+

પાકિસ્તાન નહીં રમે Asia Cup 2023! જાણો પૂરી વિગત

ટીમ ઈન્ડિયા WTC 2023 ફાઈનલ આ મહિનાની 9 તારીખે શરૂ થશે. જે બાદ આ વર્ષના અંતમાં એશિયા કપ 2023 યોજાશે જેને લઇને છેલ્લા કેટલાક સમયથી અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે.…

ટીમ ઈન્ડિયા WTC 2023 ફાઈનલ આ મહિનાની 9 તારીખે શરૂ થશે. જે બાદ આ વર્ષના અંતમાં એશિયા કપ 2023 યોજાશે જેને લઇને છેલ્લા કેટલાક સમયથી અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે. જણાવી દઇએ કે, એક તરફ BCCI ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી જ્યારે PCB ઈચ્છે છે કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ રમવા તેમના દેશમાં આવે. જોકે, આ તમામ બાબતો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાનના ચાહકો માટે આ સમાચાર ખૂબ જ ખરાબ છે. આવો જાણીએ, શું છે મામલો?

શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને ‘હાઇબ્રિડ મોડલ’ને નકારી કાઢ્યું

એશિયા કપની યજમાનીને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને મોટો ઝટકો લાગ્યો છે. PCBના અધ્યક્ષ નજમ સેઠીએ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન (IND vs PAK) ના આવે તો હાઈબ્રિડ મોડલ પર એશિયા કપનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડે આ મોડલને નકારી કાઢ્યું છે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પ્રસ્તાવિત ‘હાઇબ્રિડ મોડલ’ને નકારી કાઢ્યા બાદ યજમાન પાકિસ્તાન સપ્ટેમ્બરમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ નજમ સેઠી દ્વારા પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ મુજબ, પાકિસ્તાને એશિયા કપની ત્રણ કે ચાર મેચો ઘરઆંગણે રમવાની હતી જ્યારે ભારતની મેચો તટસ્થ સ્થળોએ રમી શકાશે. જણાવી દઇએ કે, સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા પછી આ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન તમામે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને ટૂર્નામેન્ટને પાકિસ્તાનની બહાર ખસેડવા માટે સમર્થન આપ્યું છે.

પાકિસ્તાન એશિયા કપ 2023માંથી બહાર!

એશિયા કપ 2023ને લઈને એક મોટી માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાને ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારત, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશે PCBના હાઇબ્રિડ મોડલને નકારી કાઢ્યું હતું. આ જ કારણ છે કે પાકિસ્તાન હવે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માંગતું નથી. આ સમાચારની માહિતી પાકિસ્તાની પત્રકાર ફરીદ ખાને આપી હતી. જણાવી દઇએ કે, હવે આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં યોજવામાં આવી શકે છે, જેમાં ભારત, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો ભાગ લેશે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલે લેવાનો છે.

PCB એ બોયકોટના સંકેત આપ્યા હતા

નોંધપાત્ર રીતે, PCB એ પહેલા જ કહ્યું હતું કે, જો એશિયા કપ 2023 પાકિસ્તાનની બહાર શિફ્ટ કરવામાં આવે છે, તો તેમના ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. આ તમામ બાબતોની વચ્ચે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પણ કહ્યું કે તેઓ ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે. આ જ કારણ છે કે PCB અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે અને તેઓએ શ્રીલંકા સામે વનડે સીરીઝ રમવાનો ઈન્કાર કરી દીધો છે.

એશિયા કપ રદ્દ થઈ શકે છે

શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ભારત બધા એક જ વલણ ધરાવે છે કે પાકિસ્તાન અને અન્ય કોઈ દેશમાં એકસાથે એશિયા કપની યજમાની કરવી તર્કસંગત અથવા નાણાકીય રીતે શક્ય નથી. આવી સ્થિતિમાં તેનું આયોજન કોઈ એક દેશમાં એટલે કે શ્રીલંકામાં થવું જોઈએ કારણ કે ભારત પાકિસ્તાનની યાત્રા કરી શકે નહીં. સૂત્રએ એમ પણ કહ્યું કે એવી સંભાવના છે કે આ વર્ષે એશિયા કપ સંપૂર્ણપણે રદ થઈ શકે છે અને ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વર્લ્ડ કપ પહેલા ODI ફોર્મેટમાં એક મલ્ટી-ટીમ ટૂર્નામેન્ટ રમી શકે છે.

આ પણ વાંચો – પાંચ સિક્સ આપી, કાર્ટૂન શેર કર્યું, હવે માફી માંગવી પડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter