BHARUCH : જંબુસર (JAMBUSAR) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની નવી ટર્મના ચેરમેનની ચૂંટણી જીલ્લા રજીસ્ટ્રારની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ભાજપ તરફથી અપાયેલ મેન્ડેટની ડિરેક્ટરોએ અવગણના કરીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીને પુન: વિજેતા બનાવ્યા હતા.
મતદાનની પ્રક્રિયા હાથ ધરી
જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના વર્તમાન ચેરમેનની ટર્મ પુર્ણ થતા નવી ટર્મના ચેરમેનની વરણીની પ્રક્રિયા જિલ્લા રજીસ્ટ્રાર પરેશભાઈ કણકોટીયાની અધ્યક્ષતામાં હાથ ધરવામા આવી હતી. ચેરમેનની વરણીની પ્રક્રિયા હાથ ધરાતા અગાઉ ભારતીય જનતા પાર્ટીના જીલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ તથા મંત્રી જીગ્નેશભાઈ મિસ્ત્રી દ્વારા ભુપેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડના નામનો મેન્ડેટ પોતાના ડિરેક્ટરોને આપવામા આવ્યો હતો. જીલ્લા રજીસ્ટ્રારે ચેરમેનની પ્રક્રિયા હાથ ધરતા મેન્ડેટ ધરાવનાર ભુપેન્દ્રસિંહ રાઠોડ તથા વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીએ ઉમેદવારી નોંધાવતા જીલ્લા રજીસ્ટ્રારે ચેરમેનની વરણી માટે ગુપ્ત મતદાનની પ્રક્રિયા હાથ ધરી હતી.
વનરાજસિંહ મોરી વિજેતા જાહેર
મતદાન બાદ મતગણતરી હાથ ધરાતા વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીને ૧૫ મત તથા ભાજપ તરફી મેન્ડેટ ધરાવનાર ભુપેન્દ્રસિંહ રાઠોડને ૪ મત મળતા ચુંટણી અધિકારી/જીલ્લા રજીસ્ટ્રારે વનરાજસિંહ મોરીને વધુ મત મળતા તેઓને બાકી રહેલ ટર્મ માટેના ચેરમેન તરીકે વિજેતા જાહેર કરતા વનરાજસિંહ મોરીના સમર્થકો તથા ટેકેદારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અને વિજેતા થયેલ વનરાજસિંહ મોરીને ડિરેક્ટરો સહિત ઉપસ્થિત ટેકેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.
મેન્ડેટની અવગણના
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચેરમેન બનનાર વનરાજસિંહ મોરી જંબુસરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીના પુત્ર હોય અને ભાજપ તરફી આવેલા મેન્ડેટ ની અવગણના કરતા. મેન્ડેટ ધરાવનાર ભુપેન્દ્રસિંહ રાઠોડની હાર થતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી.
અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો — DAHOD : પરિણીતાના મોત બાદ પરિજનોના ગંભીર આરોપ