Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nilesh Kumbhani : સુરતમાં રાજકીય ભૂકંપ! કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવા એંધાણ, જાણો શું છે મામલો ?

07:27 PM Apr 20, 2024 | Vipul Sen

લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં ભારે રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આથી, નિલેશ કુંભાણીનું ફૉર્મ રદ થવાનું સંકટ ઘેરાયું છે. ફૉર્મમાં ટેકેદાર બનેલાં ત્રણેય સભ્યોની સહીને લઈ વિવાદ સર્જાયો છે. દાવો કરાયો છે આ ત્રણેય ટેકેદારોની જે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે તે ખોટી છે. બીજી તરફ ત્રણેય ટેકેદારો સંપર્કવિહોણા હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.

સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થાય તેવા એંધાણ મળી રહ્યા છે. કારણ કે, એવો દાવો કરાઈ રહ્યો છે કે, નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદાર બનેલા ત્રણેય સભ્યોની ખોટી એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે. ટેકેદારોની નકલી સહી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રિટર્નિંગ ઓફિસરે આ મામલે નોટિસ પણ પાઠવી હોવાના સમાચાર છે. સુરત જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકાર સમક્ષ આ મામલે કાર્યવાહી શરૂ કરાઈ છે. આ મામલે હવે આવતીકાલે 11:00 વાગે સુનાવણી હાથ ધરાશે. સુનાવણી બાદ ઓર્ડર પાસ કરાશે. આ સાથે કોંગ્રેસે હાઈકોર્ટ સુધી જવાની તૈયારી પણ દર્શાવી છે.

ટેકેદારોનું અપહરણ થયાનો દાવો, શક્તિસિંહે કહી આ વાત

કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે તેમના ટેકેદારો સંપર્કવિહોણા થયા છે. તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. આવતીકાલે ટેકેદારોને સુનાવણીમાં હાજર કરાશે એવી પણ માહિતી છે. આથી આ મામલે હવે આવતીકાલે નિર્ણય લેવાશે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ હાર ભાળી ગયું છે એટલે અમારા ઉમેદવારોને દબાવે છે. ફોર્મ ભરતી વખતે ટેકેદારો સાથે હતા કેમેરામાં પણ તેઓ આવ્યા છે. છતાં પણ કયા કારણોસર તેમને આ એફિડેવિટ કર્યા છે તે પણ એક સવાલ છે.

નિલેશ કુંભાણીના એડવોકેટે કહ્યું- આવતીકાલે સુનાવણી

નિલેશ કુંભાણીના એડવોકેટ ઝમીર શેખે કહ્યું કે, આજે 4 વાગ્યે ટેકેદારોએ કરેલા આક્ષેપો અંગે હિયરિંગ થઈ. અમારા તરફથી પણ પક્ષ મુકવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ આવતીકાલ સુધીના સમયની માગ કરાઈ હતી. આવતીકાલે 11 વાગ્યા સુધીનો સમય અપાયો છે અને સવારે 9 કલાકે બોલાવ્યા છે. આવતીકાલે ત્રણેય ટેકેદારો અંગેની સુનાવણી થશે.

જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું : બાબુ માંગુકિયા

જ્યારે ટેકેદારોના અપહરણ મામલે બાબુ માંગુકિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઉમરા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવી છે. ત્રણેય ટેકેદારને કલેક્ટર કચેરીમાં હાજર કરવાની માગ કરાઈ છે. તેમણે કહ્યું કે, ત્રણેય ટેકેદારોએ અમારી હાજરીમાં સહી કરી હતી. અમે ત્રણેય ટેકેદારોની ઉલટ તપાસ કરવામાં આવે તેવી માગ કરીશું. સાથે જ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરીશું. બે કલાકમાં અમે હાઈકોર્ટની પરમિશન માગીશું. જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. ધમકી, લાલચ કે બદલાની ભાવનાથી આ કર્યું હોવાની આશંકા.

આવતીકાલે સત્યનો વિજય થશે : મનીષ દોશી

નિલેશ કુંભાણી વિવાદ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે, સુરતના કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો શામ-દામ-દંડ-ભેદથી ઊભો કરાયો છે. કોંગ્રેસની લીગલ સેલની ટીમ ચૂંટણી પંચને મળવા ગઈ હતી. શરૂઆતમાં 2 કલાકનો સમય અપાયો હતો. હવે આવતીકાલે 11 વાગ્યાનો સમય આપ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, તંત્રનો ઉપયોગ કરી ઉમેદવારી રદ્દ થાય એવા પ્રયત્ન થઈ રહ્યા છે. જે ખેલ થઈ રહ્યા છે એ અમે આવતીકાલે ખુલ્લા પડીશું. અમને પૂરો વિશ્વાસ છે કે આવતીકાલે સત્યનો વિજય થશે.

આ પણ વાંચો – Amreli : કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવા માગ, જાણો શું છે કારણ ?

આ પણ વાંચો – Sabarkantha : BJP માટે રાહતના સમાચાર! આ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું ! વાંચો વિગત

આ પણ વાંચો – Lok Sabha Candidate Nomination: સાબરકાંઠા બેઠકના અપક્ષ ઉમેદવાર શક્તિ પ્રદર્શન કર્યા બાદ પાણીમાં બેસી ગયા