Chemical mango: કેરી એટલે મોત! જી હા કેરી જેટલી મીઠી છે તેટલી જ ઝેરીલી પણ બની છે. કારણ છે વિવિધ કેમિકલો થકી પકવાતી કેરીને કારણે આ વાત અમારે કરવી પડી રહી છે. કેરી (Mango) આંબા પરથી કાચી તૂટે અને એક થી દોઢ દિવસમાં તે કેમિકલ (Chemical)ની પડીકીને કારણે પાકી જાય અને તે તમારા ઘરે પહોંચે છે આ કેટલી ઘાતક છે તે જાણવું ખૂબ જરૂરી બને છે.
ગરીબ હોય કે તવંગર કેરી તો દરેક ખાતા જ હોય
ફળોનો રાજા એટલે કેરી અને કેરીની હાલ સીઝન જામી છે ગરીબ હોય કે તવંગર હર કોઈ કેરી આ સિઝનમાં ખાતું હોય છે. પરંતુ કરમની કઠણાઈ એ છે કે, આ કેરીમાંથી જે વિટામિન્સ મળવા જોઈએ તે પહેલેથી જ તે કેરીમાં મરી જતા હોય છે આવું કેમ થાય છે? તેનું સંશોધન કરવા અમારી ટીમ પહોંચી એક કેરીના ગોડાઉનમાં કે જ્યાં કેરીને કઈ રીતે પકાવવામાં આવે છે તે દ્રશ્યો જોશો તો આપને આખી સ્ટોરીનો ચિત્તાર મળી જશે.
રાતોરાત કેરી પાકી પણ જાય અને વેચાઈ પણ જાય!
આ ગોડાઉનમાં પડેલી કેરી મોટાભાગે સડી ગઈ છે અને જે સારી છે તેના ઉપર પુષ્કળ દાગ છે જે કેમિકલથી પકવાતી કેરી (Chemical mango)ની નિશાનીઓ છે. ઈથીલીન અને કાર્બાઇડની પડીકી માર્કેટમાં ખૂબ ચાલે છે અને તે પડીકી થકી રાતોરાત કેરી પાકી જતી હોય છે અને વેપારીઓ તેને વેચી લાખો રૂપિયા ઘર ભેગા કરે છે પરંતુ તે કેરી જે આપના ઘર સુધી ત્યારબાદ આપના ઉદર સુધી પહોંચે છે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. વેપારીઓને આ વેપાર કરવામાં વાંધો પણ નથી આવતો કારણ કે તેમના મતે હેલ્થ અધિકારીઓ આવે છે અને તેમના ખીચા અમે ગરમ કરી આપીએ એટલે ચૂપચાપ જતા પણ રહે છે.
કેમિકલના કારણે શરીરને ગંભીર અસરો પણ થાય છે
એક નવજાત બાળક રાતોરાત યુવાન બની જાય અને પછી તેને ઘરડું થતા પણ વાર નથી લાગતી. અહીં પડેલી તમામ દાગ વાળી અને સડેલી કેરી તેનું જ પરિણામ છે કે જે રાતો રાત પકવવામાં આવતી હોય છે. અને જે બચી જાય છે તેનું પણ થોડાક જ સમયમાં બાળમરણ થાય છે. આ પડીકી ઉપર પણ ચેતવણી આપવામાં આવી છે કે તે ખાવા માટે નથી પરંતુ તેનાથી કેરી પાકે અને તે ખાઓ એટલે તેની અસર તો શરીરમાં પણ થવાની જ છે એટલું ઘાતક આ કેમિકલ હોય છે આના કારણે શરીર પર કેવી ખૂબ ગંભીર અસરો થતી હોય છે.
ફેમિલી ફિઝિશિયન ડોક્ટર ભાવેશ ટાઢાણી
ટૂંકા ગાળે અને લાંબા ગાળે થતી બીમારીઓ વિશે જણાવે છે તેમનું કહેવું છે કે લોકો ઓર્ગેનિક કેરી ખાય થોડી મોંઘી પડશે થોડી ખાય પણ સારી થાય અને જો શક્ય હોય તો ઘરે લાવી પકવીને ખાય તે સારું રહેશે. નહિતર ટૂંકા ગાળે હેડેક, વોમિટિંગ, ઈનફર્ટિલિટી, એલર્જી જેવા અનેક રોગો અને લાંબા ગાળે કેન્સર જેવી ઘાતક બીમારી પણ થઈ શકે છે. તો આપની સુરક્ષા આપના હાથમાં છે. કેવી કેરી ખાવી અને કેટલું તંદુરસ્ત રહેવું તે ધ્યાન રાખવાનું રહેશે કારણ કે તંત્રની રહેમ નજર હેઠળ ચાલતો ખાણીપીણીનો આ બોગસ ધંધો જીવ લઈ લેશે. કારણકે આજે પણ કેમિકલની આ પડીકીનો વેપાર બિન્દાસ ચાલી રહ્યો છે.