Jain Muni Acharya Vidyasagar Maharaj: જૈન મુનિ આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજે આજે રાત્રે 2:30 કલાકે સંલ્લેખના પૂર્વક દેહ ત્યાગ કર્યો. ઉલ્લેખનીય છે કે, તેઓશ્રીએ છત્તીસગઢના ડોંગરગઢમાં આવેલા ચંદ્રગિરી તીર્થ પર છેલ્લા શ્વાસ લીધા છે. મળતી વિગતો પ્રમાણે જૈન મુનિ આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજના અંતિમ સંસ્કાર આજે 18 ફેબ્રુઆરીને રવિવારે બપોરે 1 વાગે કરવામાં આવશે.
આચાર્યશ્રીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હતી
જૈન મુનિ આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજના અવસાનથી અત્યારે દેશભરમાં શોકનો માહોલ છે. આચાર્યશ્રીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હતી. તેઓશ્રીએ છેલ્લા ત્રણ દિવસથી અન્ન-જળનો ત્યાગ કરી દીધો હતો. આચાર્યશ્રી તેમના અંતિમ શ્વાસ સુધી ચેતન અવસ્થામાં રહ્યા અને મંત્રોચ્ચાર કરતી વખતે દેહ ત્યાગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંતિમ ઘડીએ આચાર્યશ્રી પાસે મુનિશ્રી યોગસાગરજી મહારાજ, શ્રી સમતાસાગરજી મહારાજ, શ્રી પ્રસાદસાગરજી મહારાજ ઉપસ્થિત હતાં. દેશભરના જૈન સમુદાય અને આચાર્યશ્રીના ભક્તોએ તેમના માનમાં આજે એક દિવસ માટે તેમના પ્રતિષ્ઠાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માહિતી મળતાં જ આચાર્યશ્રીના હજારો શિષ્યો ડોંગરગઢ જવા રવાના થઈ ગયા છે.
પ્રધાનમંત્રી પણ ગયા વર્ષે દર્શન કરવા ગયા હતાં
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢના રાજનાંદગામના ડોગરગઢમાં આવેલા જૈન તીર્થસ્થળ ચંદ્રગિરી પહોંચ્યા અને જૈન સંત વિદ્યાસાગર મહારાજના દર્શન કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાસાગર મહારાજના દર્શન કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘આચાર્યશ્રી વિદ્યાસાગરજીના આશીર્વાદ લઈને ખુબ જ ધન્યતા અનુભવિ રહ્યો છું.’
વિદ્યાસાગર મહારાજને યુગો સુધી યાદ કરવામાં આવશેઃ સાય
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજના નિધન પર શોક જાહેર કર્યો છે. સીએમ સાયે શોક સંદેશમાં લખ્યું કે, ‘વિશ્વ આદરણીય, રાષ્ટ્રીય સંત આચાર્ય શ્રી વિદ્યાસાગર મહામુનિરાજ જીની ડોંગરગઢ સ્થિત ચંદ્રગિરી તીર્થમાં સમાધિ લેવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આચાર્ય શ્રી વિદ્યાસાગર જી મહારાજ, જેમણે છત્તીસગઢ સહિત દેશ અને વિશ્વને તેમના ગતિશીલ જ્ઞાનથી સમૃદ્ધ બનાવ્યું, તેઓ દેશ અને સમાજ માટે તેમના નોંધપાત્ર કાર્ય, બલિદાન અને તપસ્યા માટે યુગો સુધી યાદ કરવામાં આવશે. આધ્યાત્મિક ચેતનાના પોટલા આચાર્ય શ્રી વિદ્યાસાગર જીના ચરણોમાં હું નમન કરું છું.’