+

ભારે વરસાદમાં અસરગ્રસ્ત વિસ્તારના વેપાર, વાણિજ્ય એકમોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય અપાશે

રાજ્યમાં ૧૬  થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારના વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિ સંકળાયેલ એકમોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય અપાશે – પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ…
રાજ્યમાં ૧૬  થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારના વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિ સંકળાયેલ એકમોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય અપાશે – પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, દુકાનનું પાકુ બાંધકામવાળુ સ્થાયી માળખુ ધરાવતા નાના અને મધ્યમ એકમોને આર્થિક સહાય અપાશે
રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના મધ્યમ અને મોટા વ્યપારીને થયેલ નુકશાનને પગલે બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય અપાશે
ભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિથી અસરગ્રસ્ત નવ જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ,આણંદ, અરવલ્લી ,બનાસકાંઠા, મહિસાગર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂ. ૭૭ લાખ ૪૫ હજારથી વધુ રકમની અસરગ્રસ્તોને કેશડોલ્સ સહાય અપાઇ
રાજ્ય સરકારના  પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય 
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકારે આ સહાય આપવાનું નક્કી કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતુ. તેમણે વધુમાં ઉમેર્યું કે, લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે કે જે દુકાનનું પાકુ બાંધકામવાળુ સ્થાયી માળખુ ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું નક્કી કર્યું
વધુમાં મંત્રીએ કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મધ્યમ અને મોટા વ્યપાર સાથે સંકળાયેલા લોકોને જે નુકશાન થયું હોય તે પ્રત્યે પણ ઉદાર વલણ દાખવીને રાજ્ય સરકારે  બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું નક્કી કર્યું છે. મંત્રીએ ભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિથી અસરગ્રસ્ત નવ જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ,આણંદ, અરવલ્લી , બનાસકાંઠા, મહિસાગર જિલાલામાં આજદિન સુધીમાં અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂ. ૭૭ લાખ ૪૫ હજારથી વધુ રકમની અસરગ્રસ્તોને કેશડોલ્સની ચુકવણી કરાઇ છે. રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદથી નુકશાન પામેલ ઘરવખરી માટે રૂ. ૪ કરોડ ૯૬ લાખ ૭૭ હજારથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું હતુ.
Whatsapp share
facebook twitter