+

IND vs BAN : શું ટીમ ઈન્ડિયા આજે લગાવશે જીતનો ચોક્કો કે પછી થશે મોટો ઉલટફેર, જાણો Plying 11 વિશે

ICC World Cup 2023 ની 17 મી મેચ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ભારતે પ્રથમ ત્રણેય…

ICC World Cup 2023 ની 17 મી મેચ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ભારતે પ્રથમ ત્રણેય મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશને ત્રણમાંથી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ભારત સામેની છેલ્લી ચાર મેચોમાં બાંગ્લાદેશે જીત્યું છે ત્રણ મેચ

વર્લ્ડ કપ 2023 માં અત્યાર સુધી બે અપસેટ જોવા મળ્યા છે અને ભારત સામેની છેલ્લી ચાર મેચોમાં બાંગ્લાદેશના રેકોર્ડને જોતા ટીમ આ મેચમાં કોઈ જોખમ લેવાનું ટાળવા માંગે છે. જણાવી દઇએ કે, બાંગ્લાદેશ છેલ્લા કેટલાક સમયથી ODI ફોર્મેટમાં ભારત પર પ્રભુત્વ જમાવી રહ્યું છે. બાંગ્લાદેશે છેલ્લી ચાર વનડેમાંથી ત્રણમાં ભારતને હરાવ્યું છે. આમાં સૌથી તાજેતરની મેચ એશિયા કપની છે જેમાં તેણે ભારતીય ટીમને 6 રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશ ટીમ માટે સૌથી મોટો પડકાર રોહિત શર્માનો સામનો કરવાનો રહેશે. તેણે બાંગ્લાદેશ સામે 2015 (મેલબોર્ન) વર્લ્ડ કપ મેચમાં 137 રન અને 2019 (બર્મિંગહામ) વર્લ્ડ કપ મેચમાં 104 રનની ઇનિંગ્સ રમી છે. આવી સ્થિતિમાં સુકાની રોહિત શર્મા આ મેચને બિલકુલ હળવાશથી લેવા માંગતા નથી.

ટીમ ઈન્ડિયા 300+ સ્કોર કર્યા પછી પણ હારી ગઈ

વર્ષ 2021માં પુણેની પિચ પર ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. આ મેચમાં કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા માટે 108 રનની ઈનિંગ રમી હતી. આટલો મોટો સ્કોર બનાવ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા અહીં મેચ હારી ગઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે આક્રમક બેટિંગ કરી અને 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધું હતું. ભારત આ મેચને ક્યારેય ભૂલી શકશે નહીં અને જ્યારે વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટની વાત આવે છે ત્યારે ભૂલને કોઈ અવકાશ નથી.

આ ખેલાડી પ્લેઇંગ 11માં પરત ફરી શકે છે

બાંગ્લાદેશના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘાએ કેપ્ટન શાકિબ અલ હસનની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે. સુકાની શાકિબ અલ હસને જાંઘના સ્નાયુની ઈજામાંથી સાજા થયા બાદ નેટ્સ સેશનમાં સારો સમય પસાર કર્યો હતો. ચંડિકા હથુરુસિંઘાએ જોકે કહ્યું કે શાકિબ ભારત સામે ત્યારે જ મેચ રમશે જ્યારે તે સંપૂર્ણ રીતે ફિટ અનુભવશે. કોચે કહ્યું કે શાકિબે ગઈ કાલે સારી બેટિંગ કરી હતી. તેણે વિકેટ વચ્ચે થોડી રનિંગ પણ કરી હતી. અમે સ્કેનના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેને હજુ સુધી બોલિંગ કરાવ્યું નથી. અમે સવારે ઈજાનું મૂલ્યાંકન કરીશું અને નિર્ણય લઈશું. જો તે ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવામાં નિષ્ફળ જશે તો અમે જોખમ નહીં લઈએ. જો તે સંપૂર્ણ રીતે તૈયાર હશે તો જ તે મેચ રમી શકશે.

પિચ રિપોર્ટ

મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે ઘણી મદદગાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, અહીં ઘણા ચોગ્ગા અને છગ્ગા જોવા મળી શકે છે. જોકે, શરૂઆતમાં ફાસ્ટ બોલરોને પણ મદદ મળે તેવી શક્યતાઓ છે. આ સિવાય બોલરોને અહીં બહુ ઓછી તક મળશે. આ પિચ પર સ્પિન બોલરોને થોડી મદદ મળી શકે છે, જેનો ફાયદો બંને ટીમના બોલરો ઉઠાવી શકશે.

આ ભારતીય પ્લેઈંગ 11 હોઈ શકે છે

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો – World Cup : ટીમ ઈન્ડિયા વિરુદ્ધ હાર મળ્યા બાદ પાકિસ્તાનની ટીમે ICC ને જાણો શું કરી ફરિયાદ

આ પણ વાંચો – ICC World Cup 2023 માં વધુ એક અપસેટ સર્જાયો, નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter