મોબાઈલ ફોનના વળગણના દૂષણથી કોઈ બાકાત નથી. આજે મોબાઈલ ફોન જેટલો ઉપયોગી અને જરૂરી છે એટલો જ નુકસાનકર્તા પણ છે. સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી જેના શીરે છે તે પોલીસ વિભાગ પણ આ સમસ્યાથી ખૂબ પરેશાન છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) માં બંદોબસ્ત દરમિયાન મોબાઈલ ફોનના બિનજરૂરી ઉપયોગને લઈને કરાયેલો આદેશ ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ પોલીસની આ પહેલ કદાચ ગુજરાત પોલીસ (Gujarat Police) માં પણ નજીક દિવસોમાં અમલી બને તો નવાઈ નહીં. વર્ષ 208માં પણ પોલીસને મોબાઈલ ફોનના બિનજરૂરી ઉપયોગથી કેવી રીતે દૂર રાખવી તે અંગે વિચારણા અને ઉપાયો શોધવા પ્રયત્ન થયા હતા, પરંતુ કોઈ ઠોસ નિર્ણય નહીં લેવાતા સમસ્યા વિકટ બની રહી હતી.
શું થયો છે આદેશ ?
ભારત વિરૂદ્ધ પાકિસ્તાન ક્રિકેટ મેચના બંદોબસ્તની ફરજ રોકાયેલા તમામ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફના મોબાઈલ ફોન ફલાઈટ મોટ (Flight Mode) કે સ્વીચ ઑફ મોડ (Switch Off Mode) માં રાખવાનો આદેશ કરાયો છે. PI અને PSI ના તાબામાં ક્રિકેટ સ્ટેડીયમ, હોટલ તથા રોડ બંદોબસ્તની ફરજમાં રોકાયેલા તમામ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફને સૂચિત કરવાનો કંટ્રોલ રૂમના નાયબ પોલીસ કમિશનર કોમલ વ્યાસે (DCP Komal Vyas) લેખિત હુકમ કર્યો છે. બંદોબસ્ત દરમિયાન કોઈ પોલીસ કર્મચારી મોબાઈલ ફોનનો બિનજરૂરી ઉપયોગ કરતા મળી આવશે તો તેમની સામે બેદરકારી દાખવવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે. કોન્સ્ટેબ્યુલરી સ્ટાફમાં લોક રક્ષક, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI નો સમાવેશ થાય છે. કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ માટેનો આદેશ માત્ર ક્રિકેટ મેચના બંદોબસ્ત પૂરત સિમિત નથી. હવે પછી આવનારા તમામ બંદોબસ્તમાં આ સૂચનાનો અમલ કરાવવાનો રહેશે.
માત્ર કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ જ કેમ ?
ઉચ્ચ IPS અધિકારીઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલીસ વિભાગમાં મોબાઈલ ફોનના દૂષણથી પરેશાન છે. બંદોબસ્ત હોય કે સામાન્ય ફરજ મોટાભાગનો પોલીસ સ્ટાફ મોબાઈલ ફોનમાં ઘૂસેલો જોવા મળે છે. PM નરેન્દ્ર મોદી હોય કે અન્ય કોઈ VVIP – VIP બંદોબસ્ત પોલીસ સોશિયલ મીડિયા, ગેમ કે અન્ય એપ્લિકેશનમાં પરોવાયેલી રહે છે. પોલીસ વિભાગમાં જો કોઈ સૌથી સંખ્યા છે તો તે કોન્સ્ટેબ્યુલરી સ્ટાફની. બંદોબસ્તમાં તેમની અહમ ભૂમિકા હોય છે. જ્યારે PSI PI કક્ષાના અધિકારીઓએ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ ઉપર દેખરેખ રાખવાની હોય છે અથવા તો ઉચ્ચ અધિકારીએ આપેલા આદેશની પાલન કરાવવાનું હોય છે.
પોલીસને સતર્ક રાખવાનો પ્રયાસ
વર્ષ 2018માં DGP પદે આવ્યા બાદ શિવાનંદ ઝા (Shivanad Jha) એ પોલીસ સ્ટાફને મોબાઈલ ફોનના વળગણથી કેવી રીતે દૂર રાખવો તે અંગે વિચારણા શરૂ કરી હતી. પોલીસ સ્ટાફ બંદોબસ્ત દરમિયાન મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરતો હોવાથી તેઓ આ મુદ્દે પરેશાન હતા અને કેટલાંક IPS અધિકારીઓ સાથે આ સમસ્યાના સમાધાન માટે ચર્ચા કરી સૂચનો માગ્યા હતા. બંદોબસ્ત નાનો હોય કે મોટો પોલીસ સ્ટાફે દરેક ક્ષણે સતર્ક રહેવું જોઈએ તેવો મોટાભાગના સિનિયર IPS અધિકારીઓનો મત છે. જો કે, આ મુદ્દે અમદાવાદ પોલીસે પહેલ કરી છે.