+

VADODARA : રથયાત્રાના રૂટ પર પોલીસનું રિહર્સલ, બાજ નજર રાખશે કેમેરા

VADODARA : વડોદરામાં રથયાત્રા (VADODARA RATHYATRA – 2024) ના રૂટ પર શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં રિહર્સલ યોજાયું છે. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ જોડાયા છે. પોલીસનો કાફલો…

VADODARA : વડોદરામાં રથયાત્રા (VADODARA RATHYATRA – 2024) ના રૂટ પર શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં રિહર્સલ યોજાયું છે. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ જોડાયા છે. પોલીસનો કાફલો રૂટ પર ફર્યો છે. અને સુરક્ષાના બંદોબસ્તનું બારીકાઇ પૂર્વક નિરીક્ષણ કર્યું છે. મોટી સંખ્યામાં પોલીસના કાફલાને જોતા લોકોમાં ઉસ્તુકતા જાગી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું કે, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી રૂટ પરના સીસીટીવી, બોડી વોર્ન કેમેરા તથા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ડિપ્લોયમેન્ટ કરીને રીહર્સલ

આ તકે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર (NARASIMHA KOMAR IPS) જણાવે છે કે, 7, જુલાઇના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન છે. ઇસ્કોન મંદિરથી રથયાત્રા નિકળશે. રથયાત્રા દરમિયાન શાંતિ અને સુરક્ષા બની રહે, શહેરીજનો ભગવાનના દર્શન કરી શકે, તે માટે શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિભાગો સાથે સંકલનમાં રહીને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે 2 હજાર પોલીસ અધિકારી-કર્મચારીઓ, ગૃહરક્ષક દળના જવાનો, ટીઆરબી જવાનો, સ્ટેટ રીઝર્વ પોલીસની કંપની અને આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો તૈનાત રહેશે. રથયાત્રાના અનુસંધાને પૂર્વ તૈયારીઓ કરી દીધી છે. તેના અનુસંધાને ડિપ્લોયમેન્ટ કરીને રીહર્સલ કરી રહ્યા છીએ. આજના રીહર્સલમાં જે કોઇ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ ધ્યાને આવે તેને આવરીને રથયાત્રાના દિવસે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા આપીશુ. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે.

કેમેરાઓ અને જીપીએસથી સમગ્ર ડિટેઇલ્સ જોઇ શકીએ

વધુમાં તેમણે જણાવ્યું કે, તેના ભાગરૂપે જ કમાન્ડ એન્ટ કંટ્રોલ સેન્ટરમાં પણ સમગ્ર રૂટ પરના સીસીટીવી કેમેરા, બોડી વોર્ન સાથે સજ્જ જવાનોના કેમેરાઓ, અને આકાશથી જોઇ શકાય તેવા ડ્રોન કેમેરાને પણ તૈનાત કર્યા છે. સાથે સાથે રથની લોકેશનને વખતોવખત જોઇ શકીએ. સંવેદનશીલતાને ધ્યાને રાખીને ગ્રાઉન્ડ પરના પોલીસ અધિકારી-કર્મચારીનો યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી શકીએ. સંકલિત પ્રયાસથી કોઇ ઘટના ન બને તે માટેનું આયોજન છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ત્રણેય કેમેરાઓ અને જીપીએસ સિસ્ટમથી સમગ્ર ડિટેઇલ્સ જોઇ શકીએ છીએ.

એક શિસ્ત સાથે કાર્યક્રમમાં જોડાજો

વધુમાં તેમણે ઉમેર્યું કે, દરમિયાન ખીસ્સા કાતરું, અને ચેઇન સ્નેચીંગની ઘટનાઓ ન બને તે માટે આપણે જાણીતા ગુનેગારો, અસામાજીક તત્વો, પાકીટમારોને લઇને પ્રિવેન્ટીન એક્શન પણ લઇશું. તે દિવસે તૈનાત પોલીસ કર્મચારી તે દિવસે સતર્ક રહેશે. રથયાત્રામાં ભક્તોને પણ સતર્ક રહેવા માટે અપીલ છે. એક શિસ્ત સાથે કાર્યક્રમમાં જોડાજો. પોતાની કિંમતી વસ્તુઓ પહેર્યા વગર રથયાત્રામાં ભાગ લો તો સુરક્ષા માટે અનુકુળ રહેશે. જો કોઇ ઘટના બને તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરો.

આ પણ વાંચો — VADODARA : રથયાત્રા મોટી સ્ક્રીન પર જોઇ શકાય તેવું આયોજન, જાણો સંપૂર્ણ તૈયારી

Whatsapp share
facebook twitter