+

A. R. Rahman-દક્ષિણ અને બોલિવૂડની ફિલ્મોમાં વન એન્ડ ઓન્લી  

A.R. Rahman-1992માં મણીરત્નમની ફિલ્મ ‘રોજા’ (તમિલ)થી ઈન્ટ્રોડયુસ થનાર બેજોડ સંગીતકાર.  મણીરત્નમ અને શાહરૂખ ખાનની ૧૯૯૬માં આવેલી ‘દિલ સે’ ફિલ્મનાં ગીતોથી પ્રવેશેલા રહેમાન વિષે  વાત કરીએ તો માનવું જ પડે કે…

A.R. Rahman-1992માં મણીરત્નમની ફિલ્મ ‘રોજા’ (તમિલ)થી ઈન્ટ્રોડયુસ થનાર બેજોડ સંગીતકાર. 

મણીરત્નમ અને શાહરૂખ ખાનની ૧૯૯૬માં આવેલી ‘દિલ સે’ ફિલ્મનાં ગીતોથી પ્રવેશેલા રહેમાન વિષે  વાત કરીએ તો માનવું જ પડે કે રહેમાન સંગીતકાર તરીકે અજેય અને વન એન્ડ ઓન્લી જ છે. આ ફિલ્મનાં ગીતો ગુલઝારસાહેબે લખ્યાં હતાં.

દિલ સે ફિલ્મનું એક ગીત હતું : ‘એ અજનબી, તું ભી કભી આવાઝ દે કહી સે…’ ઉદીત નારાયણે આ ગીત ગાયું હતું. તેના રેર્કોડિંગ માટે ઉદિત નારાયણ ચેન્નાઈ ગયા હતા. રહેમાનના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરીને તેઓ  મુંબઈ આવી ગયા. તેના બે ચાર દિવસ પછી રહેમાને ગુલઝારસાહેબને ફોન કરીને એ અજનબી ગીત આખું ટેલિફોન  પર સંભળાવ્યું અને રિક્વેસ્ટ કરી કે આ ગીતમાં જયાં મ્યુઝિકના પીસ આવે છે ત્યાં મારે લેડિઝનો વોઈસ વાપરવો છે પણ એ માટે મને પ (પતંગનો પ) ઉપરથી કોઈ શબ્દ આપો…

પાખી-પાખી પરદેશી

ગુલઝારે થોડું વિચારીને તેમને શબ્દો આપ્યાં: પાખી-પાખી પરદેશી. શબ્દો આપીને રહેમાનને સમજાવ્યું કે સંસ્કૃત-બાંગ્લા ભાષામાં પાખી એટલે પક્ષી. પાખી પાખી પરદેશીનો અર્થ થાય છે પરદેશી પંખી… એ પછી રહેમાને મહાલક્ષ્મી ઐય્યર પાસે પાખી પાખી પરદેશી ગવડાવીને એ અજનબી ગીતમાં ઉમેર્યું અને તેનો પ્રભાવ કેવો અસરકારક થયેલો,

આ જ દિલ સે ફિલ્મમાં રહેમાને પ્રથમ વખત લતા મંગેશકર પાસે પણ ગીત ગવડાવ્યું હતું. ‘જીયા જલે, જાન જલે, નૈનોં તલે, ધુંઆ ચલે…’

એ. આર. રહેમાન ફિલ્મોનાં ગીતો પોતાના ચેન્નાઈના સ્ટુડિયોમાં જ રેકોર્ડ કરે છે અને ગાયકે ચેન્નાઈ જઈને જ ગીતનું રેકોર્ડિંગ કરાવવાનું હોય છે. લતાજી પણ તેમાંથી બાકાત નહોતાં. લતાજી પણ રહેમાનના મ્યુઝિકનો પ્રભાવ સમજી ચૂક્યાં હતાં, કારણકે મણીરત્નમની ‘રોઝા (૧૯૯ર)’ થી જ હિન્દી બેલ્ટમાં એ. આર. રહેમાનના અલગ બીટ ધરાવતા સંગીતની નોંધ લેવાવા લાગી હતી.

‘જીયા જલે’ ગીત એક જ દિવસમાં (રિ-ટેક વગર) રેકોર્ડ કરી લેવામાં આવ્યું

જો કે પ્રથમ પાંચ વરસ દરમિયાન A. R. Rahmanએ   લતાજીનો અવાજ વાપર્યો નહોતો. ગુલઝારસાહેબનું કહેવું છે કે રહેમાન ટયૂન બનાવતી વખતે જ મનોમન ગાયક નક્કી કરી લેતાં હોય છે એટલે એ પહેલાં તેમને કદાચ, લતાજીનો અવાજ વાપરવાની આંતર પ્રેરણા નહીં થઈ હોય… એની વે, ગુલઝારસાહેબ પણ લતાજી સાથે જ ચેન્નાઈ ગયા હતા અને જીયા જલે ગીત એક જ દિવસમાં (રિ-ટેક વગર) રેકોર્ડ કરી લેવામાં આવ્યું હતું.

