Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં ભક્તોએ હજારો દીવડાઓની મદદથી બનાવી અર્ધનારીશ્વરની પ્રતિકૃતિ

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી કલ્ચરલ ફોરમ ભવ્યાતિભવ્ય નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરતું આવ્યું છે. ત્યારે આ વર્ષે પણ આ આયોજન ગાંધીનગરના સેક્ટર 11 LIC ઓફિસ સામે, GCF ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. જ્યા ગત રાત્રિ (મહાઅષ્ટમી) એ યોજાતી આરતીમાં હજારો દીવડાઓની મદદથી અર્ધનારીશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. 

સુંદર પ્રતિકૃતિમાં 35 હજારથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરી શકાયું નહોતું. પરંતુ આ વર્ષે કોરોનાના કેસ પર કંટ્રોલ જોતા રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં નવરાત્રિના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમમાં નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. જ્યા સોમવારે મહાઅષ્ટમીએ યોજાયેલી આરતીમાં અર્ધનારીશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ સુંદર પ્રતિકૃતિમાં 35 હજારથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આપને જાણીને નવાઇ લાગશે કે છેલ્લા 25 વર્ષથી અહીં મહાઆરતીની આ પરંપરા ચાલતી આવી છે. કલ્ચરલ ફોરમ દ્વારા ગાંધીનગરના સેક્ટર 11મા 10 હજાર જેટલા ખેલૈયાઓ એકસાથે મન મૂકીને ગરબાના તાલે ઝુમી શકે એ માટે 3,72,000 ચોરસ ફૂટમાં ભાતીગળ ગામડાની થીમ ઉપર વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. 
કલ્ચરલ સંસ્થા આજે 5,600 સભ્યો સાથે વટવૃક્ષ બની ગઈ
બહારથી ગાંધીનગર આવતા મોટાભાગના લોકો કલ્ચરલ ફોરમમાં જ જવાનું પહેલા વિચારતા હોય છે. જોકે, એવું નથી કે આ સિવાય કોઇ અન્ય જગ્યાએ ગરબા મહોત્સવનું આયોજન ન થતું હોય. કલ્ચરલ ફોરમમાં ગરબે રમતા ખેલૈયાઓથી લઇને ગરબા જોવાનો આનંદ લઇ રહેલા લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રારંભિક તબક્કે 294 સભ્યોથી શરૂ થયેલી કલ્ચરલ સંસ્થા આજે 5,600 સભ્યો સાથે વટવૃક્ષ બની ગઈ છે. આ સંસ્થાના અધ્યક્ષ કૃષ્ણકાંત જહા છે. જેમનો મનમાં વર્ષો પહેલા આવેલો એક વિચાર આજે કલ્ચરલ ફોરમ તરીકે આપણે સૌ પાટનગરમાં જોઇ રહ્યા છીએ. 
ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ એ મુખ્ય હિંદુ તહેવારોમાંનો એક છે. તે વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. વર્ષની પ્રથમ નવરાત્રિ માર્ચ-એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે. તે ચૈત્ર નવરાત્રિ અથવા વસંત નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે. બીજી નવરાત્રિ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં આવે છે અને તેને શરદ નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. નવ દિવસીય ઉત્સવો આ સમય દરમિયાન દેવી દુર્ગાના નવ અવતારોને સમર્પિત છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તે ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે.