Floods in Manipur : છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી મણિપુર હિંસા (Manipur Violence) ની આગમાં સળગી રહ્યું છે. અહીં દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. ત્યારે હવે કુદરતી કહેર પણ અહીં ભારે તબાહી મચાવી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, હવે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે.
મણિપુરમાં ભારે તબાહીના દ્રશ્યો
મણિપુરમાં પૂરના કારણે ઓછામાં ઓછા 3500 મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 20 હજારથી વધુ લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં પૂરે ભારે તબાહી મચાવી છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ 20,639 લોકોએ સ્થળાંતર કર્યું છે. જ્યારે 1251 લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. રાજ્યમાં કુલ 14 રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે. પૂરના કારણે રાજ્યમાં ખેતીને પણ ઘણું નુકસાન થયું છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં 49 સ્થળોએ ભૂસ્ખલનના અહેવાલ છે.
શાળાઓ અને કોલેજો બંધ રાખવા આદેશ
સેનાપતિ જિલ્લામાં સેનાપતિ નદીના જોરદાર પ્રવાહમાં ખાબુંગ કારોંગ ગામના એક ડૉક્ટર તણાઈ ગયા હતા. બાદમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. એક 17 વર્ષનો છોકરો નદીમાં વહી ગયો હતો. જોકે તેનો મૃતદેહ મળી શક્યો નથી. ઇમ્ફાલ નદીના કાંઠે પાળા બાંધવામાં આવ્યા હોવા છતાં, પૂર એટલું ગંભીર હતું કે એક વિશાળ ખેતીલાયક વિસ્તાર કટ થઇ ગયો હતો. મણિપુર સરકારે 5 જુલાઈ સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે
સરકારે પોલીસ, ફાયર વિભાગ, જિલ્લા વહીવટી રાહત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ, ઉર્જા, આરોગ્ય, જળ સંસાધન, પીડબલ્યુડી, વન વિભાગ અને સિંચાઈ વિભાગના કર્મચારીઓને રાહત કાર્ય માટે તૈનાત કર્યા છે. રાજ્યના ઈમ્ફાલ અને આસપાસના વિસ્તારોમાં 1 જુલાઈથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ઇમ્ફાલ ઇસ્ટ, કોંગપોકપી, સેનાપતિ, થૌબલ અને વિષ્ણુપુર જિલ્લાઓ પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીંની તમામ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અનેક જગ્યાએ પુલ ધોવાઈ જવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે.
બિષ્ણુપુર અને તામેંગલોંગમાં ભારે વરસાદ નોંધાયો
શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધી ઇમ્ફાલ એરપોર્ટ પર 15.4 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચુરાચંદપુરમાં 16 મીમી વરસાદ નોંધાયો હતો. કાંગપોકપીમાં 18 મીમી વરસાદ નોંધાયો હતો. બિષ્ણુપુર અને તામેંગલોંગમાં 32 મીમી અને 20 મીમી વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે આવેલા પૂરને કારણે લગભગ 1.2 લાખ લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું.
આ પણ વાંચો – Assam Flood : આસામમાં પૂરના કારણે સ્થિતિ વણસી, 21 લાખથી વધુ લોકો પ્રભાવિત…
આ પણ વાંચો – ઉત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, હિમાચલ પ્રદેશમાં પૂરનો ભય