રહેમાનની કામ કરવાની રીત પણ અનોખી

A. R. Rahman ની ગીત રેકોર્ડિંગની સ્ટાઈલ પણ બધાથી જુદી છે. એ ગાયક-ગાયિકાને ગીતની લાઈન અને જરૂરી સૂચના આપીને માઈક રૂમમાં મોકલી દે. ગાયક-ગાયિકાને ગીતની લાઈનો જુદી જુદી રીતે ગાવાનું કહેતા જાય અને એ તમામને રેકોર્ડ કરી, પછી નિરાંતે ટયૂનને માફક આવે અને રહેમાનને પસંદ પડે એ પંક્તિઓ વાપરીને આખું ગીત આઠ-દશ દિવસમાં તૈયાર કરી આપે… ‘દિલ સે’ફિલ્મના ‘જીયા જલે’ ગીત વખતે પણ આમ જ થયેલું, પરંતુ શરૂઆતમાં લતાજી અનકમ્ફર્ટેબલ હતાં, કારણકે રહેમાનના સ્ટુડિયોમાં માઈક રૂમમાં આરપાર જોઈ શકાય, તેવો કાચ નહોતો. એ બંધ સાઉન્ડપ્રૂફ કેબિન જ હતી. ગાયકને અંદરથી બહારનું કશું દેખાય નહીં…

લતાજીને રેકોર્ડિંગ વખતે કાચમાંથી સંગીતકાર-ગીતકારના આંખોના ભાવ જોવાની અને એ જોતાં-જોતાં ગાવાની (જેથી ખબર પડે કે બધું બરાબર જઈ રહ્યું છે ) આદત હતી. રહેમાનના સ્ટુડિયોમાં એ સંભવ નહોતું. થોડીવાર પછી અકળાયેલાં લતાજીએ ગુલઝારને એકલાં બોલાવીને કહ્યું: હું જેલમાં બંધ હોઉં એવી લાગણી મને થઈ રહી છે…

ગુલઝાર મનોસ્થિતિ સમજી ગયા એટલે માઈક રૂમના દરવાજા પાસે સ્ટૂલ રાખીને બેસી ગયા, જેથી લતાજી ગાતાં-ગાતાં તેમને જોઈ શકે. લતાજી અને A. R. Rahman વચ્ચેની કડી હું ત્યારે બની ગયો હતો એવું કહેતાં ગુલઝાર  મુંબઈ આવી ગયા પછી ફરી એક દિવસ રહેમાનનો ફોન આવ્યો: મેં એક મેલ અને ફિમેલના વૉઇસમાં ગીત રેકોર્ડ  કર્યું છે. જેને હું (જીયા જલે) ગીતના બે અંતરાઓની વચ્ચે વાપરવા માંગું છું, પરંતુ તેના શબ્દો મલયાલી ભાષામાં  છે. તમે તેનો હિન્દી ભાષામાં તરજુમો કરી આપો તો હું એ વાપરું…

શબ્દો કરતાં શબ્દનો ધ્વનિ અગત્યનો હોય

જીયા જલે ગીતમાં પુરુષ અને સ્ત્રીના અવાજનો પ્રભાવ દેખાડવા માટે રહેમાને ગુલઝારસાહેબને આખું ગીત ફોનમાં સંભળાવ્યું, જેમાં મલયાલી શબ્દો હતા : પુન્ચિરી થતુ કોંચીકો, મુન્થિરી મુત્થમ ચિન્થીકો, મંચની વણં સુન્દરી વાવે… સાંભળીને ગુલઝારસાહેબ કહ્યું કે મને તો (મલયાલી) શબ્દો જ ગીતમાં વધુ મીઠા લાગે છે. મલયાલી ભાષા અને લોકગીતોનો એક પોતાનો સાઉન્ડ છે, એ એમ જ રહેશે તો ગીત વધુ પ્રભાવી લાગશે.

પુન્ચિરી થતુ કોંચીકો, મુન્થિરી મુત્થમ ચિન્થીકો જ રખાયું

આખરે A. R. Rahman-લતાજી-ગુલઝારસાહેબના ત્રિવેણી સંગમના પ્રથમ સોપાનમાં જ એ મલયાલી શબ્દો એમ જ રાખવામાં આવ્યા. જે આપણે સાંભળ્યા અને એકદમ ખોટી રીતે એ શબ્દોને ગાવાની (ખાનગીમાં) કોશિશ પણ કરી છે. ફરી વખત એ ગીત સાંભળવા પર રોકથામ નથી, પણ જિયા જલે ગીત વિશે એ વાત જાણી લો કે એ સ્ત્રીના સુહાગ રાતના મનોભાવને ઉજાગર કરે છે. મલયાલી શબ્દમાં પણ એ જ વાતો છે પણ તેનો તરજુમો ગુલઝારસાહેબે ન ર્ક્યો એટલે આપણને પણ ખબર નથી. શબ્દો કરતાં ક્યારેક શબ્દનો ધ્વનિ અગત્યનો હોય છે, એ વાત ‘જિયા જલે’ ગીતમાં પુરવાર થાય છે.

આ પણ વાંચો- Nana Patekar-आ गए मेरी मौत का तमाशा देखने’ સંવાદ કેવી રીતે નિપજ્યો ? 

Whatsapp share
facebook twitter