+

VADODARA : ભૂમાફિયાઓનું કારસ્તાન, મુળ માલિકને જમીન વેચવા જતા ભાંડો ફૂટ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના આજવા રોડ પર આવેલી ખુલ્લી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા મૂળ જમીનમાલિકોના નામથી મળતા આવતા અન્ય કેટલાક વ્યક્તિઓને ઉભા કરીને તેઓની સહીઓ કરીને કુલમુખત્યાર બનાવીને ગેરકાયદેસર…

VADODARA : વડોદરા (VADODARA) ના આજવા રોડ પર આવેલી ખુલ્લી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા મૂળ જમીનમાલિકોના નામથી મળતા આવતા અન્ય કેટલાક વ્યક્તિઓને ઉભા કરીને તેઓની સહીઓ કરીને કુલમુખત્યાર બનાવીને ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બોગસ કુલમુખત્યાર લઈને જમીન દલાલ મૂળ માલિક પાસે જમીન વેચવા પહોચતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. આખરે આ મામલે મુળ જમીનમાલીકે નોટરી સહીત જમીન દલાલ અને વડોદરાના જાણીતા બિલ્ડર વિરુદ્ધ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

પિતા 40 વર્ષ પૂર્વે ગુજરી ગયા

બાપોદ પોલીસ મથકમાં સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલ (રહે. ઈશ્વરશાંતિ સોસાયટી, કારેલીબાગ) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓના પિતા ઈશ્વરભાઈ ફકીરભાઈ પટેલ મૂળ નાગરવાડા વિસ્તારના રહેવાસી હોય વડોદરા શહેર તેમજ આસપાસમાં તેઓની અનેક જમીનો આવેલી છે. પિતા ઈશ્વરભાઈ પટેલ 40 વર્ષ પૂર્વે ગુજરી ગયા હતા. જયારે માતા શાંતાબેન પટેલ વર્ષ 2007માં અવસાન પામ્યા હતા.

ભરવાડ દ્વારા ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયત્ન

તેઓની વડીલોપાર્જિત મિલકતોમાં સંજયભાઈ પટેલ સહીત કુલ 8 જેટલા ભાઈ-બહેનોના નામ છે. જેમાં ખેતીલાયક જમીનો તેમજ શહેરી TP વિસ્તારમાં બિનખેતીની જમીનોનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2020માં ફરિયાદી સંજયભાઈ પટેલ અમેરિકા હતા. તે સમયે આજવા રોડ રણછોડરાય મસાલામિલ પાસે આવેલી તેઓની જમીન પર ભરત ભરવાડ તેમજ અર્જુન ભરવાડ દ્વારા ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેની જાણ સંજયભાઈને થતા તેઓએ તેમની બહેન વિદ્યાબેન પટેલને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. જે અંગેની અરજી પોલીસ કમિશ્નર કચેરીએ આપતા જમીન પર કબજો કરનાર ભૂમાફિયાઓએ જગ્યા છોડી દીધી હતી.

જમીન વેચવાની ઓફર મૂકી

આ ઘટનાના બે વર્ષ બાદ માર્ચ 2022માં જમીન દલાલ તરીકેની ઓળખાણ આપીને જય ચૌહાણ તેમજ સુરતનો અન્ય એક જમીન દલાલ ફરિયાદી સંજયભાઈ પટેલને મળવા માટે ઓફીસ પર પહોંચ્યા હતા. અને આજવા રોડ સયાજીપુરાની જમીન વેચવાની હોવાની ઓફર સંજયભાઈ સમક્ષ મૂકી હતી. આ જમીનોના માલિક ખુદ સંજયભાઈ પોતે હતા.જેથી તે ચોંકી ઉઠ્યા હતા. અને ક્યાં આધારે તેઓ જમીન વેચવા નીકળ્યા છે. તેની પૂછપરછ કરી હતી. જેમાં જમીન દલાલ જય ચૌહાણે તેઓએ પાસે આ જમીનનું કુલમુખત્યારનામું છે. તેવી વાત કરતા સંજય પટેલે કુલમુખત્યારની કોપી મંગાવી હતી. જે જોઇને ફરિયાદી સંજય પટેલ ચોંકી ઉઠ્યા હતા.

4 સભ્યો અમેરિકામાં સ્થાયી

જાન્યુઆરી 2020માં જે સમયે બે ભરવાડોએ જમીન પર કબજો કરવાના પ્રયત્ન કર્યા હતા. તે અરસામાં ફરિયાદી સંજયભાઈ ઈશ્વરભાઈ પટેલ તેમજ તેમના 7 ભાઈબહેનોના નામે મળતા નામ વાળા 8 વ્યક્તિઓના નામ કુલમુખત્યારપત્રમાં હતા. જેમાં કોઈ વ્યક્તિ અમદાવાદનો તો કોઈ વ્યક્તિ પાદરાનો જયારે કોઈ વ્યક્તિ સાવલીનો રહેવાસી બતાવવામાં આવ્યો હતો. જોકે સંજયભાઈના પરિવારના 4 સભ્યો અમેરિકામાં સ્થાયી થયેલા છે. છતાંય તેઓના નામના મળતા વ્યક્તિઓ અને અન્ય ફોટાઓ લગાવીને નોટરી તરીકે ભરત એસ. દફતરીએ સહી સિક્કા કરેલા હતા.

કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો

આ બોગસ કુલમુખત્યારની જાણ થતા 6 એપ્રિલ 2022ના રોજ સંજયભાઈ પટેલના બહેન લીલાબેન પટેલે પોલીસ કમિશ્નર કચેરીએ અરજી કરી હતી. જયારે કુલમુખત્યારમાં દર્શાવેલા નામો અને સરનામાંના આધારે તમામને વકીલ મારફતે નોટીસ મોકલી હતી. જે બાદ આ ખુલ્લી જમીન પર 30 જાન્યુઆરી 2023ના રોજ મુકેશ રત્નાકર ભરવાડ તેમજ ભુવન ભરવાડ તેમજ ભરત ભરવાડ વિરુદ્ધ ફરી એક વાર પોલીસ કમિશ્નરમાં જમીન પર ગેરકાયદે કબજો કરવા મામલે અરજી આપી હતી. આ અરજીના થોડા સમય બાદ મુકેશ રત્નાકર ભરવાડે બોગસ કુલમુખત્યારના બોગસ ખેડૂતો સામે નામદાર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે દાવો 22 નવેમ્બર 2023ના રોજ કોર્ટે કાઢી નાખ્યો હતો.

પોલીસ ફરિયાદ નોંધાઇ

સમગ્ર ઘટનામાં જમીનનું ખોટું કુલમુખત્યાર બનાવીને તેમાં ખોટા માલિકો દર્શાવીને જમીન પર કબજો કરવાની કોશિશ કરનાર મુકેશ રત્નાકર ભરવાડ, નોટરી ભરત દફતરી તેમજ જમીન દલાલ જીજ્ઞેશ રાઠોડ વિરુદ્ધ બાપોદ પોલીસ મથકમાં છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : સ્કુલ વાનમાં કરેલી સ્ટંટ બાજી સોશિયલ મીડિયામાં છવાઇ

Whatsapp share
facebook twitter