આપણે સહુ ઉત્સવપ્રિય પ્રજા છીએ. શ્રાવણ મહિનાથી આપણે ત્યાં તહેવારની સિઝન ચાલુ થઈ જાય. દેવ દિવાળી સુધી આપણે સહુ એક જુદા જ માહોલમાં જીવીએ છીએ. બધાંને તહેવારો ઉજવવા ગમે, નવાં નવાં કપડાં પહેરીને હરવું-ફરવું ગમે. મિત્રો અને પરિવારજનો સાથે મળીને ક્યાંક ફરવા જવાનો પ્લાન થાય. કોઈ તકલીફ ન પડે એ માટે એડવાન્સ બુકિંગ કરાવી લીધું હોય. આખા વર્ષમાં એક સાથે આવતી રજાઓ માણવાના મૂડમાં આપણે સહુ એડવાન્સમાં જ મજાથી રહેવા માંડીએ છીએ.
તહેવારો સાથોસાથ ખર્ચાઓનો ડુંગર લઈને આવે છે. આ ખર્ચને કેમ પહોંચી વળવું એની જેને ચિંતા હોય એ પરિવારો વિશે વાત કરવી છે. આપણે સહુ જાણીએ છીએ કે, આપણી આસપાસ જીવતા અનેક પરિવારોમાં પૈસાદાર કહી શકાય એવા લોકોની સંખ્યા બહુ ઓછી છે. મોટાભાગનો મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગમાં સેટિંગ કરી કરીને ઘર અને પરિવારની જવાબદારીઓ પૂરી થતી હોય છે.
બે દીકરીઓના મા-બાપની આ વાત છે. મા-બાપ બંને નોકરી કરે છે. દીકરીઓ કૉલેજમાં ભણે છે. કો-સ્ટુડન્ટ્સની સાથે કદમ મિલાવવામાં આ દીકરીઓએ નવરાત્રિમાં એટલો બધો ખર્ચ કરી નાખ્યો કે હવે દિવાળીના ખર્ચની ચિંતામાં આ મા-બાપની નીંદર ઉડી ગઈ છે. લિમિટેડ ઈન્કમમાં જીવનારા લોકો માટે ઘણી વખત તહેવારો મુસીબત લઈને આવતા હોય છે.
દેખાદેખીની દુનિયામાં ક્યાં કેટલું આગળ વધવું એની મર્યાદા કુમળી વયના બાળકોને ન ખબર હોય. હાથ તંગીમાં છે એવું કહેતા મા-બાપનો જીવ ન ચાલતો હોય ત્યારે બાળકોની જિદ્દ પૂરી કરવી એ એક જ રસ્તો હોય છે. અત્યારે જે શો-ઓફનું ચલણ ચાલી રહ્યું છે એમાં બાળકોને પાછા વાળીને સાચે રસ્તે લઈ આવવા પણ મોટી જહેમત માગી લે એવું છે.
- બાળકોને સાચી વાત કહેવી જોઈએ કે નહીં?
- દરેક મા-બાપને કે વડીલોને આ સવાલ પજવતો જ હોય છે.
- આપણું બજેટ શું છે એ વાત અને આપણને શું પોસાય એમ છે એ હકીકતથી બાળકોને વાકેફ કરવા જોઈએ કે નહીં?
એક બાજુ આંખોને આંજી દેતી ઝાકમઝોળ. સોશિયલ મિડીયામાં આખી દુનિયા ખુશ છે એવી તસવીરો, રીલ્સ, વિડીયો ક્લીપ, સ્ટેટસ આ બધું જોઈને દિલના એક ખૂણાં કેટલીક વાતો ડંખતી હોય છે. અભાવ હોય ત્યારે આભાસી પ્રભાવ વધુ અસર કરી દેતો હોય છે. આ સંજોગોમાં રિયાલિટી શું છે વાતની પરિવારમાં કેટલે અંશે ખબર હોવી જોઈએ?
ગજા બહારનો ખર્ચ થતો હોય ત્યારે કમાનાર વ્યક્તિને કેટલો સ્ટ્રેસ આવતો હોય છે એ આપણે સહુએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ્યું જ હોય છે. બાળકોને કે પરિવારના બીજા સભ્યોની ડિમાન્ડ ખોટી છે કે સાચી એ ઓથોરિટી જેમના હાથમાં હોય એ વ્યક્તિએ થોડું પ્રેક્ટિકલ બનીને સમજાવવું જરુરી છે. ક્યાં ખર્ચની મર્યાદા છે, ક્યાં ખર્ચ કરી શકાય એમ છે એ વિશે ટીન એજ સંતાન તો સમજી જ શકે. આપણે ઘણી વખત એવા કિસ્સાઓ પણ વાંચીએ છીએ કે, જિદ્ પૂરી ન થતાં સંતાને કંઈક અજુગતું પગલું ભરી લીધું. આ વાંચ્યું હોય પછી ઘણીવાર જિદ્દી સંતાન પાસે કંઈ બોલતા મા-બાપનો જીવ પણ નથી ચાલતો હોતો.
આ સંજોગોમાં શું કરવું જોઈએ?
આજની પેઢીના બાળકોને જે એક્સપોઝર મળે છે એ રીતે એમને અટકાવવા અશક્ય છે. સાથોસાથ એમને હકીકતથી વાકેફ કરવા એ એમના મા-બાપની જ ફરજ છે. અચાનક કોઈ દિવસ કોઈ વાતની ના કહી દેવાથી આંચકાજનક પ્રતિભાવ આવી શકે. આ કરતા એને પહેલેથી જ એ રીતે ટ્રીટ કરવા કે શું યોગ્ય છે કે શું યોગ્ય નથી એ સમજવું એને મોટા થઈને અઘરું ન પડે. અત્યારે હાલત એ થાય છે કે, હજુ નાનો છે કે નાની છે એ વાતમાં બાળકની જિદ્ પૂરી થતી રહે છે. એ મોટું થાય અને પહોંચાય એમ ન હોય કે પોસાય એમ ન હોય ત્યારે એ હકીકત પચાવતા એને વાર લાગે છે. એટલે જ નાના હોય ત્યારથી માંડીને મોટા થાય ત્યાં સુધી ઘરમાં તો મા-બાપ જ એના ગુરુ છે. જિંદગીના સાચા રસ્તે લઈ જનારા, ક્યાંક રોકનાર કે ટોકનાર પણ મા-બાપ જ હોય છે. બાળક કેવું થશે એ વિશે કોઈ ક્યારેય ગેરન્ટી ન આપી શકે. પરંતુ એને હકીકતનો કડવો ઘૂંટડો તો એના મા-બાપ જ પિવડાવી શકે.
jyotiu@gmail.com