Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદના ખોખરા રેલવે બ્રિજની ત્રણ વર્ષથી ગોકળગાય ગતિએ કામગીરી, શહેરીજનો પણ થાક્યા!

08:04 PM Apr 28, 2023 | Vipul Pandya

ખોખરા રેલવે ઓવરબ્રિજની ત્રણ વર્ષથી મંથર ગતિએ ચાલી રહેલી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હજુ પણ ત્રણ મહિના બાદ પણ કામ પૂરું થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. મહત્વનું છે કે વર્ષ 2019થી  આ બ્રિજ પર વાહનવ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો હતો. ખોખરા રેલવે ઓવરબ્રિજને નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, ત્રણ વર્ષ વીત્યા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ થવાનું નામ લેતી નથી. શહેરીજનો હવે ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે.
શહેરના મધ્યના ટ્રાફિકને પૂર્વથી જોડતો હતો બ્રિજ
ખોખરા રેલવે બ્રિજ બંધ હોવાથી લોકોએ સારંગપુર બ્રિજ પરથી પસાર થવાની નોબત આવે છે. આ બ્રિજનો બિસ્માર રસ્તો પણ મનપાએ રિપેર કર્યો નથી. હજારો વાહનો દરરોજ ખાડાવાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે, વાહનચાલકો પણ હેરાન પરેશાન થઇ ગયા છે. લોકોએ ચારથી પાંચ કિલોમીટરના અંતરનો ફેરો આ બ્રિજ બંધ હોવાને કારણે ખાવો પડે છે.  Amc અને રેલવે તંત્ર આ કામગીરીમાં નબળા પડતા હોઇ સરકાર હવે ગંભીર થાય તેવી પણ માગ ઉઠી છે. લોકોમાં રોષ છે કે ત્રણ વર્ષમાં મનપા એક ઓવરબ્રિજનું કામ પૂરું ન કરાવી શકતું હોય તો લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે બીજી શું અપેક્ષા રાખે?