Shaurya Chakra Award: નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તારીખ 05 જુલાઈ, 2024 ના રોજ સાંજે 05:00 કલાકે યોજાયેલા સન્માન સમારોહમાં ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડીના મુકેશકુમાર ગામીતને શૌર્ય ચક્ર (Shaurya Chakra) પુરસ્કારથી સન્માનિત કરાવામાં આવ્યા છે. શૌર્ય ચક્ર (Shaurya Chakra) પુરસ્કાર પ્રાપ્ત કરતાની સાથે રાષ્ટ્રપતિ ભવન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.
મુકેશકુમાર ગામીતને શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત કરારા
વીરતા, શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા 61 સીઆરપીએફના કોન્સ્ટેબલ મુકેશભાઈ ગામીતે મીડિયા માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, વર્ષ 2021 માં મને ક્વિક એક્શન ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 19 ડિસેમ્બર, 2021 ના રોજ શ્રીનગર (દરબાગ) ખાતે સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થઈ રહેલા અંધાધૂધ ફાયરિંગ દરમિયાન અમે જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. આતંકવાદીના નજીક પહોંચતા પોતાના સાથી જવાનને ગોળીબારીથી બચાવવા આતંકવાદીના રાયફલનું બેરલ ઉપરની તરફ કરીને તેનો સામનો કર્યો હતો.
મુકેશ ગામીતે A++ કેટેગરીના આતંકવાદીને ઠાર કર્યો હતો
આતંકવાદીએ જમીન પર ગ્રેનેડ ફેંકીને ઘરની ખીડકીથી બહાર ભાગ્યો જેનો પીછો કરીને તેને ઠાર કર્યો હતો. અસાધારણ વીરતા માટે સન્માનિય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના હસ્તે શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત થયેલા મુકેશ ગામીતે A++ કેટેગરીના આતંકવાદીને ઠાર કર્યો હતો. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સમયાંતરે આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓની લીસ્ટને અપડેટ કરીને આ કેટેગરી નક્કી કરવામાં આવે છે.
મુકેશ ગામીતને ક્વિક એક્શન ટીમમાં સામેલ કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, મુકેશ ગામીતને ક્વિક એક્શન ટીમમાં સામેલ કરાયા હતા. આ ટુકડીમાં સામેલ જવાનોને શારીરિક અને માનસિક રીતે મજબુત બનાવવા માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખવાની સાથે યુદ્ધભૂમિમાં પોતાની વ્યૂહાત્મક કુશળતાની સાથે હુમલાની પરિસ્થિતિમાં આતંકવાદીઓ સાથે લડવા માટે સક્ષમ બનાવે છે. રાષ્ટ્રપતિશ્રીના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરનાર તાપી જિલ્લાના મુકેશ ગામીતે તાપી જિલ્લાની સિદ્ધીઓમાં ઉમેરો કર્યો છે. આદિવાસી સમાજના ગૌરવ એવા શ્રી મુકેશ ગામીત હવે દેશનું ગૌરવ છે. જે તાપી જિલ્લા સહિત દેશના નવયુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.