આમ તો કોઈ બનાવ બને એટલે પહેલા લોકોને એક જ ચિંતા હોય કે પોલીસ આરોપીઓ સુધી પહોંચશે ? અમારી મદદ કરશે ? ગુનેગારને પકડી ચોરી કે લૂંટની રકમ પરત અપાવી શકશે ? ત્યારે અમદાવાદમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. અમદાવાદ પોલીસે ચોરને પકડવા અનોખો કીમિયો અપનાવ્યો છે.
ઘરે કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી તસ્કરે રૂ.91,800 ના મત્તાની ચોરી કરી
અમદાવાદ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે ફિલ્મી સ્ટાઇલમાં પ્લાનિંગ કરીને ચોરને પકડ્યો હતો. ઘટના એવી છે કે, અમદાવાદમાં આવેલ ચાણક્યપુરી વિસ્તારમાં સન ડિવાઇન-3 માં એડવોકેટ ગુલાબજી માધુજી ઠાકોર (ઉં.56) પરિવારના સભ્યો સાથે રહે છે. તેઓ પરિવારના સભ્યો સાથે વતન ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી ચોરીની થવાની ઘટના સામે આવી હતી. તસ્કરે એડવોકેટ ગુલાબજીના ઘરેથી તેમના ઘરે કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી રૂ.91,800 ના મત્તાની ચોરી કરી હતી. આ અંગે ગુલાબજીએ સોલા હાઈ કોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસ દ્વારા આ તસ્કરોને પકડવા માટે કાર્યાવહી હાથ ધરવામા આવી હતી.
ગોલ્ડન સ્કૂટરે બગાડ્યો ખેલ, CCTV ફૂટેજથી ચોરનો ભાંડો ફૂટ્યો
પોલીસ દ્વારા CCTV ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે, ચોર ચોરી કરવા માટે ગોલ્ડન કલરનું સ્કૂટર લઈને આવ્યો હતો. બસ ત્યાર બાદ પોલીસે સ્કૂટરના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી અને તેઓ જગતપુરમાં રહેતા અને પાણીપુરીની લારી ધરાવતા માલિક સુધી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર બાબતે વધુ પૂછપરછ હાથ ધરાતા ચોર અંગે વધુ માહિતી જાણવા મળી હતી. જેના અનુસાર ફોટોમાં દેખાતો યુવાન મધ્યપ્રદેશના ગ્વાલિયરના ભદરોલી ગામમાં રહેતો તેનો મિત્ર અશોક નરસિંહ શર્મા (ઉં.30) હતો અને તે બે દિવસ તેના ઘરે રહેવા આવ્યો હતો ત્યારે સ્કૂટર લઈને ફરતો હોવાનું જણાવ્યું હતું.
વેશપલટાની યુક્તિ અજમાવી ચોરને પોલીસે ઝડપ્યો
પોલીસે આ ચોર વિશે જરૂરી બધી માહિતી તો એકઠી કરી લીધી હતી, પરંતુ સમસ્યા હવે તે ચોરને પકડવા અંગેની હતી. અશોક જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તાર ખૂબ ગીચ અને વસ્તી વાળો હોવાથી પોલીસે તેને પકડવા માટે યુક્તિ અજમાવી. પોલીસ વેશપલટો કરીને ડુંગળી – બટાકાની લારી અને ફુગ્ગા વેચવાવાળા ફેરિયાના સ્વાંગમાં ગોઠવાઈ ગયા હતા અને આઠ કલાક બાદ અશોકને ઝડપી લીધો હતો.
તસ્કર બે મિત્રો સાથે ચોરી કરવા આવ્યો હતો, પરંતુ તે બંને પાછા જતા રહ્યા હતા
પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે લગભગ 500 જેટલા CCTV ફૂટેજની તપાસ કરી હતી. જેમાં ચોર તેમને ચાણક્યપુરી બ્રિજ નીચે આવેલા કાચના મંદિર થઈને ચાંદલોડિયા ગરનાળા થઈને એક દુકાને ચા પીવા ઊભો હતો, જેમાં તેનો ચહેરો અને એક્ટિવા સ્પષ્ટ દેખાતાં હતા. વધુમાં પોલીસને એ પણ માહિતી મળી હતી કે ચોરી કરવા અશોક તેના બે મિત્રો સાથે આવ્યો હતો, પરંતુ તે બંને પાછા જતા રહ્યા હતા જ્યારે અશોક એક્ટિવા પર રેકી કરવા જતો હતો.
48 કલાકમાં પોલીસે ચોરને પકડી કુશળ કામગીરીનું પ્રમાણ પૂરું પાડ્યું
અમદાવાદ પોલીસે ચોરને 48 કલાકમાં પકડી આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોતાની કુશળ કામગીરીનું પ્રમાણ પૂરું પાડ્યું હતું. પોલીસની આવી કામગીરી સામે આવ્યા બાદ જનતા પણ બેફિકર થતી હોય છે અને પોલીસને પણ સમાજને ગુના મુકત બનાવવા માટેની પ્રેરણા મળતી હોય છે.
આ પણ વાંચો — KUTCH : CM ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ કર્યું