+

WORLD CUP 2023 : ત્રણ ટીમો, ત્રણ દિવસ અને એક સ્થાન, સેમિફાઇનલ કોણ મારશે બાજી

ઓસ્ટ્રેલિયાની અફઘાનિસ્તાન સામેના ચમત્કારિક વિજય સાથે નક્કી થઇ ગયું છે કે આઇસીસી વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં તેનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે પરંતુ ભારત સામેની સેમિફાઇનલ રમવા માટે હજુ પણ…

ઓસ્ટ્રેલિયાની અફઘાનિસ્તાન સામેના ચમત્કારિક વિજય સાથે નક્કી થઇ ગયું છે કે આઇસીસી વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં તેનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે પરંતુ ભારત સામેની સેમિફાઇનલ રમવા માટે હજુ પણ ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એમ ત્રણ ટીમો રેસમાં છે. આ ત્રણેય ટીમોના આઠ-આઠ પોઇન્ટ છે અને નેટ રનરેટના આધારે જ તેમના પોઇન્ટ ટેબલના ક્રમમાં ફરક છે.

 

ન્યૂઝીલેન્ડનો રનરેટ (પ્લસ 0.398) સૌથી વધારે છે અને તેણે બેંગ્લોર ખાતે પોતાની છેલ્લી લીગ મેચ શ્રીલંકા સામે રમવાની છે. તેણે મોટા માર્જિનથી જીતવાની સાથે પાકિસ્તાન (પ્લસ 0.036) અને અફઘાનિસ્તાન (માઇનસ 0.038) હારી જાય તેવી આશા રાખવી પડશે.

ન્યૂઝીલેન્ડ સતત ચાર મેચ હારી ચૂક્યું છે અને બેંગ્લોરની મેચમાં વરસાદની સંભાવના છે. ઇડન ગાર્ડન્સ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ રમાય તેવી સંભાવના વધી ગઇ છે. આ માટે પાકિસ્તાને શનિવારે ઇંગ્લેન્ડ સામે ધમાકેદાર વિજય હાંસલ કરવો પડશે. બાબર આઝમની ટીમ રિધમમાં પરત ફરી રહી છે અને તેને એક મોટા વિજયની જરૂર છે. પાકિસ્તાનને ફાયદો એ છે કે તેણે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચો બાદ રમવાનું છે જેના કારણેતેને તમામ સમીકરણોની ખબર રહેશે.

અફઘાનિસ્તાનની ટીમનો સામનો શુક્રવારે સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં થવાનો છે. પાકિસ્તાની ટીમને શનિવારે ઇડન ગાર્ડન્સ ખાતે ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલાં તમામ ટીમોનો નેટ રનરેટ ખબર રહેશે. અફઘાનિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવા માટે સાઉથ આફ્રિકાને મોટા માર્જિનથી હરાવીને રનરેટ સુધારવો પડશે. જો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બંને ટીમો હારી જાય તો તેનું કામ માત્ર વિજય દ્વારા આસાન બનશે. નેધરલેન્ડ્સની સંભાવના નહિવત છે.

 

આ પણ વાંચો –સૌરવ ગાંગુલીએ કરી નાખી આ મોટી ભવિષ્યવાણી, ભારત સાથે આ ટીમ ટકરાશે સેમી ફાઇનલમાં

 

Whatsapp share
facebook twitter