+

NCERT : બાળકો માટે બહુભાષી શિક્ષણ અને તેના સમાજને લાભ, રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં મનોમંથન

NCERT દ્વારા ભોપાલ (Bhopal) ખાતે ‘બહુભાષિક શિક્ષણ-બહુસાંસ્કૃત્તિક શિક્ષણ’ની બે દિવસીય કાર્યશાળા યોજાઈ ગઈ. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દીવ-દમણમાંથી ઉપસ્થિત શિક્ષકો અને શિક્ષણવિદોએ પ્રસ્તુત વિષય અંગેના પ્રશ્નો અને તેના…

NCERT દ્વારા ભોપાલ (Bhopal) ખાતે ‘બહુભાષિક શિક્ષણ-બહુસાંસ્કૃત્તિક શિક્ષણ’ની બે દિવસીય કાર્યશાળા યોજાઈ ગઈ. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દીવ-દમણમાંથી ઉપસ્થિત શિક્ષકો અને શિક્ષણવિદોએ પ્રસ્તુત વિષય અંગેના પ્રશ્નો અને તેના આધારે સામગ્રી નિર્માણ અંગેના સૂચનો અને વિચાર રજૂ કર્યા હતા. ગુજરાતમાંથી તજજ્ઞ તરીકે વર્કશોપમાં અમરેલીના જાફરાબાદ તાલુકાની મીતિયાળા પ્રાથમિક શાળાના શિક્ષક અને સૌથી નાની વયના લેખક અને રમકડાં-રમત આધારિત શિક્ષણ આપવાની કળા માટે તજજ્ઞ તરીકે રાઘવ કટકિયા (રઘુ રમકડું)ની પસંદગી કરવામાં આવી હતી.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે 6-7 ફેબ્રુઆરીના રોજ ક્ષેત્રિય શિક્ષા સંસ્થાન દ્વારા ‘બહુભાષિક શિક્ષણ-બહુસાંસ્કૃત્તિક શિક્ષણઃ પ્રશિક્ષણ સામગ્રીના વિકાસમાં મોડ્યૂલ વિમોચન’ માટેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક પ્રશ્નો કાર્યશાળામાં ઉપસ્થિત કરવામાં આવ્યાં હતા. કાર્યશાળાના સમન્વયક ડૉ.સુરેશ મકવાણાની પ્રાસ્તાવિક ભૂમિકાથી ઉદ્ધાટન સત્રની શરૂઆત થઈ હતી.

બહુભાષિક શિક્ષણ કાર્ય અંગેના પ્રશ્નો

શાળામાં એકથી વધુ ભાષાઓ શીખવાડવી જરૂરી છે ? શા માટે?. શાળાઓમાં ભિન્ન ભિન્ન સમુદાયમાંથી વિવિધ ભાષાઓ અને બોલીઓ બોલતાં બાળકો આવે છે.તો એક જ ભાષામાં શિક્ષણને કેમ પ્રાધાન્ય આપીએ છીએ?. મહદંશે અંગ્રેજી ભાષા પ્રત્યે જ વાલીઓ અને શાળા સંચાલકોનો ઝુકાવ શા માટે છે? શિક્ષણ બાળકોના પરિવારની ભાષા નથી જાણતા તો વર્ગખંડમાં શિક્ષણકાર્ય કેવી રીતે કરશે?. શિક્ષણ અને સરળ પ્રત્યાયન માટે એની રણનીતિ શી હોઈ શકે?. માતૃભાષા થકી શાલેય ભાષા શીખવાડી શકાય એવું માનો છો? એના માટે ઉપાય કયા હોઈ શકે?. શિક્ષક પાઠયક્રમની ભાષા અને બોલાતી ભાષાઓના સામંજસ્ય માટે કેવા પ્રયત્ન કરશે?. બાળકની પરિવારની ભાષા તથા માતૃભાષા તરફની બેદરકારીથી શું નુકસાન થાય?. આવા વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચાઓ થઈ અને ત્યારબાદ સામગ્રી નિર્માણ કરવા માટે જૂથકાર્ય કરવામાં આવ્યું હતું.

