Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોરોનાકાળના ૨ વર્ષ બાદ BJ-Beats ઇવેન્ટ પુન:ધબકતી થઈ

10:03 PM Apr 16, 2023 | Vipul Pandya

સારવાર સાથેનો માનવીય અભિગમ જ તબીબોને સમાજમાં માનભેર જીવતા શીખવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં સારવાર અને સંભાળ સાથે દર્દી અને તેમના સગાઓનું કાઉન્સેલીંગ પણ અતિઆવશ્યક બની ગયું છે.ત્યારે  આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સંવેદનાપૂર્ણ જણાવ્યું. અને ઋષિકેશ પટેલે કોરોનાની વિકટ પરિસ્થિતિના કારણે ૨ વર્ષથી સ્થગિત રહેલી અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજની બી.જે. બિટ્સ ઇવેન્ટને પુન:ધબકતી કરાવી છે. 
ચાર-દિવસીય ઇવેન્ટમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર દિવસમાં તમામ સ્ટ્રેસને નેવે મૂકીને તેનો ભરપૂર આનંદ માણવા અને સાથો-સાથ દર્દીઓને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તેનું પણ સંવેદનાપૂર્ણ ધ્યાનરાખવા મંત્રી એ સ્ટુડન્ટ્સને અનુરોધ કર્યો હતો. 
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, આ વર્ષના અંદાજપત્રમાં પાંચ નવીન મેડિકલ કૉલેજ શરૂ કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં જ પુર્ણ થતા કૉલેજ માટે સ્ટાફ ભરતી પ્રક્રિયાનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ પાંચેય મેડિકલ કૉલેજો જલ્દીથી જલ્દી પ્રારંભ કરાવીને ગુજરાતના તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ હોવાનું  ઉમેર્યું હતુ. 
સિવિલ મેડિસીટીના સત્કાર્યો અને સેવાની સુગંધ રાજ્ય અને દેશના ખૂણે-ખૂણે પ્રસરી હોવાનું મંત્રી એ કહ્યું હતુ. તેમણે વધુમાં ઉમેર્યુ કે, મેડિકલ ક્ષેત્રે દિન પ્રતિદિન નીતનવા સંશોધનો , તકનીકી ઉપકરણોમાં નવીનીકરણ આવી રહ્યા છે ત્યારે તમામ મેડિકલ સ્ટુડન્ટસે પણ આ સંશોધનો અને નવીનીકરણ સાથે માહિતગાર રહીને અપગ્રેડ રહેવું પડશે.
આરોગ્યમંત્રીએ કોરોનાના કપરા કાળમાં બી.જે.મેડિકલના સ્ટુડન્ટસ, જુનિયર ડૉક્ટર્સ, રેસિડેન્ટ ડૉક્ટર્સ, સિનિયર તબીબો , નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ દ્વારા દરીદ્રનારાયણની સેવામાં કરેલી અવિરત કામગીરીને બિરદાવીને તમામને અભિનંદન પાઠવ્યા હતા. સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમારે કહ્યું કે, બી.જે. મેડિકલ કૉલેજ અને સિવિલ મેડિસીટી કેમ્પસે ગુજરાત અને સમગ્ર દેશને તજજ્ઞ તબીબો આપ્યા છે. 
પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ પ્રસંગે અગાઉની બી.જે.-બીટ્સ ઇવેન્ટમાં સહભાગી બનેલા નરેન્દ્રભાઇ મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓની હાજરીના સંસ્મરણોને વાગોળ્યા હતા. સિવિલ કેમ્પસ ભૂંકપ, બોમ્બ બ્લાસ્ટ, સ્વાઇન ફ્લુ, કોરોના જેવી તમામ કુદરતી કે માનવસર્જિત હોનારતોમાં સેવાનું સાક્ષી રહ્યું છે તેમ પ્રદિપસિંહે જણાવ્યું હતુ. 
બી.જે.-બીટ્સ-2022 ના શુભારંભ પ્રસંગે યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આર.કે. પટેલ, બી.જે.મેડિકલ કૉલેજના ડીન  કલ્પેશ શાહ, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર વિનીત મિશ્રા, કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર  શશાંક પંડ્યા, એડિશનલ ડાયરેક્ટર જયેશ સચદે, સિનિયર તબીબ ડૉ. એચ.બી. ભાલોડિયા સહિત મોટી સંખ્યામાં તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.