Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ગાય આધારિત ખેતી થકી ખેડૂતે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા

02:55 PM Jun 21, 2024 | PARTH PANDYA

VADODARA : આજના આધુનિક યુગમાં ઝેરમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી એ જ સમયની માંગ છે. આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાનપાનની બાબતે જાગૃત થઈ રહ્યા છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવવા માટે મોટી સંખ્યામાં જાગૃત થઈ રહ્યાં છે.

જંતુનાશકો વાપરવા પડતાં નથી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડુંગરીપુરા ગામના ખેડૂત પ્રગતિશીલ ખેડૂત પ્રભાતભાઈ ભોઈ જણાવે છે કે, અમારા ખેતરમાં આંબાનો ઉછેર અમે સુભાષ પાલેકર પ્રેરિત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને બાગાયતની પદ્ધતિ અનુસરીને કર્યો છે. એટલે આ આંબા પર પાકેલી કેરીને સાત્વિક કેરી કહીએ છીએ.આંબાને સાચવવા અમે રાસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ કરતાં જ નથી.ગૌ મૂત્ર અને ગોબરમાંથી બનતા ઘન અને પ્રવાહી જીવામૃતનો ઉપયોગ કરીને જો આંબા ઉછેરો તો મોરના રક્ષણ માટે કે વૃક્ષોના પોષણ માટે ખાતર કે જંતુનાશકો મોટે ભાગે વાપરવા પડતાં નથી.

સાત્વિક પાકોનું ઉત્પાદન

તેમનું કહેવું છે કે આ નવી ખેતી અને બાગાયતે અમને નિરાશ કે હતાશ કર્યા નથી. ખર્ચ લગભગ ૫૦ ટકા ઘટી જવાથી વળતર વધ્યું છે. અમને શુદ્ધ આહાર પસંદ છે એટલે ડોડીની ભાજી,ફણસ,કજી, ગલકા,બગલાપાન જેનો ઉપયોગ મસાલામાં થાય છે સાથે ગાજર તથા પાલક જેવા સાત્વિક પાકોનું ઉત્પાદન કરીએ છે. આ ખેતી માટે ફક્ત દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ થાય છે. પ્રભાતભાઈ ભોઈ કહે છે કે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત ઉત્તમ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું છે. મને વર્ષ ૨૦૧૮માં પ્રાકૃતિક ખેતીનો એવોર્ડ મળ્યો હતો.

વેચાણ કેન્દ્રો શરૂ કર્યા

પ્રાકૃતિક ખેત પેદાશોના ફળ, શાકભાજી અને બાગાયત જેવા ઉત્પાદનોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે માટે રાજ્ય સરકારે એફ.પી. ઓ ના માધ્યમથી ખેડૂતોની ખેતપેદાશોના વેચાણ માટે વેચાણ કેન્દ્રો શરૂ કર્યા છે.એટલું જ નહી આત્માના માધ્યમથી ગાય ઉછેરીને તેના આધારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગૌ ઉછેર સરળ બનાવવા ગાય નિભાવ ખર્ચની યોજના અમલમાં મૂકી છે.જેનો દરેક ખેડૂતોએ લાભ લઈ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.

આ પણ વાંચો — VADODARA : VMC ની કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માંગ, જાણો કારણ