AHMEDABAD CIVIL : 8 દિવસના ગાળામાં શ્વાસ નળીમાં ફોરેન બોડી ફસાયેલા બે બાળકોને સિવિલમાં ઓપેરેશન કરીને સાજા કર્યાં. બંને બાળકોની માતાઓએ જે શંકા દર્શાવી એ જ વસ્તુ ઓપેરેશન કરતા તબીબોને બહાર કાઢતા મળી. પ્રથમ કિસ્સા મા ત્રણ વર્ષની આર્યા સુથારની શ્વાસનળી માંથી સોયાબીનનો દાણો જ્યારે બીજા કિસ્સા મા દોઢ વર્ષના અલી સુમેરાને નાળિયેરનો ટુકડો કાઢી સિવિલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ જીવ બચાવ્યો.
AHMEDABAD સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બે ફોરન બોડીના કિસ્સા આવ્યા સામે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બે બાળકોના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે.પ્રથમ કિસ્સાની વિગત એવી છે કે , મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી 1 લી એપ્રિલ 2024 ના રોજ રમતમાં આકસ્મિક રીતે સોયાબીન શ્વાસ નળીમાં જતા તીવ્ર શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થઈ. ખોડાભાઈનાં પત્ની મનીષાબેનને સોયાબીનનો દાણો ખાધા પછી તરત જ ઉધરસ આવતા શ્વાસ નળીમાં સોયાબીનનો દાણો ગયો હોવાની શંકા જતા સાંજે 7 વાગ્યાની આસપાસ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા. મહેસાણા સિવિલમાં તેણીને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સતત ઓક્સિજનની જરૂર પડી રહી હતી. ત્યારબાદ 5 મી એપ્રિલ 2024 ના રોજ મહેસાણા સિવિલથી આર્યાને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી. પાંચ દિવસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ રાખ્યા દરમ્યાન આર્યાનો છાતી નો સીટી સ્કેન કરતા (HRCT થોરાક્સ) શ્વાસનળીના નીચેના ભાગ માં કોઇ વસ્તુ ફસાયેલી હોવાનુ માલુમ પડ્યુ.
ત્યારબાદ તેણીને વધુ સારવાર અર્થે 1200 બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રીફર કરવામાં આવી જ્યાં તાત્કાલિક ધોરણે બાળરોગ સર્જન ડૉ. જયશ્રી રામજી, પ્રોફેસર, ડૉ. સ્મિતા (પ્રોફેસર) અને ડૉ. નિલેશ (એસો. પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા તેની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી આર્યા ને માતાએ જે શંકા કરી હતી તે સાચી પડી.બ્રોન્કોસ્કોપી દ્વારા તેની શ્વાસ નળી માંથી સોયાબીનનો દાણો કાઢવામાં આવ્યો. જે ઓપરેશન પછી ધીરે ધીરે તેણીને શ્વાસની તકલીફ દુર થતા અને પોસ્ટઓપરેટીવ કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા રજા આપવામાં આવી.
બાળકને શ્વાસ નળીમાં ફસાયો નાળિયેરનો ટુકડો
બીજા કિસ્સાની વાત કરી એ તો ગીર સોમનાથના શાહિદ ભાઈ સુમરા અને મુનીજા બેનના દોઢ વર્ષ ન દીકરા અલી ને 18 એપ્રિલ ના રોજ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા અને ખાંસી આવતાં તેની મમ્મી મુનીજા બેનને દિકરાની શ્વાસ નળીમાં નાળિયેરનો ટુકડો ગયો હોવાની શંકા જતા તાત્કાલિક સોમનાથમાં પ્રાઇવેટ ઇ એન ટી સર્જનને બતાવ્યું. ત્યાંથી અમદાવાદ સિવિલ રીફર કરવામા આવ્યા. જ્યાં ડૉ. રાકેશ જોષી, પીડીયાટ્રીક વીભાગના વડા અને મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. સ્મિતા અને એસોસિયેટ પ્રોફેસર ડૉ નિલેષની ટીમે બ્રોન્કોસ્કોપી કરી અને. મુનીજાં બેનની શંકા મુજબનો નાળિયેરનો ટુકડો બહાર કાઢ્યો. ઓપરેશન બાદ પોસ્ટ ઓપરેટિવ સમય સામાન્ય પસાર થતા બાળક સ્વસ્થ થતા રજા આપવામાં આવી.
સિવીલ સુપ્રિન્ટેનડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે,નાના બાળકોમા શ્વાસ નળીમાં ફોરેન બોડી જતી રહેવાનાં કિસ્સા વારંવાર આવતાં હોય છે અને જો સમયસર ખબર પડી તેને ઓપેરેશન કરી બહાર કાઢવામા ન આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોને આવી વસ્તુ ઓ હાથમાં ન આવે તેનુ ખાસ ધ્યાન રાખવું જોઇએ તેમ જણાવ્યું હતું. આ બંને કિસ્સાઓમાં તેમની માતાઓની સાવચેતી અને જાગરૂકતાના કારણે સમયસર ખબર પડતા બંને બાળકોનો જીવ આપણે બચાવી શક્યા તેમ તેમણે જણાવ્યું હતું.
અહેવાલ : સંજય જોશી
આ પણ વાંચો : Pradipsinh Vaghela: રાહુલ ગાંધીના વિવાદ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનો પત્ર, જાણો શું લખ્યું છે આ પત્રમાં?