VADODARA : વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે. આજે રૂ. ૫.૨૫ કરોડના ચૂકવણા કરવામાં આવ્યા હતા. સહાયની રકમ સીધી વેપારીઓના ખાતામાં જમા કરાવવામાં આવી છે.
દુકાનો બંધ હોવા છતાં સર્વેયરો દ્વારા કામગીરી શરૂ
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શાહના સહીથી એક આદેશ જારી કરી ૨૦૦ જેટલા સર્વેયરોને આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. આ સર્વેયરો દ્વારા શનિવારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે, રવિવાર અને તહેવારના કારણે ઘણીઘરી દુકાનો બંધ હોવા છતાં સર્વેયરો દ્વારા કામગીરી શરૂ રાખવામાં આવી હતી.
સહાય સીધી ખાતામાં ચૂકવવામાં આવી
નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, ઉક્ત કામગીરીની ફળશ્રુતિ સ્વરૂપે મંગળવાર સાંજ સુધીમાં ૩૫૫૫ વેપારીઓને રૂ. ૫.૨૫ કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. લારી, રેંકડીના ૨૩૭૦ લાભાર્થીઓને રૂ. ૧.૧૯ કરોડ, નાની કેબીનવાળા ૪૦૩ વેપારીઓને રૂ. ૮૦.૬૦ લાખ, મોટી કેબીનવાળા ૭૫૨ વેપારીઓને રૂ. ત્રણ કરોડ અને પાકી દૂકાનવાળા ૩૦ વેપારીઓને રૂ. ૨૫.૫૦ લાખની સહાય સીધી ખાતામાં ચૂકવવામાં આવી છે.
રૂ. ૨૫ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી
શહેર પ્રાંત અધિકારી વી. કે. સાંબડે જણાવ્યું કે, ૨૦૦ જેટલા સર્વેયરો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. એટલે, ઝડપથી વેપારીઓને સહાય ચૂકવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ માટે રૂ. ૨૫ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે.
આ પણ વાંચો — VADODARA : “મારા કાકા કોર્પોરેટર છે, પોલીસ પણ કંઇ…”, ધમકી આપતા ફરિયાદ