રમના પરસેવાથી સીંચી આજે દેશ અને દુનિયામાં પોતાના વ્યવસાયનો બહોળો ફેલાવો કર્યો છે.

ગુણવત્તાના આધારે સ્થાન

ખંદુપુરા ગામમાં મગનભાઈએ એક તરફ 350 એકર જમીનના એક હિસ્સામાં પ્રાકૃતિક ખેતી કરી તેના ઉત્પાદનને સ્થાનિક બજારો ઉપરાંત ઓનલાઇન માર્કેટમાં સ્થાન અપાવી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત આલમને ઉંગલી નિર્દેશ કર્યો છે. તો બીજી તરફ 200 ગાયો અને 50 ભેંસોના પશુપાલન વ્યવસાય થકી ઉત્પાદિત ચીજ વસ્તુઓની બનાવટ માટે એક મીની ડેરી પ્લાન્ટ ઊભો કરી તેને પણ રાજ્યના બજારો સહિત દુનિયાના ૧૨ જેટલા દેશોમાં તેઓની પ્રોડક્ટની ગુણવત્તાના આધારે સ્થાન અપાવ્યું છે.

ગોપાલ રત્ન પુરસ્કારથી સન્માન

ગીર ઓર્ગેનિક ના નામે ઓનલાઇન માર્કેટ પ્લેટફોર્મ થકી વિદેશોમાં પણ તેઓની બનાવટનું વેચાણ વિસ્તાર વધારી નામના મેળવી છે. પશુપાલન વ્યવસાયમાં વિશાળકાય સાહસ અને સિદ્ધિ ની સરાહનીય પ્રવૃત્તિના કારણે વર્ષ 2023માં તેઓના પુત્ર નિલેશભાઈનું પશુપાલન વિભાગે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારથી સન્માન કર્યું હતુ.

મીની ડેરી પ્લાન્ટ

વર્ષ 2007માં મૂળ વતન સૌરાષ્ટ્રથી પોતાના મુખ્ય વ્યવસાય હીરા ઉદ્યોગને છોડીને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખંદુપુરા ગામમાં વસેલ મગનભાઈએ પોતાના વ્યવસાયની શરૂઆત 150 એકર માં ખેતી અને 100 જેટલાં પશુઓ સાથે પશુપાલનની શરૂઆત કરી હતી. જે આજે 350 એકરમાં વિસ્તરેલ ખેતી અને 250 પશુઓ સાથે મીની ડેરી પ્લાન્ટમાં રૂપાંતરિત ના ફળ સ્વરૂપે જોવા મળી રહ્યો છે.

નવા વ્યવસાયની શરૂઆત

ખંદુપુરા ગામે રહેતા મગનભાઈ આહિરે ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) સાથે ની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું હતું કે, મેં નક્કી કર્યું હતું કે મારી ઉંમર 50 વર્ષ ની થશે એટલે પછી પ્રકૃતિ અને જીવ સાથે જીવીશ. અને પોતાના સંકલ્પને સાકાર કરવાની શોધમાં છોટાઉદેપુર ના ખંડુપુરા ગામમાં પોતાના નવા વ્યવસાયની શરૂઆત કરી. અહીંના આ વાડા થકી આ વિસ્તારના 65 જેટલા લોકોને રોજગારી મળે છે. ગાયોના વાડાની કામગીરીનું સંચાલન દીકરો નિલેશ અને ભત્રીજો નીતિન કરે છે.

શીખવા, સમજવા વિદ્યાર્થીઓ આવે

ગીર ગાયો થકી મળતા દુધ અને તેમાંથી ઘી અને છાસ કેવી રીતે બને છે. ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરાય છે. ઓર્ગેનિક ખેતી માટે દવા કેવી રીતે ઘરે જ બનાવાય છે? એ શીખવા, સમજવા માટે ક્યારેક ક્યારેક દૂરથી વિદ્યાર્થીઓ પણ આવે છે.

ગાયો માટે ઓર્ગેનિક ખોરાક

50 જેટલી ગીર ગાયથી વાડાની શરૂઆત કરી હતી. અત્યારે 200 જેટલી ગીર ગાય છે, 40 જેટલી ભેંસ છે. આ તમામને ફરવા અને ચરવા માટે 100 એકર જેટલી જમીન અમારી પોતાની છે. ગાયોને સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખોરાક જ ખવડાવવામાં આવે છે. મહત્વની વાત એ છે કે પશુઓની ઈમ્યુનિટી જળવાઈ રહે તે માટે તેઓના ખેતરમાં ઉછરેલ લીમડાના પાંદડા પણ ખવડાવવામાં આવે છે. જ્યારે લંપી વાઇરસ ફેલાયો ત્યારે અહીંની એક પણ ગાયને ચેપ લાગ્યો નહોતો.

સંશોધનમાં જાણવા મળ્યા

અત્રે ખાસ ઉલ્લેખનીય એ પણ છે કે મગનભાઈ આહીર પોતાના પરિવાર સાથે જે મકાનમાં રહે છે તે ખાસ પ્રકારના બાંધકામથી નિર્મિત છે. જેમાં સંપૂર્ણપણે વાંસ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં કહેવાય છે કે ગરમીમાં ખૂબ ગરમી નહીં અને ઠંડીમાં ખૂબ ઠંડી નહીં તેવી ખાસ પ્રકારની તાસીરની અનુભૂતિ કરાવતા નિવાસ માં આ સાથે અનેક વૈજ્ઞાનિક કારણો મુલાકાતીઓના સંશોધનમાં જાણવા મળ્યા છે.

સિદ્ધિઓ પ્રશંસાને પાત્ર

ત્યારે ડી. એસ. પંચાલ. જીલ્લા ખેતવાડી અધિકારી છોટા ઉદેપુર જણાવી રહ્યા છે કે મગનભાઈ આહીર એ અમારા જિલ્લાના રત્ન સમાન છે. તેઓ દ્વારા કરવામાં આવેલી પશુપાલન અને ખેતી વ્યવસાય થકી સિદ્ધિઓ પ્રશંસાને પાત્ર છે. જેની પ્રેરણા લઈ જિલ્લાના તમામ ખેડૂતો તેઓની પદ્ધતિને અનુસરે તે ઇચ્છનીય છે.

અહેવાલ – તૌફીક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો — Gondal: બે કાર વચ્ચે થયો ભીષણ અકસ્માત, એક મહિલા સહિત 2 ના મોત

Whatsapp share
facebook twitter