અહેવાલ – હરેશ ભાલિયા
જેતપુર સહિત ગ્રામ્ય પંથકમાં આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ બપોર બાદ જેતપુર પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા કપાસ, મગફળી, મગ, મકાઇ, અડદ, એરંડા સહિતના પાકને નવું જીવનદાન મળ્યું છે.
છેલ્લા એક મહિનાથી વધુ સમય પછી પણ મેઘરાજાએ ડોક્યુ ન કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ કપાસ, મગફળી સહિતનો પાક સૂકાવા લાગ્યો હતો ત્યારે આજે ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા મુરજાતા પાકને જીવતદાન મળ્યું છે.
જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર-169 સુરવો ડેમ સીઝનમાં 5 મી વાર ઓવરફ્લો થતાં ડેમમાંથી હાલ 637.88 કયુસેક પ્રવાહ પાણી છોડવામાં આવ્યું છે. 1 દરવાજો 1 ફૂટ ખોલાયા છે. ડેમની હેઠવાસમાં આવેલા જેતપુર તાલુકાના થાણાગાલોળ, ખીરસરા, ખજુરી ગુંદાળા, ચારણીયા અને ચારણ સમઢીયાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સિંચાઈ વર્તુળ દ્વારા સૂચના આપવામાં આવી છે.
સુરવો ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખીરસરા થી વાડસડા જવાના રસ્તા પરના બેઠી ધાબી પર પાણી ફરી વળ્યા હતા આ પુરના પાણીના કારણે વાડસડા ગામ જવાનો મુખ્ય પુલ અને રસ્તા ઉપર આ પુરના પાણી ફરી વળ્યા હતા જેનાથી કલાકો ગામના લોકોને આવવા-જવાનો વાહન વ્યવહાર બંધ થયો હતો જેને લઈ ને અનેક લોકો નદીના બંને કાંઠે પુર ના પાણી ઓસરે તેની રાહ જોવી પડી રહી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે