VADODARA : ભરૂચમાં લગ્ન પ્રસંગે જવાનું કહીને નિકળેલા મહિલા અને તેમના મિત્રની કારને પરત ફરતી વેળાએ વડોદરા પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કાર પલ્ટી ગઇ હતી. અને બંને મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનામાં પાસે બેસેલ મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION – VADODARA) માં ચાલક મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બે ત્રણ વખત ફોન પર વાત થઇ
કરજણ પોલીસ મથકમાં ભરતભાઇ બાબુભાઇ ગોહેલ (રહે. ઉમીયાપુરા, ઠાકોરવાસ – લાલી, ખેડા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 4, મે ના રોજ તેઓ અને તેમના પત્ની સાથે હતા. તેવામાં પત્ની નિમિષાબેને કહ્યું કે, અમદાવાદ ખાતે રહેતા બહેનપણી ઇલાબેન હીરાભાઇ આહિર સાથે સગામાં ભરૂચમાં લગ્ન હોવાથી કારમાં જવાનું છે. અને ઘરેથી નિકળ્યા હતા. જે બાદ બપોરના સમયે નિમિષાબેનને ફોન આવ્યો કે, ભરૂચ લગ્નમાં તેઓ પહોંચી ગયા છે. દિવસ દરમિયાન બંને વચ્ચે બે ત્રણ વખત ફોન પર વાત થઇ હતી. રાત્રે અગિયાર વાગ્યે ફોન આવ્યો કે, અમે ભરૂચથી જાનમાં નવસારી જિલ્લાના ચીખલી ખાતે ગયા હતા. ત્યાંથી પરત ઘરે આવવા માટે કારમાં નિકળ્યા છીએ. કાર ઇલાબેન ચલાવી રહ્યા છે.
કાર પલ્ટી ગઇ
રાત્રે 3 વાગ્યાના અસરામાં નિમિષા બેનના ફોન પરથી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે, ભરૂચ વડોદરા રોડ પર કરજણ પાસે બામણ ગામ નજીક કાર પલ્ટી ગઇ છે. તેમાં બેસેલા બે બહેનોને ઇજાઓ પહોંચી છે. અને 108 મારફતે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા છે. જે બાદ 108 એમ્બ્યુલન્સમાંથી ફોન કરી જણાવ્યું કે, ઇજાગ્રસ્તોને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. બાદમાં તેઓ તેમના ઘરેથી વડોદરા આવવા નિકળ્યા હતા.
ચાલક સામે ફરિયાદ
અકસ્માતની ઘટનામાં પત્ની નિમિષા બેનને ગંભીર ઇજાઓ પહોંચતા તબિબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અને તેમના બહેનપણી ઇલાબેન આહીર ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી હાલ સારવાર હેઠળ હતા. અને પુરેપુરા ભાનમાં પણ ન હતા. આખરે ઉપરોક્ત મામલે કાર ચાલક ઇલાબેન હીરાભાઇ આહીર (રહે. વેજલપુર પોલીસ ચોકી પાછળ, વેજલપુર – અમદાવાદ) સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો — VADODARA : પતિના માથે જુગાર “સવાર” થતા પત્નીએ મદદ લેવી પડી