+

રાહુલે કેમ પ્રિયંકા માટે વાયનાડ છોડ્યું…?

Wayanad : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ ( Wayanad) લોકસભા સીટ છોડવાનો નિર્ણય કર્યો છે. તેઓ રાયબરેલીથી સાંસદ રહેશે. આ અંગે માહિતી આપતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પ્રિયંકા…

Wayanad : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ ( Wayanad) લોકસભા સીટ છોડવાનો નિર્ણય કર્યો છે. તેઓ રાયબરેલીથી સાંસદ રહેશે. આ અંગે માહિતી આપતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પ્રિયંકા ગાંધી વાયનાડ સીટ પર થનારી પેટાચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં તેમની બંને બેઠકો – વાયનાડ અને રાયબરેલી પ્રભાવશાળી માર્જિનથી જીતી હતી. નવી દિલ્હીમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ચર્ચા કર્યા પછી કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત કોંગ્રેસનું આક્રમક વલણ

જ્યારે 2019માં ગાંધી પરિવારના ગઢ ગણાતા અમેઠીમાં રાહુલ ગાંધી ભાજપની સ્મૃતિ ઈરાની સામે હારી ગયા, ત્યારે વાયનાડે રાહુલને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા અને તેમને ભારતની સંસદમાં મોકલ્યા. તો પછી રાહુલે મુશ્કેલ સમયમાં તેમને સાથ આપનાર વાયનાડ છોડીને રાયબરેલી કેમ પસંદ કરી? વાસ્તવમાં આ નિર્ણય પાર્ટીની રણનીતિ દર્શાવે છે. 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત કોંગ્રેસ આક્રમક વલણ અપનાવી રહી છે.

કોંગ્રેસ રાહુલ અને પ્રિયંકા ગાંધી બંનેને સંસદમાં રાખીને વિપક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે

નરેન્દ્ર મોદી 2014 અને 2019ની સરખામણીમાં રાજકીય રીતે નબળી સ્થિતિમાં છે, કારણ કે આ વખતે કેન્દ્રમાં ગઠબંધનની સરકાર છે, સંપૂર્ણ બહુમતી નથી. કોંગ્રેસ રાહુલ અને પ્રિયંકા ગાંધી બંનેને સંસદમાં રાખીને વિપક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રચારનું નેતૃત્વ કર્યું હતું. શા માટે રાહુલે કેરળના વાયનાડને બદલે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સીટ પરથી સાંસદ બનવાનું પસંદ કર્યું તે મુદ્દો મહત્વનો છે.

1) ઉત્તર પ્રદેશ પર કોંગ્રેસની નજર

2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં છ બેઠકો જીતી હતી. 2019માં તેઓ માત્ર રાયબરેલી સીટ જીતી શક્યા હતા. ઈન્ડિયા બ્લોકે યુપીમાં 43 સીટો જીતી હતી, જેમાંથી સમાજવાદી પાર્ટીએ 37 સીટો જીતી હતી. એનડીએ માટે આ એક મોટો આંચકો હતો, જેણે 2019 માં યુપીમાં 80 લોકસભા બેઠકોમાંથી 62 જીતી હતી. 2024ની ચૂંટણીમાં એનડીએ માત્ર 36 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે ભાજપને 33 બેઠકો મળી હતી. વોટ શેરના સંદર્ભમાં માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી (BSP)ને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. તેનો વોટ શેર 19% થી ઘટીને 9% થયો. આ મતો મુખ્યત્વે સમાજવાદી પાર્ટી તેમજ કોંગ્રેસને ગયા હતા. જો SPને BSPના વોટ શેરના 6-7%નો ફાયદો થયો, તો કોંગ્રેસને 2-3%નો ફાયદો થયો. કોંગ્રેસને આશા છે કે તે ઉત્તર પ્રદેશમાં દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ મતોનો ફાયદો ઉઠાવી શકે છે. રાહુલ ગાંધીએ વાયનાડને બદલે રાયબરેલી સીટ પસંદ કરવાનું આ પહેલું કારણ જણાય છે.

2) વ્યૂહરચનામાં પરિવર્તન અને આક્રમક વલણ

2024ની લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત કોંગ્રેસે પોતાનું વલણ બદલ્યું છે. રાહુલ ગાંધીનું રાયબરેલી સંસદીય બેઠક જાળવી રાખવું અને વાયનાડ બેઠક છોડવી એ આક્રમક અભિગમનો સંકેત છે. રાજકિય વિશ્લેશકો કહે છે કે કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી છે. હવે તેણે રક્ષણાત્મકથી આક્રમક વલણ અપનાવ્યું છે. વાયનાડ પાસે રક્ષણાત્મક અભિગમ હતો. કારણ કે રાહુલ 2019માં અમેઠીથી તેમની સંભવિત હારને ધ્યાનમાં રાખીને ત્યાં પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશમાં 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો જોઈને રાહુલે વાયનાડને બદલે રાયબરેલીની પસંદગી કરી છે.

