AHMEDABAD : ઓઢવના સિંગરવામાં લેબર કોન્ટ્રાક્ટર પરિવાર સાથે ધાબા સૂવા ગયો અને તસ્કરોએ ઘરમાં હાથફેરો કરીને પલાયન થઇ ગયા હતા. જેમાં તસ્કરો સ્લાઇડિંગ બારીમાંથી સાધનથી દરવાજો ખોલી ઘરમાં ઘૂસીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 10.92 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે લેબર કોન્ટ્રાક્ટરે અજાણ્યા તસ્કરો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી છે.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
સિંગરવામાં રહેતા શિવપ્રતાપસિંહ રાઠોડ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. ગત 12 જૂને રાત્રીના સમયે તેઓ ઘરનો દરવાજો બંધ કરીને પરિવાર સાથે ધાબા પર સૂવા ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે તેઓ ઘરના નીચેના માળે ગયા ત્યારે મુખ્ય દરવાજો થોડો ખુલ્લો હતો. અને સ્લાઇડીંગ બારી ખુલ્લી હતી. જેથી તેમને ઘરમાં જઇને તપાસ કરતા બધો સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો અને તિજોરીનો દરવાજો તૂટેલ હતો. જેથી તેમને બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો નીચે આવી ગયા હતા. જે બાદ તિજોરીમાં જોતા લેબરના પગારના રોકડા રૂ. 8 લાખ અને ત્રણ ભાઇઓના પરિવારના સભ્યોના રૂ. 2.92 લાખના સોના-ચાંદીના દાગીના પણ ગુમ હતા. જેથી અજાણ્યા ચોરો સ્લાઇડર બારીમાંથી કોઇ સાધનથી દરવાજો ખોલીને અંદર ઘૂસીને કુલ રૂ. 10.92 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે શિવપ્રતાપસિંહે અજાણ્યા ચોર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
કાગડાપીઠમાં આઘેડના ઘરેથી ચોર રૂ. 1.32 લાખની મત્તા ચોરી ફરાર
જમાલપુર એએમટીએસ સ્ટાફ કવાટર્સના કથળેલી હાલતના મકાનમાં રહેતા શાંતિલાલ સોલંકી તેમની પત્ની દીકરા અને પુત્રવધુ સાથે રહે છે. ગઇકાલે તે અને તેમની પત્ની મજુરી કામ શોધવા માટે બહાર ગયા હતા. ત્યારે પુત્ર અને પુત્રવધુની તબિયત સારી ન હોવાથી અંદરના રૂમમાં સુતા હતા. આ સમયે તસ્કરોએ ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશીને મંદિરમાં મુકેલા રૂ.૩૦૦૦ અને સોના ચાંદીના દાગીના મળીને કુલ. ૧.૩૨ લાખના મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જો કે મજુરી નહી મળતા તેઓ બપોરે ઘરે આવ્યા ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોઇને ખ્યાલ આઈ ગયો કે ઘરમાં ચોરી થઈ છે. આ અંગે આઘેડે અજાણ્યા ચોર સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
અહેવાલ — પ્રદીપ કચિયા, અમદાવાદ
આ પણ વાંચો —AHMEDABAD : અંડરપાસમાંથી વરસાદનું પાણી ઉલેચવા પંપ મુકાશે