Rajkot : કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા આજે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital) પહોંચ્યા ત્યારે પોતાના સ્વજનોની ડેડબોડી લેવા માટે કલાકોથી રાહ જોઇને બેઠેલા સ્વજનોએ તેમનો ઘેરાવો કર્યો હતો અને સવાલોનો મારો ચલાવ્યો હતો. રુપાલાને તમામની રજૂઆત સાંભળવી પડી હતી.
હજું 10 રિપોર્ટ બાકી
પરશોત્તમ રુપાલા મંગળવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી બહાર નિકળ્યા બાદ તેમણે પત્રકારોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ડેડબોડીના કેટલા ડીએનએ આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે તેવો છે તે માહિતી લેવાના આશયથી મે સંબંધીત અધિકારી સાથે ચર્ચા કરી છે. 17 ડીએનએ ટેસ્ટ અહીં પહોંચ્યા છે. 27 બોડી સ્થળ પરથી મળી હતી. થોડા છુટા અવશેષો પણ મળેલા છે. તમામ ડેડબોડી ગાંધીનગર એફએસએલ મોકલી છે તથા વાલીના ડીએનએ પણ પહોંચ્યા છે. હજું 10 રિપોર્ટ બાકી છે.
આમા દાખલો બેસે તેવી કાર્યવાહી કરાશે
મૃતકોના સ્વજનોનો આરોપ છે કે તમે ઘટનાના 54 કલાક પછી અહીં આવ્યા છો તેવા સવાલના જવાબમાં રુપાલાએ કહ્યું કે
હું બીજા જ દિવસે સ્થળ પર હતો. પણ અહી આવ્યો ન હતો. જે પ્રક્રિયા થાય તેમાં બાધા આવે તેમ હતી. હું બધાની સાથે સંપર્કમાં હતો. બીજા દિવસે પણ હું મુખ્યમંત્રી સાથે જ હતો. તેમણે કહ્યું કે આપણે એવી અપેક્ષા છે કે જે રીતે સીએમ રસ લઇને મોનિટરીંગ કરે છે તે જોતાં એવું લાગે છે કે આમા દાખલો બેસે તેવી કાર્યવાહી કરાશે. અમે સ્વજનોની લાગણી પહોંચાડીશું અને તે લાગણી અનુરુપ એક્શન લેવાય તેવું કરીશું.
રુપાલાને ઘેરીને ધારદાર સવાલો કર્યા
ત્યારબાદ રુપાલા પોતાની ગાડી તરફ આગળ વધ્યા ત્યારે મૃતકોના સ્વજનોએ તેમને ઘેરી લીધા હતા અને તેમને ઉગ્ર રજૂઆતો કરી હતી. રુપાલા 10થી 15 મિનીટ સુધી સ્વજનોથી ઘેરાયેલા રહ્યા હતા. લોકોએ તેમની સમક્ષ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
અમારી એક જ માગ છે કે રિપોર્ટ જલ્દી મળે તેવું કરાવો.
ત્યારબાદ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતાં મૃતકોના સગાઓએ રોષ વ્યક્ત કર્યો કે રુપાલા ન્યૂઝમાં આવે એટલે અહીં આવ્યા હતા. અધિકારીઓને સસ્પેન્ડ નહીં પણ ડિસમીસ કરવા જોઇએ. એક સ્વજને કહ્યું કે અમારા 3 મૃતદેહ હજું ત્યાં છે પ હજું રિપોર્ટ આવ્યા નથી. 48 કલાક પછી મૃતદેહની શું હાલત હશે તે તમે વિચારો. અમારી એક જ માગ છે કે રિપોર્ટ જલ્દી મળે તેવું કરાવો. જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે લોકો ક્યારેય ભુલશે નહીં.
આ પણ વાંચો—– Rajkot અગ્નિકાંડને લઈ બેઠકોનો ધમધમાટ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વીડિયો કોન્ફરન્સ
આ પણ વાંચો—– Rajkot TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો, SITની તપાસમાં સામે આવી ગંભીર હકીકત