અહેવાલ–સાગર ઠાકર, જૂનાગઢ
- જૂનાગઢમાં જન્માષ્ટમીને લઈને વિવિધ સુશોભન
- પ્રાચીન હાટકેશ્વર મંદિરનું સુશોભન આકર્ષણનું કેન્દ્ર
- ત્રણ ફૂટના મહાકાલ, બે લાખ ટાંચણીની સુંદર રંગોળી
- રાધા કૃષ્ણ સેલ્ફી પોઈન્ટ સહીતના આકર્ષક ફ્લોટ્સ મુકાયા
- બપોર બાદ શોભાયાત્રા નીકળશે, વિવિધ ફ્લોટ્સ પ્રદર્શિત થશે
જૂનાગઢમાં જન્માષ્ટમીના તહેવારને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે,.શહેરમાં ઠેરઠેર વિવિધ સુશોભન કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં જન્માષ્ટમીના તહેવારને લઈને શહેર સુશોભન કરવામાં આવે છે. શ્રેષ્ઠ સુશોભન કરનારને પ્રોત્સાહિત ઈનામ આપવામા આવે છે તેથી શહેરના દરેક વિસ્તારમાં યુવક મંડળો અને સામાજીક સંસ્થાઓ દ્વારા સુશોભન કરવામાં આવે છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવે છે.
![](https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/09/JND_0709_JANMASHTMI-SUSHOBHAN_SAGAR_04-scaled.jpg)
સુંદર તથા કલાત્મક ફ્લોટ્સ તૈયાર
શહેર સુશોભન અંતર્ગત જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સુંદર તથા કલાત્મક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિર ખાતે યુવક મંડળ દ્વારા ત્રણ ફુટના મહાકાલેશ્વરની મૂર્તિ બનાવવામાં આવી છે સાથે રાધાકૃષ્ણ હિંચકે ઝુલતાં હોય તેવો સેલ્ફી પોઈન્ટ અને બે લાખ ટાંચણીમાંથી તૈયાર કરેલી રંગોળી કરવામાં આવી છે સાથે અજગરનું રૂપ લઈને આવેલા અધાસુર નામના અસુરને ભગવાને વધ કર્યો તે પ્રસંગની ઝાંખી કરાવતો ફ્લોટ્સ બનાવવામાં આવ્યો છે.
![](https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/09/JANMASHTAMI_JUNAGADH_GUJARAT_FIRST-1.jpg)
શહેરમાં આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી
શહેરના પંચહાટડી ચોકમાં ગિરીરાજ પર્વત સાથે પવિત્રાના હિંડોળાની ઝાંખી કરવામાં આવી હતી અને ભગવાનને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં ચંદ્રયાનની સફળતા દર્શાવતી કૃતિઓ અને ભગત ગોરા કુંભારના ગ્રામ્ય જીવનને તાદ્રશ કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ક્યાંક નાગદમન અને ભગવાન દ્વારકાધીશના મંદિર સાથે અસુરોના વધની કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી, આમ સમગ્ર શહેરમાં ઠેરઠેર ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનું દર્શન કરાવતી ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. લોકોમાં જન્માષ્ટમીને લઈને આનંદ ઉત્સાહનો મહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ ઉપરકોટ શ્રી રામજી મંદિર પાસેથી શોભાયાત્રા નીકળશે જે શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થઈને જવાહર રોડ સ્વામીનારાયણ મંદિર ખાતે પૂર્ણ થાય છે. આ શોભાયાત્રામાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના લીલા પ્રસંગો વર્ણવતા ફ્લોટ્સ પ્રદર્શિત કરવામાં આવે છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રા દરમિયાન ચા, પાણી, શરબત નાસ્તા સહીતની સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને શહેરમાં આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો—-JANMASHTAMI : ગોંડલમાં યોજાઇ ભવ્ય શોભાયાત્રા