બહુભાષિક શિક્ષણથી સમાજ-વિદ્યાર્થીને લાભ

ભોપાલ ખાતેની બે દિવસીય કાર્યશાળામાં ઉપસ્થિત કરાયેલા પ્રશ્નો અંગેની સામગ્રી તૈયાર કરવામાં આવી હતી. જેમાં સંભવિત લાભ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. વર્ગખંડમાં શીખવા શીખવવા માટે યોગ્ય ભાવાવરણ નિર્માણ થાય છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને આત્મસન્માનની ભાવના વિકસે છે. અગાઉ મેળવેલું જ્ઞાન એ નવા જ્ઞાન સાથે જોડી શકે છે. એકથી વધુ ભાષાઓના શ્રવણ-કથન-લેખન-વાંચન કૌશલ્ય વિકસે છે. દરેક વિષયોમાં ગ્રહણશક્તિ અને સમજણશક્તિ વિકસે છે. માત્ર ગોખણપટ્ટી બદલે સમજ, કલ્પના,રચનાત્મકતા અને અભિવ્યક્તિની ક્ષમતા વિકસે છે. અભ્યાસમાં રુચિ વધવાથી નાપાસ થવાની તથા અધવચ્ચે અભ્યાસ છોડી દેવાની ઘટના ઓછી બને છે. શાળા અને પરિવાર તથા સમાજ ના પારસ્પરિક સંબંધો મજબૂત બને છે. વંચિત સમુદાય કે ગ્રામીણ ક્ષેત્રમાં ઉત્તમ શિક્ષણ અને રોજગારીની તકો વધુ રહે છે. સમજદાર,સ્વનિર્ભર અને સુખી સમાજની કલ્પના સાકાર બને છે.

આ બે દિવસીય કાર્યશાળામાં ગુજરાતમાંથી શિક્ષણ રાઘવ કટકિયા (રઘુ રમકડું),ડૉ.સુરેશ મકવાણા, પ્રો.ડો.જયદીપ મંડલ, પ્રો.ચિત્રા સિંહ, પ્રો.નિધિ તિવારી, ડો.અર્નબ સૌરભ તથા ડો.ગંગારામ મહતો સહિત શિક્ષણવિદો ઉપસ્થિત રહીને મનોમંથન કર્યુ હતું.

કોણ છે રાઘવ કટકિયા (રઘુ રમકડું)?

અમરેલીના મીતિયાળાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે રાઘવ કટકિયા. પ્રયોગશીલ આ શિક્ષકની શિક્ષણ ક્ષેત્રમાં રઘુ રમકડું સર તરીકેની ઓળખ છે. આ ઓળખ એમના માટે નાનપની નહીં, સમ્માનની છે, કારણ કે એમનાં રમકડાંઓથી જ હજારો બાળકોને એમનું ગમતું વિશ્વ મળ્યું છે. મૂળ સાજિયાવદર ગામના વતની રઘુભાઈ સામાન્ય પરિવારમાં ઉછરેલા..તેમના ઘડતર સમયથી મનમાં ઉઠેલો વિચાર શિક્ષક તરીકે ફરજ પર આવ્યા બાદ અમલી બનાવ્યો. કારકિર્દીનાં પ્રારંભિક વર્ષોમાં સરવડા સ્વામિનારાયણ ગુરુકુળ અને દ્વારકા જિલ્લાના કલ્યાણપર તાલુકાની હનુમાનધાર પ્રાથમિક શાળામાં સેવા બજાવ્યા બાદ ૨૦૧૫માં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાણાની પ્રાથમિક શાળામાં સેવારત થયા. આ નાનકડા ગામની નાની શાળામાંથી શિક્ષણ ક્ષેત્રે નાવીન્યપૂર્ણ પ્રયોગ સાથે પ્રખ્યાત થયેલા રઘુ રમકડાનો જન્મ થયો.

Whatsapp share
facebook twitter