VADODARA : વડોદરાના ગોત્રી તળાવ ચાર રસ્તા પાસેથી નિલાંબર સર્કલ તરફ જવાના રસ્તે આવેલા રોડ-રસ્તાના વિકાસને નડતરરૂપ મકાનો તોડી પાડવા મામલે ભાજપના બે કોર્પોરેટરોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટર નિતીન દોંગા દ્વારા આ મકાનરૂપી દબાણો દુર કરવા માટે પાલિકા તંત્રને પત્ર લખીને જાણ કરવામાં આવી છે, જ્યારે બીજા કોર્પોરેટર દ્વારા મકાન ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા પહેલા ફાળવવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. હવે આ મામલે આગળ કેટલા સમયમાં ત્વરિત નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.
22 માર્ચે ભાજપના કોર્પોરેટરે પત્ર લખ્યો
વડોદરાના ગોત્રી તળાવ ચાર રસ્તાથી નિલાંબર સર્કલ તરફ જવાના રસ્તાને 30 મીટર પહોળો કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં નડતરરૂપ મકાનોનું દબાળ તોડી પાડવા માટે અગાઉ પાલિકા દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. પરંતું આજદિન સુધી દબાણો દુર નહિ થવાના કારણે 22 માર્ચે ભાજપના કોર્પોરેટર નિતીંન દોંગાએ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો.
અકસ્માતો થવાની સંભાવના વધારે રહેશે
નિતીન દોંગાએ કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, યશ કોમ્પલેક્ષ ચાર રસ્તાથી નિલાંબર સર્કલ સુધી 30 – 30 મીટરનો વાઇડનીંગ સાથેનો નવો રોડ બની રહ્યો છે. જેમાં ગોત્રી પોલીસ સ્ટેશન પાસે ત્રણ જેટલા રોડ લાઇનમાં દબાણો થયેલા છે. જે દબાણો તોડવા માટે વારંવાર મૌખિક રજૂઆત કરેલ છે. પરંતુ આજદિન સુધી આ દબાણો દુર કરવામાં આવ્યા નથી. જેથખી 30 ફૂટના રોડ પર દબાણના કારણે એ જગ્યામાં રોડ 20 ફૂટ જ રહેશે. જેથી અકસ્માતો થવાની સંભાવના વધારે રહેશે. જેથી આ દબાણો તાત્કાલિક ધોરણે હટાવવા માટે રજૂઆત છે.
સમાધાનકારી વલણ અપવાવવા પર જોર
જો કે, સુત્રો જણાવી રહ્યા છે કે, અગાઉ પાલિકાની ટીમ દબાણ દુર કરવા પહોંચી ત્યારે સફળતા મળી ન હતી. જેથી આ મામલો તાજેતરમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. અને સમાધાનકારી વલણ અપવાવવા પર જોર લગાડવામાં આવી રહ્યું છે.
લાગણી કમિશનર, ચેરમેન સુધી પહોંચાડી
આ મામલાને લઇ ભાજપ કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું કે, રોડ કરવાની કામગીરી શરૂ કરવાના હતા. ત્યારે પાલિકાની ટીમે તેમને (મકાન ધારકોને) નોટીસ આપી હતી. ત્યારે તેમણે મને રજૂઆત કરતા કહ્યું કે, અમે અહિંયાથી ખસવા તૈયાર છે. અમને ક્યાંક મકાન ફાળવવામાં આવે તો અમે કલાકમાં જ ખસી જઇશું. જે તે સમયે ટીમ આવી ત્યારે તેમણે કહ્યું કે, અમને એલોટમેન્ટ લેટર આપી દો. તેઓ હટવા માટે તૈયાર છે. તેઓ જાતે મકાનો દુર કરવા તૈયાર છે. મારા વિસ્તારના નાગરિકો છે. 70 – 80 વર્ષો જૂના મકાન છે. તેમની લાગણી કમિશનર, ચેરમેન સુધી પહોંચાડી છે. તેમણે કહ્યું છે કે, વચલો રસ્તો કાઢી આપવામાં આવશે.
બંનેની લાગણી યોગ્ય છે
ડો. શિલત મિસ્ત્રી મીડિયાને જણાવે છે કે, કમિશનર સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. બંને ભાજપના કાઉન્સિલર છે. બંનેની લાગણી યોગ્ય છે. રસ્તામાં ટ્રાફિકનું ભારણ વધતું હોય, ટ્રાફિક જામ થવાના વિષયમાં રસ્તામાં આવતા ગેરકાયદેસર દબાણો દુર કરવા જોઇએ, તેવી એક કોર્પોરેટરની લાગણી છે. બીજા કોર્પોરેટરની માંગણી છે કે, માનવતાના ધોરણે ઘરના લોકો માટે કંઇક વિચારમાં આવે.
આ પણ વાંચો —VADODARA : સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે લઇ ગઠિયો માલિક બની બેઠો