Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમીત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે: વિજય રુપાણીનો આરોપ 

06:05 PM May 24, 2023 | Vipul Pandya
ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીનના ભ્રષ્ટાચારના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ખુલાસો કરીને કોંગ્રેસના વિપક્ષના નેતા દ્વારા લગાવાયેલા આરોપોનું ખંડન કર્યું છે. તેમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે હાલમાં કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા જ નથી અને અમીત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે.
આરોપોનું ખંડન કર્યું 
અમીત ચાવડાએ લગાવેલા આરોપો અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે  આ આક્ષેપનું હું ખંડન  કરું છું અને સોઈ જાટકીને વિરોધ કરું છું. તેમણે કહ્યું કે  હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી. તેમણે વળતો આરોપ લગાવ્યો કે મીડિયાના આધારે અમીત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે.
અમીત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે
તેમણે કહ્યું કે મારી સરકારને પાંચ વર્ષ થઈ ગયા છે ત્યારે અમિતભાઈને કંઇ યાદ આવ્યું ન હતું.  કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમીત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે  6 ઓક્ટોબર 2020 ના રોજ મેં પોતે ઇન્કવાયરી નીમી હતી અને મે પોતે આદેશ આપ્યા હતા કે લાંબા સામે અનેક ફરિયાદો આવે છે અને  કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે મે જ ઇન્કવાયરી કરી હોય તો હું થોડો એની સાથે હોઉં.
જમીન હતી જે તેના મૂળ માલિકની હતી
વિજય રુપાણીએ વધુમાં કહ્યું કે  પાંજરાપોળની જમીન હતી જે તેના મૂળ માલિકની હતી અને મૂળ માલિક ખેડૂત હતા.  પાંજરાપોળ દ્વારા પોતાને લીઝ દ્વારા મળનાર જમીન સરેન્ડર કરવામાં આવી હતી. કૌશિક ભાઈ પટેલે ક્યારેય પોતાને મળેલા બંગલાનો ઉપયોગ નિવાસ સ્થાન તરીકે કર્યો નથી.
હાઇ પાવર કમિટિની બેઠક મળી નથી
તેમણે કહ્યું કે પાંજરાપોળની જમીન બાબતે કોઇ હાઇ પાવર કમિટિની બેઠક મળી નથી અથવા આ મુદ્દે હાઇપાવર કમિટીની બેઠકમાં કોઇ ચર્ચા પણ કરી નથી. અમારું માનવું છે કે લાંગા પર લગાવાયેલા આરોપોથી બચવા અને લોકોનું ધ્યાન અન્ય જગ્યાએ દોરવા અમને રાજકીય રીતે બદનામ કરવા માટે જ આવા જુઠાણા ચલાવામાં આવે છે.