VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે (CM OF GUJARAT – BHUPENDRA BHAI PATEL) વડોદરા (VADODARA) ના નાના વેપારીઓ માટે ખાસ જાહેર કરેલા પૂર રાહત પેકેજનો લાભ તુરંત મળે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૩૦ સર્વેયરોની ફોજ ઉતારવામાં આવી છે. આ ટીમો દ્વારા સર્વેક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કોર્પોરેશન, જીએસટી સહિતના વિભાગોના કર્મયોગીઓને જોડવામાં આવ્યા
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શાહની સંયુક્ત સહીથી વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મયોગીઓને સર્વેક્ષણની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં કોર્પોરેશન, જીએસટી સહિતના વિભાગોના કર્મયોગીઓને જોડવામાં આવ્યા છે.
પાંચ જેટલા જ આધારો જોડવાના રહે
વડોદરાના સુક્ષ્મ અને લઘુ વેપારીઓને કોઇ અગવડતા ના પડે એ માટે થઇને ફોર્મ પણ એકદમ સરળ રાખવામાં આવ્યું છે. જેમાં ઓળખના પૂરાવા, વેપારના પરવાના થવા વેરા પાવતી ઉપરાંત બેંકની વિગતો માંગવામાં આવી છે. માત્ર પાંચ જેટલા જ આધારો જોડવાના રહે છે. તેમાં પણ વિકલ્પો આપવામાં આવ્યા છે.
પૂર રાહત પેકેજ માટે ચાર ટીમો બનાવવામાં આવી
નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર રાહત પેકેજ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં ૫૦થી ૬૦ કર્મયોગીઓને રાખવામાં આવ્યા છે અને તેને શહેર પ્રાંત તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરના હવાલે મૂકવામાં આવ્યા છે. ત્યાંથી વિસ્તારો મુજબ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો — VADODARA : પાલિકાના ભરતી મેળામાં ઉમેદવારોનું ઘોડાપૂર