ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડકપ 2023ની સેમીફાઇનલ મેચ માટે પોતપોતાના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને તેના સાથી સ્ટાફ સભ્યોએ પિચની સમીક્ષા કરી હતી, ત્યારે ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ત્રણ કલાકથી વધુ સમય સુધી પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. જો કે, આ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ સેશનથી દૂર રહ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ રવિવારે જ નેધરલેન્ડ સામે મેચ રમી હતી. આવી સ્થિતિમાં સોમવારે પ્રેક્ટિસ સેશનનું આયોજન ખેલાડીઓ માટે થકવી નાખનારું સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે સોમવારે તમામ ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયા હવે આજે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે.
વાનખેડેની પિચ પર દ્રવિડ એન્ડ કંપની
સોમવારે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને ફીલ્ડિંગ કોચ ટી દિલીપે વાનખેડે પિચ પર લાંબો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન રાહુલ દ્રવિડ વાનખેડેના પિચ ક્યુરેટર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. દ્રવિડ એન્ડ કંપનીએ વાનખેડે સ્ટેડિયમના આઉટફિલ્ડનું પણ નિરીક્ષણ કર્યું હતું.
કાયલ જેમિસને લાંબા સમય સુધી બોલિંગની પ્રેક્ટિસ કરી
ન્યૂઝીલેન્ડના બેટ્સમેન અને બોલરોએ ત્રણ કલાકથી વધુ સમય સુધી લાઇટ હેઠળ પ્રેક્ટિસ કરી હતી. મેટ હેનરીના સ્થાને આવેલા કાયલ જેમિસનને ભલે વર્લ્ડકપ 2023માં એક પણ મેચ રમવાની તક મળી ન હોય, પરંતુ તેણે પ્રેક્ટિસ સેશનમાં ઘણો પરસેવો પાડ્યો હતો. ન્યૂઝીલેન્ડના પ્રેક્ટિસ સેશનમાં બેટ્સમેનો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, કેન વિલિયમસન અને ડેરીલ મિશેલે નિર્ધારિત સત્ર કરતાં વધુ સમય સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી.
આ પણ વાંચો –WORLD CUP 2023 : સેમિફાઇનલ મેચ પહેલા ભારત માટે ખતરાની ઘંટડી! આ ખેલાડી મચાવશે ધમાલ