Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આસામમાં ULFAના ઉગ્રવાદનો અંત,કેન્દ્ર સરકાર સાથે ઐતિહાસિક શાંતિ કરાર

07:10 PM Dec 29, 2023 | Hiren Dave

ભારત સરકાર, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) અને આસામ વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર પર આજે શુક્રવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 40 વર્ષમાં પ્રથમ વખત સશસ્ત્ર આતંકવાદી સંગઠન ULFAના પ્રતિનિધિઓ અને આસામ સરકાર વચ્ચે શાંતિ સમાધાન કરારના મુસદ્દા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પૂર્વોત્તરમાં ભારત સરકારના શાંતિ પ્રયાસો તરફ આ એક મોટું પગલું છે. કારણ કે, ઉલ્ફા છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તર પૂર્વમાં સશસ્ત્ર સુરક્ષા દળો સામે હિંસક સંઘર્ષ કરી રહ્યું હતું.

 

આ અંગે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ઉત્તર-પૂર્વમાં શાંતિ સમજૂતી માટે ઉલ્ફા સાથે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, ગૃહ સચિવ અજય ભલ્લા, આસામના ડીજીપી જીપી સિંહ અને ઉલ્ફા જૂથના સભ્યો હાજર હતા.

 

 

ઉલ્ફા અને ભારત સરકાર વચ્ચે આજે થયેલ સમાધાનના મુખ્ય મુદ્દા

  • આસામના લોકોની સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવામાં આવશે
  • આસામના લોકો માટે વધુ યોગ્ય રોજગારના સાધનો રાજ્યમાં ઉપલબ્ધ રહેશે
  • સરકાર તેમના કેડરોને રોજગારીની પૂરતી તકો પૂરી પાડશે
  • ULFAના સભ્યો જેમણે સશસ્ત્ર આંદોલનનો રસ્તો છોડી દીધો છે તેમને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે ભારત સરકાર શક્ય તમામ પ્રયાસો કરશે

 

આસામના ભવિષ્ય માટે ઉજ્જવળ દિવસો: અમિત શાહ

ઉલ્ફા સાથેના કરાર પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આસામના ભવિષ્ય માટે આ એક ઉજ્જવળ દિવસ છે. રાજ્ય અને ઉત્તર-પૂર્વમાં છેલ્લા કેટલાક દાયકાઓથી હિંસા જોવા મળી રહી છે. જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા છે, અમે ઉત્તર-પૂર્વને હિંસા મુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. છેલ્લા પાંચ વર્ષમાં, પૂર્વોત્તરમાં 9 શાંતિ સમજૂતીઓ (સીમા શાંતિ અને શાંતિ કરાર સહિત) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે આસામના 85% વિસ્તારોમાંથી AFSPA હટાવી દેવામાં આવી છે. આસામમાં હિંસાને ત્રિપક્ષીય સમજૂતી દ્વારા ઉકેલી શકાય છે. દાયકાઓથી ઉલ્ફા દ્વારા ચલાવવામાં આવેલી હિંસામાં 10,000 લોકો માર્યા ગયા હતા. આ આસામમાં બળવાખોરીનો સંપૂર્ણ ઉકેલ છે. તમામ વિભાગોને સમયમર્યાદામાં લાગુ કરવામાં આવશે. આજે 700 ULFA કાર્યકર્તાઓએ આજે ​​આત્મસમર્પણ કર્યું.

ઉલ્ફાના 20 નેતાઓ એક સપ્તાહથી દિલ્હીમાં હાજર રહ્યા હતા

વાસ્તવમાં, ઉલ્ફાના એક જૂથ એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામના 20 નેતાઓ છેલ્લા એક સપ્તાહથી દિલ્હીમાં હતા. ભારત સરકાર અને આસામ સરકારના ટોચના અધિકારીઓ હસ્તાક્ષર માટે આ કરારનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા હતા. શાંતિ કરાર પર હસ્તાક્ષર કરનાર ઉલ્ફાનો જૂથ અનુપ ચેટિયા જૂથનો છે. ઉલ્ફાના આ જૂથે 2011 થી શસ્ત્રો ઉપાડ્યા નથી, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે ઔપચારિક શાંતિ કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને બંને પક્ષોના પ્રતિનિધિઓએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. ઉત્તર-પૂર્વમાં સશસ્ત્ર આતંકવાદી સંગઠનો સાથે આ વર્ષે ભારત સરકારનો આ ચોથો મોટો કરાર છે.

ઉલ્ફાની રચના 1979માં થઈ હતી

તમને જણાવી દઈએ કે ઉલ્ફાનું ગઠન 1979માં “સાર્વભૌમ આસામ”ની માંગ સાથે કરવામાં આવ્યું હતું. ત્યારથી, તે વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે જેના કારણે કેન્દ્ર સરકારે તેને 1990માં પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું. ભારત સરકાર ઉલ્ફા સાથે ઘણી વખત વાત કરવા માંગતી હતી. પરંતુ ULFAની અંદરની લડાઈને કારણે આ પ્રયાસમાં અવરોધ બનતો રહ્યો. આખરે 2010માં ULFA બે ભાગમાં વહેંચાઈ ગયું. એક ભાગનું નેતૃત્વ અરબિન્દા રાજખોવા દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ સરકાર સાથે મંત્રણાની તરફેણમાં હતા અને બીજા ભાગનું નેતૃત્વ બરુઆહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ મંત્રણાની વિરુદ્ધ હતા. ULFA, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SOO) કરાર પર હસ્તાક્ષર થયા પછી રાજખોવા જૂથ 3 સપ્ટેમ્બર, 2011ના રોજ સરકાર સાથે શાંતિ વાટાઘાટોમાં જોડાયો.

આ પણ વાંચો –NAVY ADMIRALS ના ખભા પર લગાવાતા ‘એપોલેટ્સ’ને મળી નવી ઓળખ