Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પોણા બે કરોડની છેતરપિંડી મામલે 71 વર્ષિય વૃદ્ધાએ નોંધાવી ફરિયાદ

12:56 PM Sep 20, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા શેરખી ગામમાં 71 વર્ષિય વૃદ્ધા મળી ત્રણ મહિલાઓના નામે આવેલા પૈતૃક જમીન પરિચીતે પડાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોણા બે કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું ધ્યાને આવતા આખરે મહિલાએ વડોદરા તાલુકા પોલીસ મથકમાં બે ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વેચાણથી રાખવા માંગતા હોવાથી મીટીંગ કરી

વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) માં જીવાબેન નટવરસિંહ રાઠોડ (ઉં. 71) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, શેરખી ગામમાં તેમની પૈતૃક જમીન આવેલી છે. તેમના પિતાનું 50 વર્ષ પહેલા નિધન થયું હતું.જમીનના વારસદાર તરીકે કપીલાબેન રાવજી પઢીયાર અને લીલાબેન ગણપતભાઇ રાજપુતના નામ રેકોર્ડમાં હતા. આ જમીનની દેખરેખનું કામ કરવા વાળું કોઇ ન્હતું. તાજેતરમાં ગામના ધર્મેન્દ્રભાઇ રાવજીભાઇ ગોહીલ તથા અરવિંદસિંહ ગુલાબસિંહ રણા એ આવીને પાર્ટી જમીન ખરીદવા માંગે છે તેમ જણાવ્યું હતું. આ જમીન યોગેન્દ્રસિંહ જગદેવસિંહ ગોહિલ અને ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર વેચાણથી રાખવા માંગતા હોવાથી મીટીંગ કરી હતી. અને રૂ. 1.93 કરોડમાં જમીન આપવાનું મૌખિક નક્કી થયું હતું. ખરીદનાર પીયરપક્ષના હોવાથી કોઇ લેખિત કરાર કરવામાં આવ્યો ન્હતો.

ભરોસો રાખીને બાનાખતમાં ફોટા ચોંટાડી સહી કરવામાં આવી

થોડાક સમય બાદ યોગેન્દ્રસિંહે આવીને કહ્યું કે, જમીનના થોડા કાગળો બનાવવાના છે. બાદમાં આણંદના ઓડ ખાતે જઇને વકીલની ઓફીસે જમીન વેચાણ બાબતનું બાનાખત તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં જમીન વેચાણથી આપીએ છીએ તેવું લખ્યું હતું. તે સિવાય બાનાખતમાં લખેલી રકમ તથા અન્ય શરતો અંગે કોઇ વિગતવાર સમજ આપવામાં આવી ન્હતી. પરિચીત હોવાથી ભરોસો રાખીને બાનાખતમાં ફોટા ચોંટાડી સહી કરવામાં આવી હતી. ત્યાર બાદ યોગેન્દ્રસિંહે રૂ. 2 લાખના ત્રણ ચેક આપ્યા હતા. ત્યાર બાદ કોઇ સરકારી કચેરીમાં જઇને તેમના કહ્યા મુજબ જવાબો આપ્યા હતા. દસ્તાવેજ સમયે વિગતમાં જણાવેલા ચેક રૂ. 40 લાખના હતા. જેથી ધર્મેન્દ્રસિંહને વાત થયેલી રૂ. 1.93 કરોડની કિંમત અંગે પુછતા તેણે જણાવ્યું કે, જે રકમને સોદો થયો છે, તેનો દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે. રકમનો દસ્તાવેજ બનાવવામાં આવે તો સરકારમાં ઘણી રકમ ટેક્સ પેટે ચુકવવી પડે. તે રકમ ઓછી થાય અને આપણે એક ગામના છીએ, હું શું કામ તમને ખોટીરીતે નુકશાન પહોંચાડું. વેચાણની જમીન રેવન્યુ રેકોર્ડમાં ચઢી જાય એટલે તમારો તમામ હિસાબ ચુક્તે થઇ જશે.

બે સામે ફરિયાદ

જે બાદ રૂ.23 લાખના ચેકો ગજેન્દ્રસિંહના એકાઉન્ટમાં પૈસા ના હોવાના કારણે પરત આવ્યા હતા. બાદમાં રૂ. 1.93 કરોડ સામે માત્ર રૂ. 16.66 લાખ ચુકવીને બાકીના રૂ. 1.76 કરોડ રૂપિયા નહીં આપીને જમીન પડાવી લેવા મામલે ગજેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર (અલવાડું ફળિયું, શેરખી, વડોદરા ગ્રામ્ય) અને યોગેન્દ્રસિંગ જગદેવસિંહ રાઉલજી (બાપુનગર, શેરખી ગામ, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ નોંધાવવા પામી છે.

આ પણ વાંચો — VADODARA : કોંગી આગેવાનોને DCP એ ધક્કે ચઢાવતા સામ-સામે આવ્યા