લોકસભા ચૂંટણીના પરિણામોથી શીખીને પોતાની રણનીતિ બદલી

વાયનાડના સાંસદ તરીકે રાહુલ ગાંધી દક્ષિણ અને પ્રિયંકા ઉત્તરમાં કમાન્ડ કરી રહ્યા હતા, જે કોંગ્રેસની જૂની વ્યૂહરચના હતી. કોંગ્રેસે આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોથી શીખીને પોતાની રણનીતિ બદલી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને યુપીમાં સારા પ્રદર્શને કોંગ્રેસને આશા આપી છે અને પરિણામે તેની રણનીતિમાં બદલાવ આવ્યો છે. તે સફળ થશે કે નહીં, તે સમય જ કહેશે. જો ભાજપને પડકાર આપવો હોય તો જ્યાં ભગવો પક્ષ મજબૂત હોય ત્યાં જ લડાઈ લડવી પડશે, દક્ષિણમાંથી નહીં. હિન્દી હાર્ટલેન્ડમાં ભાજપ ખૂબ જ મજબૂત છે. તે હજુ પણ દક્ષિણમાં જમીન શોધવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી તેને બહુ સફળતા મળી નથી.

3) દેશમાં કોંગ્રેસના પુનરુત્થાન માટે યુપી જરૂરી છે.

કહેવાય છે કે કેન્દ્રમાં સત્તાનો માર્ગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. તેથી, જ્યારે પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસના વોટ બેઝને ખાવાનું શરૂ કર્યું, ત્યારે તેનો ઘટાડો સૌથી પહેલા ઉત્તર પ્રદેશ અને બિહારમાં જોવા મળ્યો. કેન્દ્રીય સત્તા પરની તેમની પકડ પણ ઢીલી પડવા લાગી. જો કોંગ્રેસે પોતાના દમ પર કેન્દ્રમાં સત્તા પર આવવું હશે તો ઉત્તર પ્રદેશમાં તેને પુનર્જીવિત કરવું પડશે. ઉત્તર પ્રદેશમાં છ બેઠકો જીતવી એ કોંગ્રેસ માટે સારો સંકેત છે, ભલે તેને આ જીત સમાજવાદી પાર્ટી સાથે રહીને મળી હોય. કોંગ્રેસ માટે બીજી સારી નિશાની એ છે કે જાટ નેતા જયંત ચૌધરી અને તેમનો રાષ્ટ્રીય લોકદળ (RLD) NDA કેમ્પમાં હોવા છતાં, UP અને હરિયાણામાં જાટ મતદારોનો પક્ષ તરફ ઝુકાવ જોવા મળ્યો છે.

4) દિલ જીતવા માટે કોંગ્રેસે હાર્ટલેન્ડ જીતવું પડશે

દિલ જીતવા માટે કોંગ્રેસે હાર્ટલેન્ડ જીતવું પડશે . અહીં તેણે ભાજપ સાથે એકલા અને પ્રાદેશિક સહયોગીઓ સાથે ગઠબંધનમાં મુકાબલો કરવો પડશે. હાર્ટલેન્ડના નવ મોટા રાજ્યોમાં કોંગ્રેસે તેનું પ્રદર્શન સુધારવું પડશે, કારણ કે લોકસભાના 543માંથી 218 સાંસદો આ નવ રાજ્યોમાંથી આવે છે. આ વખતે ઉત્તર પ્રદેશ સિવાય કોંગ્રેસે હરિયાણા અને રાજસ્થાનમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. યુપીમાં વધુ બેઠકો જીતીને, કોંગ્રેસ બિહારમાં પણ પ્રભાવ પાડી શકે છે, જ્યાં તે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે ગઠબંધનમાં છે.

5) પ્રિયંકા ગાંધી વાયનાડ જવાના કારણે કેરળને પણ ફાયદો મળશે

કેરળમાં 2026માં વિધાનસભા ચૂંટણી યોજાશે અને કોંગ્રેસ અહીં સત્તામાં આવી શકે છે. કેરળના લોકો સીપીએમના નેતૃત્વવાળી એલડીએફ અથવા કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફને પસંદ કરી રહ્યા છે. રાજ્યના લોકોએ 2021 માં એલડીએફને સત્તામાં પરત કરીને મોટાભાગના રાજકીય પંડિતોને આશ્ચર્યચકિત કર્યા. CPI(M) એ 2024ની લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું અને માત્ર એક સીટ જીતી હતી. કોંગ્રેસે 2024માં લોકસભાની 20માંથી 14 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી IUMLએ બે બેઠકો જીતી હતી.

આ પણ વાંચો—- Congress : રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભા પેટાચૂંટણી લડશે…

Whatsapp share
facebook twitter