Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પૂરગ્રસ્ત લોકોના રોષનો શિકાર બન્યા દંડક અને શહેર ભાજપ પ્રમુખ

04:09 PM Aug 29, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા ત્રણ દિવસથી પૂરની (FLOOD – 2024) સ્થિતી હતી. લાખોની સંખ્યામાં લોકો વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળવાને કારણે અસરગ્રસ્ત થયા હતા. ગઇ કાલથી પૂરના પાણી ઓસરવાના કારણે શહેરવાસીઓની ચિંતા ધીરે ધીરે દુર થઇ રહી છે. ત્યારે લોકોને નેતાઓની જરૂર હતી ત્યારે મોટા ભાગના વિસ્તારોમં નેતાઓ પહોંચ્યા નથી. જેથી લોકોમાં ભારે રોષ છે. ત્યારે આજે સમા વિસ્તારમાં આવેલી અજીતા નગર સોસાયટીમાં લોકોના રોષનો ભોગ વિધાનસભાના દંડક અને ભાજપ પ્રમુખ બન્યા છે. આવનાર સમયમાં અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકરોષનો ભોગ બને તો નવાઇ નહી.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી શહેરની સ્થિતીનું મોનીટરીંગ કરતા હતા

વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી વહી રહી છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા શહેરભરમાં તેના પાણી ફરી વળે છે. ત્યારે વર્ષ 2019 બાદ આ વખતે વધુ એક વખત સત્તાધીશો શહેરને પૂરમાં ધકેલવાથી બચાવી શક્યા નથી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો વિજળી, ભોજન અને પીવાના પાણી વગર ત્રણ ત્રણ દિવસ ટળવળ્યા હતા. તેવામાં જ્યારે લોકોની વચ્ચે જઇને તેમને મદદરૂપ થવાના પ્રયાસો કરવા જોઇએ, તેની જગ્યાએ કોર્પોરેટરો અને ધારાસભ્યો ગેરહાજર મળ્યા હતા. ધારાસભ્યો મોટા ભાગના સમયે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી શહેરની સ્થિતીનું મોનીટરીંગ કરી રહ્યા હતા.

કોર્પોરેટર પણ તેમની મદદે ન આવતા લોકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ

શહેરના હરણી, સમા વિસ્તારમાં મોંઘા ડુપ્લેક્ષ અને ફ્લેટ્સમાં રહેતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેવા સમયે સ્થાનિક કોર્પોરેટર પણ તેમની મદદે ન આવતા લોકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષની લાગણી જોવા મળી રહી છે. આ વાતની સાબિતી કરાવતો કિસ્સો સપાટી પર આવ્યો છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અજીતાનગરમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ તથા સ્થાનિક કોર્પોરેટર અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે.

સાહેબ જે નુકશાન થયું તેની ભરપાઇ કરશો ?

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રહીશો નેતાઓ સામે હાથ જોડીને જય સિયારામ કહી રહ્યા છે. એક સાથે બધા લોકો બોલતા હોવાથી ત્રુટક ત્રુટક સંવાદ સાંભળવા મળી રહ્યો છે. એક રહીશ પુછે છે કે, સાહેબ જે નુકશાન થયું તેની ભરપાઇ કરશો ? છે લાયકાત કહેવાની હા ? તમે આવ્યા તે માટે તમારો આભાર, આ રહ્યો રસ્તો જય સિયારામ. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાનો મોટાભાગનો વિસ્તાર પૂરગ્રસ્ત છે, ત્યારે આવનાર સમયમાં આ પ્રકારની વધુ ઘટનાઓ સામે આવો તો નવાઇ નહીં.

આ પણ વાંચો — VADODARA : જિલ્લા ભાજપ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર, અતિવૃષ્ટિ સામે ઝડપી સહાય ચૂકવવા માંગ