Rahul Gandhi in Lok Sabha : લોકસભામાં આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલા પર અંગત ટિપ્પણી કરી હતી. જેમા તેમણે કહ્યું કે, લોકસભા સ્પીકર જ્યારે વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવે છે ત્યારે તેઓ નમી જાય છે પણ બીજી તરફ જ્યારે તેઓ મને મળ્યા ત્યારે તેઓ તેમની સામે નમીને મળ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, લોકસભાના સ્પીકર હંમેશા નિષ્પક્ષ હોવા જોઇએ.
લોકસભા સ્પીકરે નિષ્પક્ષ રહેવું જોઇએ : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીના લોકસભા સ્પીકર પર કરવામાં આવેલા અંગત પ્રહાર પર ઓમ બિરલાએ જવાબ આપ્યો કે મારા મૂલ્યો શીખવે છે કે વ્યક્તિએ વડીલો સમક્ષ નમવું જોઈએ અને તેમની સાથે વાત કરવી જોઈએ અને સમાન ઉંમરના લોકો સાથે સમાન વર્તન કરવું જોઈએ. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, વડાપ્રધાન ગૃહના નેતા છે. મારા મૂલ્યો મને વડીલો સમક્ષ નમન કરવાનું શીખવે છે અને જો જરૂરી જણાય તો તેમના પગ સ્પર્શ કરીને આદર આપો. વળી, તમારા સમાન અને તમારા કરતા નાના લોકો સાથે બરાબરીનો વ્યવહાર કરો. સ્પીકર ઓમ બિરલાના જવાબ પર પણ રાહુલ ગાંધી ચૂપ ન રહ્યા અને વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ભલે મોટા હોય પણ તમે લોકસભામાં સ્પીકર છો. હું અને સમગ્ર વિપક્ષ તમારી સામે ઝૂકીશું. આ રીતે રાહુલ ગાંધીએ સ્પીકર પર અંગત પ્રહારો કર્યા હતા અને શાસક પક્ષના સાંસદોએ તેમનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી પર પણ નિશાન સાધ્યું હતું.
રાહુલના રાજનાથસિંહ અને નીતિન ગડકરી પર કટાક્ષ
રાહુલ ગાંધીએ કહ્યું કે રાજનાથ સિંહજી સવારે તેમને મળ્યા હતા અને તેમણે હસીને મારી તબિયત વિશે પૂછ્યું હતું. હવે જ્યારે તેઓ ગૃહમાં બેઠા છે ત્યારે તેઓ ગંભીર છે. કારણ કે તેઓ નરેન્દ્ર મોદીની સામે મારી સાથે વાત કરતા ડરે છે. નીતિન ગડકરીજીની પણ આવી જ હાલત છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકોએ સમગ્ર દેશમાં ભય ફેલાવ્યો છે અને પાર્ટીમાં પણ ડર જાળવી રાખ્યો છે. નોંધનીય છે કે આજે રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવીને કહ્યું કે અમે તેમની પાસેથી શીખીને વિપક્ષનો સામનો કર્યો છે. એટલું જ નહીં, ભગવાન શિવની અભયમુદ્રાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તે આપણને અહિંસા શીખવે છે, પરંતુ જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ દિવસભર હિંસા કરે છે.
રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઇએ : ગૃહમંત્રી અમિત શાહ
તેમના નિવેદન પર લોકસભામાં હોબાળો થયો હતો. PM નરેન્દ્ર મોદીએ પોતે સીટ પર ઉભા રહીને કહ્યું કે કોઈ પણ સમાજને હિંસક કહેવું યોગ્ય નથી. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે માંગ કરી હતી કે રાહુલ ગાંધીએ આખા દેશની માફી માંગવી જોઈએ. સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલ ગાંધીને સલાહ આપી હતી અને કહ્યું હતું કે કોઈપણ સમાજ વિશે વાંધાજનક વાતો ન કરવી જોઈએ.
આ પણ વાંચો – Rahul Gandhi ના હિન્દુઓ પરના નિવેદનથી સંસદમાં હંગામો…
આ પણ વાંચો – Amit Shah : ” હવે ન્યાય સજાનું સ્થાન લેશે….”