+

Lok Sabha Election Result 2024 : અમેઠીમાં કોંગ્રેસની શાનદાર જીત, સ્મૃતિ ઈરાની 1.5 લાખ મતોથી હાર્યા

Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામોએ ચોંકાવી દીધા છે. NDA માટે 400 પાર કરવાનો નારો આપનાર ભાજપને બહુમતીનો આંકડો પણ પાર કરવામાં તકલીફ પડી છે. જો ઉત્તર…

Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણીના પરિણામોએ ચોંકાવી દીધા છે. NDA માટે 400 પાર કરવાનો નારો આપનાર ભાજપને બહુમતીનો આંકડો પણ પાર કરવામાં તકલીફ પડી છે. જો ઉત્તર પ્રદેશની બેઠક અમેઠીની વાત કરીએ તો અહીં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. આ હાઈ પ્રોફાઈલ સીટ પર ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને હારનો સામનો કરવો પડ્યો છે. તેમની સામે કોંગ્રેસે કે એલ શર્માને ઉભા રાખ્યા હતા. જેઓ સ્મૃતિ ઇરાનીને હરાવવામાં સફળ થયા છે.

અમેઠી બેઠક પર કોંગ્રેસની જીત

ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશમાં લાગ્યો છે, જ્યા અમેઠી લોકસભા બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ હરાવ્યા છે. જણાવી દઇએ કે, આ બેઠક માત્ર યુપીની જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી હોટ બેઠકોમાંથી એક છે. ભાજપની સ્મૃતિ ઈરાની ફરી એકવાર અહીંથી મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક પરથી કિશોરી લાલ શર્માને ઉતાર્યા હતા. આ હોટ સીટ પર કોંગ્રેસ પાર્ટીએ મોટો અપસેટ સર્જ્યો છે. આ સીટ પરથી સ્મૃતિ ઈરાનીને હાર મળી છે જ્યારે કોંગ્રેસના કિશોરી લાલ શર્માને 1.5 લાખ મતોથી જીત મળી છે. ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીમાં હારી ગયા હતા, ત્યારબાદ કોંગ્રેસે આ વખતે પોતાની રણનીતિ બદલી અને છેલ્લી ઘડીએ પોતાનો ઉમેદવાર બદલ્યો હતો. શરૂઆતમાં એવી અટકળો હતી કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી જ ચૂંટણી લડશે, પરંતુ છેલ્લી ઘડીએ તેઓ અમેઠીથી અને બહેન પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસે રાહુલને રાયબરેલીથી અને કિશોરી લાલ શર્માને ટિકિટ આપી હતી, જેઓ અમેઠીથી સોનિયા ગાંધીનું કામ જોતા હતા. કોંગ્રેસના સૂત્રોએ તેને વ્યૂહરચના ગણાવી હતી અને આજે આ આયોજન સફળ થયું હતું.

કેએલ શર્મા પાછળ કોંગ્રેસનું શું આયોજન હતું?

જ્યારે અમેઠી અને રાયબરેલી માટે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ત્યારે રાયબરેલીમાં કાર્યકરો ખુશ હતા કારણ કે સોનિયા ગાંધી પછી તેમને રાહુલ ગાંધીના રૂપમાં ઉમેદવાર મળ્યો હતો, પરંતુ અમેઠીમાં કોંગ્રેસના કાર્યકરોમાં અચાનક નિરાશા જોવા મળી હતી. કેએલ શર્માના ઉમેદવાર બનવાને કારણે મોટી સંખ્યામાં કાર્યકરોએ પણ સ્વીકાર્યું કે સ્મૃતિ ઈરાની સામે તેઓ ભાગ્યે જ જીતી શકે છે, પરંતુ સમયની સાથે વાતાવરણ બદલાયું અને પ્રિયંકા ગાંધીએ પોતે જ મોર્ચો સંભાળ્યો. ઘણા દિવસો સુધી તેઓ અમેઠીના દરેક ગામમાં ગયા અને સભાઓ કરી અને અંતે કેએલ શર્માને જીત અપાવી. અમેઠીથી કિશોરી લાલ શર્માને ટિકિટ આપવા પાછળ કોંગ્રેસની રણનીતિ હોવાનું માનવામાં આવતું હતું. પ્લાનિંગ એ હતું કે જો કેએલ શર્મા અમેઠીમાં જીતે છે તો મોટા સમાચાર હશે. લોકોમાં એવી ચર્ચાઓ થશે કે કેન્દ્રીય મંત્રીને કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર દ્વારા હરાવ્યા. વળી, જો કેએલ શર્મા સ્મૃતિ સામે હારી જાય તો પણ સ્મૃતિ ઈરાની માટે આ કોઈ મોટી ઉપલબ્ધિ નહીં હોય, કારણ કે છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેણે રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાને હરાવ્યા હતા. હવે જ્યારે અમેઠીના પરિણામો આવી ગયા છે અને કેએલ શર્માની જીત થઈ છે ત્યારે કોંગ્રેસની આ રણનીતિ કામ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો – Lok Sabha Election 2024 Result : રાયબરેલી અને વાયનાડ, આ બે બેઠકો પર રાહુલ ગાંધી આગળ કે પાછળ?

આ પણ વાંચો – Lok Sabha Election Result 2024 : રાહુલ ગાંધીની મહેનત રંગ લાવી! 2019ની સરખામણીએ મળી શકે છે ડબલ સીટો

Whatsapp share
facebook twitter